તમે કોઈને પ્રેમ કર્યો છે ખરો ? કોઈએ તમને પ્રેમ કર્યો છે ખરો ? લગ્ન પહેલાં ? લગ્ન પછી ? કોઈ તમારી આંખોમાં વસી ગયું હતું ખરું ? તમે કોઈની તરફ લાગણીથી ખેંચાયા હતા ખરા ?
યાદ નથી આવતું ? તમારી યાદદાસ્તને જરા ઢંઢોળો – હજુય યાદ નથી આવતું ? તમારા અંતરના કોઈ એકાન્ત – ખાનગી ખૂણાને જરા ફંફોસો. જરૂર યાદ આવી જશે. ભૂતકાળના બારણે ટકોરા મારો અને છતાં જવાબ જડે નહીં તો માનજો કે દુનિયામાં તમારા જેવો બીજો કોઈ કમનસીબ માણસ નથી. કોઈને માટે તમને પ્રેમ જાગ્યો ન હોય, કે કોઈને તમારા માટે પ્રેમનો ભાવ પેદા થયો ન હોય, એના જેવું કમભાગ્ય બીજું હોઈ શકે ખરું ? આવા માણસની તો દયા ખાવી જોઈએ.
સ્ત્રી હોય કે પુરુષ હોય, એ ક્યારેક તો કોઈની તરફ આકર્ષાયો હોય છે. ક્યારેક તો એ સ્ત્રી કે પુરુષ કોઈની તરફ ખેંચાયા હોય છે. કોઈને માટે તો હૃદયમાં પ્રેમનાં અંકુર ફૂટ્યાં હોય છે. કોઈને માટે તો હૈયું બેચેન બની ગયું હોય છે. કોઈને પોતાના કરવાની તીવ્ર ઝંખના જાગી ગયેલી હોય છે.
લગ્ન પહેલાં કે લગ્ન પછી પણ કોઈને માટે પ્રેમ જાગી ગયો હોય છે. એ પ્રેમનું આયુષ્ય કેટલું હતું, એનું બહુ મહત્વ નથી. એ પ્રેમની ઉંમર દિવસોની હતી, મહિનાઓની હતી કે વરસોની હતી એનું પણ ખાસ મહત્વ નથી. પ્રેમ થઈ ગયો હતો, પ્રેમ જાગી ગયો હતો કે નહીં, એ જ વાતનું મહત્વ છે. ક્યારેક થોડી ક્ષણોનો પ્રેમ, વરસોના પ્રેમ કરતાં પણ વધારે ઉત્કટ અને સુદઢ હોય છે. થોડી ક્ષણોના પ્રેમની એટલી તો મધુરતા હોય છે, એટલી તો સચ્ચાઈ હોય છે કે જિંદગીભર એ યાદ રહી જાય છે. પ્રેમનું આયુષ્ય કદી પૂછવાનું હોય નહીં. પ્રેમની તો જન્મતિથિ હોય છે, પણ તમે કોઈ પ્રેમીને પૂછો : તમારા પ્રેમની જન્મતિથિ કઈ ? તો એ મૂંઝવણમાં મુકાઈ જશે. એને એ પ્રશ્નનો જવાબ જડશે નહીં.
પ્રેમ થઈ જાય છે ખરો, પણ પ્રેમ ક્યારે થઈ ગયો, કઈ રીતે થઈ ગયો, ક્યા કારણે થઈ ગયો, એકાએક થઈ ગયો કે સમય લાગી ગયો હતો, મનના કેવા માહોલ વચ્ચે પ્રેમ જન્મી ગયો હતો, એ બધા પ્રશ્નો કોઈ પૂછે તો એનો કોઈ જવાબ મળશે નહીં. પ્રેમ પદારથ એ તો એક એવો પદારથ છે, જે સમજ્યો સમજાતો નથી. તમે જરૂર પ્રેમ કર્યો હશે. કદાચ કોઈ છોકરો કે છોકરી ગમી ગયા હશે, અને આકર્ષણ ઊભું થયું હશે. મનમાં ને મનમાં તો જરૂર એ છોકરો કે છોકરીને મળવાની, એની સાથે વાતો કરવાની ઝંખના જાગી ગઈ હશે. ક્યારેક એવું પણ બને છે, કોઈ જરા પણ જાણે નહીં, એ રીતે મનોમન પ્રેમ થતો હોય છે. એનો પ્રેમ પામવાનું અને એને પ્રેમ આપવા મન અંદર ને અંદર થનગની રહ્યું હોય છે. દરેક છોકરા-છોકરીના જીવનમાં આવી નાજુક ક્ષણો આવી જતી હોય છે. આ પ્રીતને કુંવારી પ્રીત કહેવામાં આવે છે. પ્રેમ હોય છે ખરો, પણ એકબીજાને પામવાના અરમાન બધા અધૂરા રહી જતા હોય છે. હોઠ અને હૈયું બન્ને કુંવારાં રહી જતાં હોય છે.
અને પહેલા જ પ્રેમમાં જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે કેટલાક એવા હોય છે, જેમને જિંદગીમાંથી રસ ઊડી જાય છે. જેમને જીવન અળખામણું બની જાય છે, એ આપઘાત કરવા સુધી દોડી જાય છે. કાં તો દેવદાસ કે મજનૂ બની જાય છે કાં તો પાગલ બનીને આમથી તેમ ભટકે છે. પણ કેટલાક એવા હોય છે જે પ્રેમની નિષ્ફળતાના એ આઘાતને જીરવી લે છે. ઝેરના એ ઘૂંટડાને હસતાં હસતાં પી જાય છે. ભગ્ન હૃદયની એ વેદનાને ભીતરમાં જ ગોપાવી દે છે. કોઈને જરાજેટલીય ગમ પડવા દેતા નથી. પ્રેમ થઈ ગયો, અને પ્રેમ તૂટી ગયો એથી શું ? એથી જિંદગીને અળખામણી બનાવી દેવાય ખરી ?
પ્રેમમાં બહુ ઓછાને સફળતા મળે છે. પ્રેમમાં નિષ્ફળતા મેળવનારાઓની સંખ્યા ઝાઝી હોય છે. પણ એ બધા કાંઈ આત્મહત્યા કરી લેતા નથી. એ બધા કાંઈ શરાબની લતે ચડી જઈને રોમિયો બની જતા નથી. એ બધાં કંઈ દોડતી આવતી ટ્રેનની નીચે પડતું મૂકતા નથી. પ્રેમની નિષ્ફળતાના ભૂકંપ નીચે એ કચડાયા જરૂર હોય છે, પણ તરત જ બેઠા થઈ જતા હોય છે અને જિંદગીને નવેસરથી જીવવાની શરૂઆત કરતા હોય છે. એ મનની પીડાને મનમાં જ સંઘરી રાખતા હોય છે. જે પ્રેમ કર્તવ્યને ભુલાવી દે છે એને પ્રેમ કહી શકાય ખરો ? પ્રેમ અને કર્તવ્ય એકબીજા સાથે જોડાયેલા છે. ક્યારેક તો એવું પણ બને છે, કર્તવ્ય માટે પ્રેમનું બલિદાન આપવું પડતું હોય છે. કર્તવ્ય આગળ પ્રેમ ગૌણ બની જાય છે.
સુમંતની આ વાત છે. આજે તો એ મોટો બિઝનેસમૅન છે. એનું બહુ મોટું નામ છે. પ્રતિષ્ઠા છે. ઉદ્યોગના ક્ષેત્રે એની બહુ મોટી શાખ છે. પત્ની છે. બે બાળકો છે. કોઈ ફુરસદની વેળા એ મિત્રોની વચ્ચે બેઠો હોય, જીવનની જૂનીનવી વાતો ચાલતી હોય, હળવી મજાક-મશ્કરી થતી હોય ત્યારે એ પણ ખીલી ઊઠે છે અને કબૂલ કરે છે : કૉલેજમાં હું ભણતો હતો ત્યારે એક છોકરીના પ્રેમમાં હું પડ્યો હતો. એ છોકરી પણ મને ચાહતી હતી. એના પિતા શ્રીમંત હતા. મોટા બિઝનેસમૅન હતા. અમે બન્ને છૂપાંછાનાં એકબીજાને મળતાં હતાં. એ મને કોઈ કોઈ વાર એની મોટરમાં ફરવા લઈ જતી હતી. હું મનમાં ને મનમાં વિચાર કરતો : મારે પણ મોટર હોય તો કેવું ? હું પણ એના બાપની જેમ મોટો બિઝનેસમૅન હોઉં તો કેવું ?
અમારી વચ્ચે જરૂર પ્રેમ હતો, પણ વાસ્તવિકતા હું બરાબર સમજતો હતો. એ છોકરી પણ બરાબર સમજતી હતી. અમે બન્ને લગ્ન કરી શકીએ એમ તો હતા જ નહીં. એ બીજાને પરણી ગઈ. મારા દિલને જરૂર ઘેરી ચોટ પહોંચી ગઈ હતી. મને કાળજે ઘા લાગી ગયો હતો, પણ મેં એ દુ:ખ જીરવી લીધું હતું. એના બાપની જેમ મારે પણ બિઝનેસમૅન બનવું છે. મારે પણ બંગલો-મોટરગાડી વસાવવાં છે. એ વાત મનમાં એવું તો ઘર કરી ગઈ હતી કે એ દિશામાં હું આગળ વધતો ગયો હતો. એક સરસ છોકરી સાથે લગ્ન થયું. સફળ બિઝનેસમૅન થવાનું સ્વપ્ન પણ સાકાર થઈ ગયું.
સુમંત કહે છે : જે છોકરીને હું પ્રેમ કરતો હતો, એ છોકરી અને એના પતિ સાથે આજે મારે એવો ને એવો મીઠો સંબંધ છે. અમે એકબીજાના નજીકના મિત્રો છીએ.
એવી જ વાત મુંજાલની છે. એ કૉલેજમાં પ્રોફેસર છે. એ પણ પરિણીત છે. એને પત્ની છે. એક બાળકી પણ છે. એની વાત પણ જાણવા જેવી છે. એ એક છોકરીના પ્રેમમાં હતો ત્યારે તો એ કુંવારો હતો. એક અવેતન નાટ્ય સંસ્થામાં બન્ને કામ કરતાં હતાં. બન્ને નાટકના જીવ હતા. નાટકમાં કામ કરતાં કરતાં બન્ને વચ્ચે પ્રેમ જાગી ગયો હતો. બન્ને એકબીજાના ભરપૂર પ્રેમમાં હતાં. બન્ને વચ્ચેનો પ્રેમ જગજાહેર થઈ ગયો હતો અને એ છોકરી મુંજાલને બિલકુલ અંધારામાં રાખી એ પૈસાદાર પુત્ર સાથે લગ્નથી જોડાઈ ગઈ હતી.
આ ઘટનાએ મુંજાલના હૃદયને જબરદસ્ત આંચકો આપ્યો હતો. એ આપઘાત કરવા પણ દોડી ગયો હતો, પણ એને વિચાર આવ્યો હતો. આપઘાત એ તો કાયરતા છે. મારે શું કામ આપઘાત કરવો જોઈએ ? મેં કોઈ ગુનો તો નથી કર્યો ને ? મેં કોઈ ખોટું કામ તો નથી કર્યું ને ? મેં ચોરી કે છિનાળવું તો નથી કર્યું ને ? મેં એ છોકરીને છેતરી કે દગો તો નથી દીધો ને ? દગો દીધો હોય તો એણે મને દીધો છે. મારે શું કામ આત્મહત્યા કરવી જોઈએ ?
અને મુંજાલે મનને મજબૂત બનાવી દીધું હતું. એણે કોઈ છોકરીને ચાહી હતી. એ વાત જ એ ભૂલી ગયો હતો. એણે એમ.એ કર્યું. એ ફર્સ્ટ કલાસ આવ્યો. પેલી છોકરી કરતાંય વધારે સુંદર છોકરી એને મળી ગઈ. પતિ-પત્ની આજે સુખી છે. કોઈ વાર હસતાં હસતાં એ એની પત્નીને કહે છે : ‘સારું થયું, એ છોકરીએ મને દગો દીધો, નહીં તો, તારા જેવી પ્રેમાળ અને ઉમદા પત્ની મને મળત ક્યાંથી ?
મંજરીબહેન પ્રૌઢ છે. એક હાઈસ્કૂલનાં પ્રિન્સિપાલ છે. જાજરમાન સ્ત્રી છે. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. આ ઉંમરે પણ તેઓ અપરિણીત છે. એકલાં રહે છે, આનંદથી જીવે છે. ખેલદિલ છે એટલાં જ ખુશમિજાજ પણ છે. એમના જીવનની પણ એક કહાની છે.
મંજરીબહેન એમ.એ.બી.એડ થઈ શિક્ષિકા તરીકે અને હાઈસ્કૂલમાં જોડાયાં હતા ત્યારે એ હાઈસ્કૂલના એક શિક્ષક સાથે લાગણીના સંબંધથી ગૂંથાયાં હતાં. બન્ને વચ્ચે પ્રેમ-સંબંધ ઊભો થયો હતો. બન્ને ખૂબ નજીક આવી ગયાં હતાં. પાછળથી એમને ખબર પડી કે એ શિક્ષક તો પરિણીત હતો. એમને એ શિક્ષક માટે ગુસ્સો તો આવી ગયો પણ મનમાં ને મનમાં એ સમસમી રહ્યાં હતાં. એમણે એ શિક્ષકને પૂછ્યું, ‘તેં મારાથી સાચી વાત શું કામ છુપાવી રાખી હતી ?’ ત્યારે એ આંખમાં આંસુ સાથે બોલ્યો હતો : ‘મને મનમાં બીક હતી. હું સાચી વાત કરું અને તમે મને છોડી દો તો ! તમે મને પ્રેમ કરતાં બંધ થઈ જાવ તો ? હું તમને એટલો બધો ચાહું છું કે મારે તમને ગુમાવવાં ન હતાં. એટલે તમને સાચી વાત કહી શક્યો ન હતો. હું તમારી માફી માગું છું. હવે તમે મને કદાચ તિરસ્કારશો તોય હું તો તમને ચાહતો જ રહેવાનો છું.’
એ શિક્ષકના જવાબથી મંજરીબહેનનું હૃદય દ્રવી ઊઠ્યું હતું. એ પણ મનમાં તો ઊંડા મંથનમાં પડી ગયાં હતાં. આ માણસ માટે મને પ્રેમ હતો. એને હું ચાહતી હતી. એ પરિણીત છે એ વાતની મને જાણ થઈ અને હું એને પ્રેમ કરતી બંધ થઈ જાઉં તો મારો પ્રેમ કેવો ? એ જે હોય તે. પરિણીત હોય કે કુંવારો હોય, એનો શો ફરક પડે છે. હું એને ચાહું છું એ જ મુખ્ય વાત છે.
અને એ સ્ત્રીએ પેલા શિક્ષકનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું હતું : ‘હું તને ચાહું છું.’ એ પછી ત્રણ ચાર મહિના પછી, એ શિક્ષકનું મોટર અકસ્માતમાં અવસાન થયું હતું. મંજરીબહેન આજે પણ એ શિક્ષકની વિધવા પત્નીની સંભાળ રાખે છે. પોતાની બહેનની જેમ એને સાચવે છે. એના દીકરાને પોતાની સ્કૂલમાં જ રાખી ભણાવે છે.
પ્રેમ-સગાઈ એ તો એક ઊંચામાં ઊંચી સગાઈ છે. પ્રેમ થયો એટલે લગ્ન થઈ જાય, એવું થોડું છે ? પ્રેમ હોય અને લગ્ન ન પણ હોય. પ્રેમમાં સફળતા મળે કે નિષ્ફળતા મળે, પ્રેમમાં કોઈ વાર છેતરાઈ પણ જવાય કે કોઈ વાર ઠોકર પણ લાગી જાય. પ્રેમ તો પ્રેમ જ રહે છે. પ્રેમ કદી છીછરો હોઈ શકે નહીં. પ્રેમમાં તો દરિયાની ઊંડાઈ હોય છે. પ્રેમને વરસો સાથે સંબંધ નથી. પ્રેમને તો ક્ષણો સાથે પણ એટલો જ ઉત્કટ સંબંધ હોય છે. પ્રેમ તો ઘડી – દો ઘડીનો પણ હોઈ શકે, પણ એ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અકબંધ રહે, ધબકતો રહે.
પ્રેમ એક સરોવર નથી, પ્રેમ તો એક નદી છે, વહેતી નદી. સતત વહેતી નદી. પ્રેમ કદી સરોવરની જેમ પાળો વચ્ચે કેદ રહી શકે નહીં. પ્રેમને તો વહેવા જોઈએ. વહેતા રહેવું એ પ્રેમનો સ્વભાવ છે. પ્રેમ એ દુનિયાના બજારમાં જાહેર કરવાની કોઈ ચીજવસ્તુ નથી. પ્રેમનાં ઢોલ-નગારાં વગાડવાનાં હોતાં નથી. પ્રેમના વરઘોડા કે ફુલેકાં પણ હોતા નથી. પ્રેમ એ તો અંતરના એકાન્ત ખૂણામાં અમૂલ્ય મોતીની જેમ સાચવી રાખવાની, જાળવી રાખવાની એક ચીજ છે. એટલે તો કહેનારે કહ્યું છે કે, પ્રેમનાં મોતી કોઈ ઝવેરીની દુકાને વેચાતાં મળતાં નથી. કોઈના દિલના દરિયામાં ડૂબકી મારવાનું જેના નસીબમાં હોય, એને જ આ મોતી પ્રાપ્ત થાય છે.
તમે કોઈને છાનો-છૂપો પ્રેમ તો જરૂર કર્યો હશે. તમારા ભાગ્યમાં જુદાઈ લખાઈ હશે. તમારું એ પ્રિયજન આજે કદાચ દૂર દૂર હશે, દરિયાપાર હશે, એને જોયે અને એને મળ્યે વરસો વીતી ગયાં હશે, પણ એથી થઈ શું ગયું ? એનું સ્મરણ તો તમારા હૈયામાં ગોપાયેલું છે ને ? કોઈ વાર નિરાંતની પળોમાં એને યાદ કરી જોજો. પ્રેમની ક્ષણોના સ્મરણનો પણ એક અનોખો આનંદ હોય છે.
Friday, January 16, 2009
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment