Wednesday, November 11, 2009

તમારા જીવનમાં પ્રવેશતી યુવતી

કાલે તમને કદાચ નોકરી કરતી એક સ્ત્રી મળશે,
પણ જરા, આટલી વાતો ધ્યાનમાં રાખીને એને પરણજો.

આ એક એવી યુવતી છે, જે તમારા જેટલું જ ભણેલી છે, અને લગભગ તમારા જેટલું જ કમાય છે. એને પણ તમારાં જેવાં જ સપનાં-આકાંક્ષાઓ છે, કારણ, એ પણ તમારા જેવી જ ‘મનુષ્ય’ છે. એણે પણ તમારી કે તમારી બહેનની જેમ જ રસોડામાં કદી પ્રવેશ નહોતો કર્યો, કેમ કે એ પણ ભણવામાં વ્યસ્ત હતી. એક એવી ‘સિસ્ટમ’ સાથે એ લડી રહી હતી, જે ઘરકામની આવડત ધરાવતી છોકરીઓને કોઈ વિશિષ્ટ સવલતો આપતી નથી. એણે પણ પોતાનાં માબાપ તથા ભાઈબહેનોને જીવનનાં 20-25 વર્ષો સુધી એટલો જ પ્રેમ કર્યો છે, જેટલો તમે તમારા કુટુંબીઓને કરો છો.

આ એ સ્ત્રી છે, જે પોતાનું ઘર, પોતાનાં સ્વજનો, બધાને બહાદુરીપૂર્વક છોડીને તમારું ઘર, તમારું કુટુંબ, તમારી જીવનશૈલી, અરે, તમારી અટક સુદ્ધાં અપનાવવા તૈયાર થઈ છે. પ્રથમ દિવસથી જ, એ રસોઈમાં પારંગત હોવાનું ધારી લઈ, નવી પરિસ્થિતિ, વાતાવરણ અને રસોડાની અંદરની એની કપરી અવસ્થા વિશે અજાણ રહી તમે આરામ ફરમાવો છો. એ યુવતી કે જેની પાસેથી અપેક્ષા રખાય છે કે સવારે પહેલું કામ એ ચા બનાવવાનું કરે ને દિવસને અંતે પણ રાંધી શકે. એ કદાચ તમારા જેટલી જ કે એથીય વધુ થાકેલી હોય, ને છતાંય – એક નોકર, એક રસોઈયણ, એક મા, એક પત્ની – આ બધાં પાત્રો ભજવવા સામે એ ફરિયાદ ન કરે, એવી આશા રખાય.

તમે એની પાસેથી શું ઈચ્છો છો, એ વાત-તમારી જેમ જ-એ પણ જાણતાં શીખી રહી છે. એ જાણે છે કે એની બહુ માગણીઓ તમને સ્વીકાર્ય નહીં હોય, તમારાથી ઝડપથી એ કંઈ શીખશે એ પણ તમને નહીં ગમે.
એને પણ પોતાનું મિત્ર-વર્તુળ છે,
જેમાં છોકરાઓ પણ છે, અને કામને સ્થળે પુરુષો પણ છે.
એ મિત્રોને એ નાનપણથી જાણે છે, છતાં એ સૌને એ પાછળની બાજુ રાખવા ઈચ્છે છે, જેથી તમારી તર્કહીન અદેખાઈ, બિનજરૂરી હરીફાઈ અને તમારી અંદર છુપાયેલી અસલામતી છંછેડાય નહીં. હા, એ પણ તમારી જેમ જ મિત્રો વચ્ચે નાચી-ગાઈ શકે છે, પણ તે એમ કરશે નહિ – ખુદ તમે કહેશો તો પણ નહિ,
કેમ કે તમને જ નહિ ગમે.
કામના સ્થળે કોઈ વાર સમયમર્યાદામાં કામ પતાવતાં એને પણ તમારી જેમ મોડું થઈ શકે છે.

એના જીવનના, તમારી સાથેના આ સૌથી વધુ અગત્યના સંબંધને સફળ બનાવવા એ ઉત્તમ પ્રયત્નો કરે છે. બસ, જો તમે એનામાં વિશ્વાસ મૂકો, એને થોડી મદદ કરો તો –
તમારા આખા ઘરમાં તમને એકને જ એ ઓળખતી હોઈ,
તમારી પાસેથી એક જ અપેક્ષા રાખે છે,
તમારો પૂરતો ટેકો, તમારી લાગણીઓ અને સૌથી વધુ તો
તમારી સમજદારી, એટલે કે તમારો પ્રેમ.

પણ…. બહુ ઓછા પુરુષો આ બધું સમજે છે….. તમે એની યોગ્ય કદર કરશોને ?

શોભા અને સુશિમા

એક રજવાડી કૉલેજના આચાર્યની કન્યાઓ છે, તેમને ઘેર હું પહાડોની જાત્રાએ જતાં બે દિવસ રહ્યો. આચાર્યના પત્ની તાજેતરમાં અવસાન પામ્યાં છે. સૂના ઘરમાં બધે ચીજવસ્તુ અને રાચરચીલું અવ્યવસ્થિત છે. ઘરનું વાતાવરણ ઉદાસ અને એકલવાયું લાગે છે. ઘરમાંથી ઘરના દેવતાનો વાસ ઊઠી ગયો છે. જે મિત્રે મારે વિશે આચાર્યને લખેલું તેમને બિચારાને એમના ઉપર ગુજરેલી આ કૌટુમ્બિક આફતની ખબર નહોતી.

ખડકીમાં પેસતાં જ ઓસરીમાં બેસી ઑફિસનું કામ કરી રહેલા આચાર્યે ઊભા થઈ મને સત્કાર્યો. પણ ઘરમાં પગ મૂકતાંવેંત હું ખચકાયો. આચાર્યે મારી આંખ વરતી અને થોડા જ અરસા પર પોતાના ઉપર ગુજરેલી આફતની વાત કરી દયામણે ચહેરે ઘરની અવ્યવસ્થા બદલ દરગુજર ચાહી. પછી તુરત જ બાજુના એક અલાયદા રૂમમાં મારો સામાન મુકાવ્યો ને ખાટલો, પાણી, ટેબલ-ખુરશી, રખાવી મારી બધી ગોઠવણ કરાવી દીધી. થોડી વારે બે નાની મા વિનાની દીકરીઓને સાથે લઈને મારા ઓરડામાં આવ્યા. છોકરીઓનાં નામ કહ્યાં ને ઓળખાણ કરાવી. નાની શોભા, મોટી સુશિમા. મોટી નવદસ અને નાની સાતઆઠ વરસની. પિતાના ઈશારે બેઉ પગે લાગી. નાનીને મેં વહાલથી ઘૂંટણ પર લીધી ને પગનાં પંજા પર ટટ્ટાર ઊભી રાખી બે-ચાર વાર ઉછાળી. મોટી કહે, ‘હમકો ભી ઝૂલા ઝુલાઓ !’ એને પણ મેં ઉછાળી. પિતા કહે, ‘બસ ગુડ્ડો; તુમ બડી હો. સ્વામીજી કે પૈરોં મેં દર્દ હોગા….’ ‘ગુડ્ડો’ પંજાબમાં છોકરીઓને બોલાવવાનું લાડકું નામ હોય છે.

બેઉ બહેનો મારા જ ઓરડામાં રમતમાં પડી ને અમે વાતે વળગ્યાં. મેં આચાર્યની કૌટુમ્બિક વિપદ પર ફરી શોક કર્યો ને તેમનાં મૃત પત્નીની માંદગી વગેરે અંગે થોડી વીગતો પૂછી. ઓરડામાં રમતી શોભાએ કાન માંડ્યા. વચમાં જ આચાર્યે છોકરીઓને કહ્યું, ‘શોભા-સુશ્મા, જાઓ દોનોં બહન બાહર બરામદે મેં જાકર ખેલો. દેખો રોઝલીન (કૂતરી) બીમાર હૈ ઉસે બૅરોન પોરિજ (રાબ) દી યા નહીં ?’ આચાર્યના ઘરમાં મુંબઈના પારસીઓ અને શ્રીમંતો પાળે છે તેવાં વરુને મળતી ઑસ્ટ્રેલિયન ઓલાદનાં બે મોટાં કૂતરાં-કૂતરી હતાં. કૂતરીને બચ્ચાં થવાનાં હતાં. બૅરો એટલે બેરર. બબરચીના હાથ નીચે ખાણું પીરસનારો નોકર.

બાળકોની હાજરીમાં એમની મૃત માતાની વાત કાઢવામાં મેં કરેલી ભૂલ હું સમજ્યો.
‘મને ખબર હોત તો હું તમને આટલી અડચણ વચ્ચે તકલીફ આપવા અહીં ન આવત. હજુ જો તમે મને રજા આપો તો નીચલે રસ્તે ગુરુદ્વારો છે ત્યાં ચાલી જાઉં. મને મુદ્દલ મુશ્કેલી પડવાની નથી. મને ત્યાંના પુજારીએ બોલાવ્યો પણ છે. રહીશ તેટલા દિવસ તમને મળવા આવીશ.’
‘ના, ના. એમ કેમ બને ? આપ તો મારા મહેમાન દેવતા. આપ મારા આંખ માથા પર છો. આપના ચરણસ્પર્શથી મારા રંકનું ઘર પાવન થયું. આપ જેટલા વધુ દિવસ રહેવાય તેમ હોય તેટલું રહો. મારો નોકર આખો વખત ઘરમાં હોય છે. મને પણ ઘેર મા વિનાનાં બાળકો ને માંદાં કૂતરાની ફિકર રહે છે. આ કૂતરાંને અહીંની હવા માફક નથી. બહુ કરું છું પણ નબળાં પડ્યે જાય છે. વળી, દુકાળમાં અધિકમાસ હોય તેમ આજકામ મારે માથે કૉલેજના કામ ઉપરાંત રોજનાં બીજાં પણ એક-બે કામ આવી પડ્યાં છે. તેથી સાંજે ઘેર આવતાં મોડુંવહેલું થાય છે. આપ ઘરમાં રહેશો તેટલા દિવસ મારા મનને છોકરાં બાબતમાં ઊલટી શાંતિ રહેશે. છોકરીઓને તો મેં બહાર કાઢી. બાકી મધમાખીઓ જોઈ લ્યો. વળગશે તે છોડશે જ નહિ….’ નાનો સરખો નિસાસો જ મૂકીને ઉમેર્યું, ‘બાપડાં ફૂલ. એમની જિંદગીમાં ખાઈ પડી ગઈ ! તે પૂરવા એ પણ મારી જેમ જ મથે છે. તેમાંયે નાની બડી તેજ (sensitive) છે.’ તેમણે ઘડિયાળ ભણી જોયું.

મેં જોયું કે આચાર્ય ઉતાવળમાં હતા. મેં એમને ઝટ વિદાય આપી. ઘરમાં જઈ રસોઈની, કૂતરાં ને લગતી અને બજારમાંથી તે દિવસે લાવવાની સૂચનાઓ આપવામાં રોકાયા. પિતાને મારા ઓરડામાંથી જતા જોયા તેવી જ બેઉ બહેનોએ સીધી મારી પાસે દોટ મૂકી. ‘ઝૂલા ઝુલાઓ, ઝૂલા ઝુલાઓ…’ એકેક બબ્બે વાર બેઉએ મારા પગ પર ચડી હીંચકા ખાધા. પછી બેઉ વચ્ચે અગાઉની માફક જ હુંસાતુંસી ચાલી. આચાર્ય કૉલેજ ગયા. રોજ તો છોકરીઓ ઘેર એકલી એટલે દૂરની કૉલેજથી પણ બપોરે ઘેર જવા આવતા ને બેઉને પોતાની સાથે જમાડી માની ખોટ પૂરવા પ્રયત્ન કરતા. નાની શોભાને પોતાને હાથે જમાડતા; પણ આજે તેમને કૉલેજમાં કામ ઘણું હતું ને હું ઘરમાં હતો એટલે છોકરીઓને મારી જોડે જમવા પટાવી, નોકરને ખાવાનું ટિફિનમાં કૉલેજ લાવવા સૂચના દઈ, મારી માફી માગીને વહેલા વહેલા કૉલેજ ગયેલા.

બપોરે અમને ત્રણેને જમાડીને અને બેઉ કૂતરાંને ખવડાવીને નોકર આચાર્યનું ટિફિન લઈને કૉલેજ ગયો. છોકરીઓ ઘડી ચળકું સૂતી ન સૂતી ને મારો ખાટલો ખૂંદવા હાજર થઈ ગઈ.
‘ઝુલા ઝુલાઓ ! ઝુલા ઝુલાઓ….!’
‘બસ અબ તો પિતાજી કે આને તક ઝૂલા ઝુલાના શામ તક !’
‘દૂર હો તુમ શોભા. તુમ ગુંડી હો. જૈસે ક્યા સામીજી (સ્વામીજી)કે પૈરો મેં દર્દ ન હોગા ! પિતાજીને સુબહ ક્યા કહા થા ? ઓર ફિર સામીજી શામકો ઘૂમને ન જાયેંગે ? ઔર મેં બૅરા (નોકર) કુત્તો કો ઘુમાને જાયગા ઉસ્કે સાથ જાઉંગી. તુમ બૈઠે રહના ઘરમેં અકેલી. હમ સબ લોગ તુમ્હે ઘરમેં બંધ કર ચલે જાએંગે !’ સુશ્મા બોલી. પણ શોભા ન ડરી.
‘સામીજી, પિતાજી ચલે જાતે હૈં તબ ગુડ્ડો હમેશાં મુઝે ડાંટતી હૈ ઓર ડરાતી હૈ. મેં તો આપ હી કે સાથ ઘૂમને ચલી જાઉંગી. ગુડ્ડો બૅરા કે સાથ કુત્તોં કી ઝંઝીર પકડ કર ભલે જાય. વો રોઝલીન (કુતરીનું નામ) રાસ્તે પર ભેંસ કો દેખકર ભોંકતી હૈ ઓર જંજીર ખીંચ કર ભાગતી હૈ, વહ ગુડ્ડો કો ઘસીટ લે જાયગી ઔર ગટર મેં ગિરા દેગી….’
‘રોઝલીન કી જંજીર પકડે મેરી બલા. મેં તો ગ્લામા (કૂતરાનું નામ) કી જંજીર પકડુંગી. વહ શરીફ હૈ.’
‘સામીજી, ગુડ્ડો કો નહીં, હમી કો ઝુલા ઝુલાઓ. ગુડ્ડો બડી હૈ, ઉસકો ઝુલાને સે આપ કે પેરોમેં દર્દ હોગા. ઉસે પિતાજીને મના કિયા હૈ.’
‘બડી આઈ પિતાજી કા કહના માનનેવાલી ! સામીજી યે શોભા પિતાજી કા કહના કભી નહીં માનતી. દિનભર પરેશાન કરતી હૈ. પિતાજી ઉસે નહીં ડાંટતે. વહ છોટી હૈ ન ? ઈસ લિયે. મૈં બડી હૂં. મૈં પિતાજી કો નહીં પરેશાન કરતી. ઘરમેં હર વક્ત ઉનકી મદદ કરતી હૂં. ઈસસે પિતાજી હર વક્ત ‘ગુડ્ડો મેરી અચ્છી’ કહકર મુઝે પુકારતે હૈ. શોભા અચ્છી નહીં હૈ, દિનભર ગુંડાપન કરતી હૈ. મુઝ કો, બૅરોકો, રોઝલીન કો, ગ્લામા કો, સબકો સતાતી હૈ.’ સુશિમાએ નીચલો હોઠ લંબાવી શોભાને હીણવી.

‘એવું ન કરીએ. આખિરકર વહ ભી તુમ્હારી બહન હૈ ન ? વહ છોટી હૈ, તુમ બડી હો. જો કુછ તુમ કરતી હો વહ ઝટ સીખ લેતી હૈ.’ મેં કહ્યું.
‘ખાક સીખતી હૈ ! ઉસે તો અભી નાગરી લિપિકા ‘ક’ ભી નહીં આતા.’
‘અચ્છા, યહ તો બતાઓ, તુમને અભી ઓંઠ પસાર કર જો કિયા વૈસા અગર શોભા પડોસ કી લડકિયોં સે કરેગી તો તુમ્હે અચ્છા લગેગા ?’
‘મેરા ક્યા જાતા ? લોગ ઉસે બદતમીજ કહેંગે. પિતાજી કહેતે હૈ દૂસરોં કે સામને મુંહ બનાનેવાલોં કો લોગ બદતમીજ કહતે હૈ.’
‘શોભા મુંહ બનાયેગી તબ ઉસે લોગ બદતમીજ કહેંગે ઔર તુમ શોભા કે સામને મુંહ બનાઓગી તબ મૈં તુમ્હેં ક્યા કહૂંગા ?’ મેં કહ્યું. સુશિમા ઝંખવાણી પડી ગઈ ! મેં આગળ કહ્યું, ‘અચ્છા, અગર તુમ કો ઉસસે નફરત હૈ તો વહ મેરે સાથે ઉત્તર કાશી જાયગી. પિતાજી કે પાસ તુમ દોનોં હો. મેરે પાસ તો વહાં કોઈ ન હોગા. મૈં અકેલા વહાં કિસસે ખેલૂંગા ? કિસે ઝૂલા ઝુલાઉંગા ? શામ કો પિતાજી આવેંગે તબ મૈં ઉનકી ઈજાજત લે લૂંગા. કહૂંગા આપકી અચ્છી ગુડ્ડો કો શોભા પ્યારી નહીં લગતી. ઉસકો ઉસસે નફરત હૈ ઈસ લિયે શોભા કો મૈં અપને સાથ ઉત્તર કાશી કો લે જાતા હૂં.’
શોભાએ તાળીઓ પાડી, ‘અચ્છા અચ્છા. મૈં જરૂર ચલૂંગી. દિનભર ઝૂલા ઝુલુંગી. વહાં ગુડ્ડો ન હોગી, ઝુલાઓગે ન ?’
સુશિમા રડુંરડું થઈ ગઈ.
‘છમા કીજીએ. મેરી ગલતી હુઈ. પિતાજી કહતે હૈ અપની ગલતી હોને પર તુરંત છમા માંગ લેના ચાહિએ. ક્યા સચમુચ આપ શોભા કો અપને સાથ ઉત્તર કાશી લે જાઓગે ?’
‘તો ?’
‘મૈં આપકે પૈરોં પડતી હૂં, ઐસા ન કરના. પિતાજી સે શોભા કો ઉત્તર કાશી લે જાને કે બારે મેં કુછ ન કહના. આયન્દે મૈં કભી ઐસા ન કરુંગી ! વહ કુછ ભી કરે, મૈં ઉસે પ્યાર કરુંગી. અચ્છા, શોભા તૂંહી ઝૂલા ઝૂલ. મુઝે એક બાર ભી ઝુલા નહીં ઝૂલના. સામીજી, ક્યા સચમુચ હી આપ ઈસે યહાં સે લે જાઓગે ?’
‘અરે હટ પગલી કહીં કી ! સામીજી મઝાક કર રહે હૈં તુઝે ચિડાને કે વાસ્તે ! ઈતના ભી નહીં સમજતી ઈતની બડી હોકર ?’

આખો દિવસ ને વળતે દિવસે બેઉ બહેનોએ મને ઘડી છોડ્યો નહિ. ઘરમાં આંગણામાં બાંધેલાં કૂતરાં જોડે, નોકર જોડે ઘડીક ઉધામા કરી આવે ને વળી પાછી આવી મારો ખોળો ખૂંદે, પીઠે ચડે ને ગળે લટકે. નોકર ઈમાનદાર છતાં કેવો ભુલકણો છે, ઘરને કેવું ધરમશાળા જેવું રાખે છે, રોઝલીન-ગ્લામાને વેળાસર ખાવાનું નથી દેતો ત્યારે પિતાજી એને કેવો ઠપકો આપે છે, ભેંસો સામે કૂતરાં કેવા ભસે છે અને તેનાથી ભડકીને એક ભેંસ એકવાર લપસીને કેવી ગટરમાં પડી ગઈ હતી અને પછી એને કેવી રીતે બહાર કાઢેલી; ગુજ્જર કોમ ભેંસો પર સામાન કેવી રીતે મૂકે છે, કૉલેજના ચપરાસીનો પિતાજીએ દંડ કરેલો તે માફ કરાવવા ઘેર આવીને તે પિતાજી આગળ કેવા કાલાવાલા કરતો હતો, જજ સાહેબને ઘેરથી દિવાળીની મીઠાઈ આવેલી ત્યારે માએ તેને ‘બજારુ’ કહીને બધી બૅરાની ઘરવાળીને કેવી આપી દીધી ને પોતે પોતાને હાથ ઘરમાં બનાવેલી મીઠાઈ જ કેવી રોજ બેઉ બહેનોને આપતી; વગેરે વગેરે કેટલીયે વાતો કહી નાંખી. માની વાત શોભાની જીભે આવી તેવી સુશિમાએ નાકને આંગળી અડાડી : ‘ચૂપ ! પિતાજીને મના નહીં કિયા કી માંકી બાત નહીં કરતે રહના ?’
શોભા ગળગળી થઈ ગઈ : ‘લેકિન મુઝે દિનભર યાદ રહતી હૈ તો ફિર ક્યા કરું ?’
આટલા શબ્દો જેમતેમ માંડ બોલી, ને લાગલો જ ગળું તાણીને ઠૂઠવો મૂક્યો. સુશિમા પણ રડવા જેવી તો માની વાત નીકળી ત્યારની થઈ ગઈ હતી. પણ પોતે મોટી એટલે ખામોશી પકડી રાખી હતી. હવે તેનાથીયે ન રહેવાયું. બેઉ બહેનો એકબીજીને ગળે વળગી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ઓસરીમાં લોઢાની સાંકળોએ બાંધેલાં કૂતરાં મારા રૂમના બારણા ભણી તાકીને વિકરાળ અવાજે ભસવા લાગ્યાં ને સાંકળો તોડાવવા કોશિશ કરવા લાગ્યાં. નોકર ઘરમાંથી દોડી આવ્યો. મેં એને ઈશારો કરી પાછો મોકલ્યો. બેઉને ખોળામાં લઈ હું વાંસો પંપાળતો રહ્યો.

થોડી વારે બેઉ શાંત થઈ. પણ હીબકાં ઘણી વાર સુધી ચાલ્યાં. બેઉને મેં ચકલાની, કબૂતરની, શિયાળ ને કાગડાની, ઊંટના હોઠની, સિંહ ને ઉંદરની, બ્રાહ્મણદેવતાની, ઠંડ-ઠુંડાળાની, હમીર બંકા તીરમારુની, એવી એવી ઘણી વાતો સાડા ચાર વાગ્યે નોકર અમારા ત્રણેને માટે ચા-ખાવાનું લઈ આવ્યો ત્યાં સુધી કરી. ખાવાનું મારા જ રૂમમાં લઈ આવ્યો. તે અમે ખાધું ને પાણી પીધું. પછી નોકર કૂતરાં છોડી બેઉ છોકરીઓને ફરવા લઈ ગયો. હું ગુરુદ્વારાની સંગતમાં ગયો. સાંજે પાછો આવ્યો ત્યારે છોકરાં ક્યારનાં ઘેર આવી ગયાં હતાં. આચાર્ય હજુ આવ્યા નહોતા. નોકર રસોઈમાં હતો. મને આવેલો જોઈ મારા રૂમમાં ફાનસ મૂકી ગયો. બેઉ બહેનો પિતાના રૂમમાં કંઈક કરતી હતી. મારા રૂમમાં અજવાળું જોયું તેવી જ બહાર નીકળી. એકબીજીના હાથમાં હાથ ભિડાવીને આવી. બેઉએ કેમ જાણે કંઈક સંતલસ કરી રાખી હોય તેમ ગંભીર ચહેરે મારી સામે આવી ઊભી રહી. શોભા બોલી પડી :
‘સામીજી, ઝૂલા ઝુલાઓ, ઝૂલા ઝુલાઓ !’
સુશિમા : ‘ચૂપ ! ક્યા કહને હમ દોનોં આઈ થી ? અભી પિતાજી આ જાએંગે !’
શોભા અટકી ગઈ. પછી બેઉ બહેનો દયામણાં મોં કરી મારી સામે જોઈ રહી.
સુશિમા : ‘સામીજી, હમ દોનોં આપકે પૈરોં પડતી હૂં. આપકી મિન્નત કરતી હૂં. હમ દોનોં આજ દિન મેં માં કી યાદ કરકે રોઈ થી યહ પિતાજી કો ન કહના.’
હું દ્રવી ઊઠ્યો. બપોરે બેઉ બહેનો ધ્રુસકે રડી ત્યારે નહોતો થયો એટલો ઉદાસ થયો. અજાણ્યે બોલી ઊઠ્યો : ‘ક્યોં ?’
‘વે કાલિજ પઢાને જાતે હૈં તબ હમ રોતી હૈ યહ અગર જાનતે હૈં તો બહુત રંજ હો જાતે હૈ.’
શોભા : ‘કભી કભી વે ભી છિપ કર રો લેતે હૈં. હમારે સામને કભી નહીં રોતે.’
****

બે દિવસ ઊભે પગે આચાર્યે મારી ખાતરદારી કરી. પહાડોની મુસાફરીમાં વાહન કે માણસોની વ્યવસ્થા કરવી એ કામ ભારે ખટખટિયું ને માથું દુ:ખવનારું હોય છે. અજાણ્યા જોડે છેડાછેડી બાંધીને ચાલવાનું. એ ચાલે ત્યાં ચાલવું ને રોકાય ત્યાં રોકાવું. આ બધું જાણતાં છતાં જાતે ઊંચકાય તેટલો જ સામાન લઈને ચાલવાનું ડહાપણ ન કર્યાનો દંડ એ મુસાફરીમાં ઠેર ઠેર મેં ભોગવેલો. પણ અહીં તો આચાર્યે પોતાની કપરી દિનચર્યા વચ્ચે પણ વખત કાઢીને મારી આગળની ઉત્તર કાશી સુધીની મુસાફરીની બધી વ્યવસ્થા કરી આપી. આસમાની સુલતાનીના ફેરામાં પડીને તારાજ થયેલા આ મીણથી મોળા ને ગાય જેવા ગભરું સજ્જન પુરુષે હું નીકળ્યાની આગલી સાંજે હૈયું ઠાલવીને પોતાની આપવીતી મને સંભળાવેલી. પાકિસ્તાનમાં શુમાર ગણાયેલા પોતાના વતનમાં 50-60 હજાર કિંમતનું પોતાનું બાપદાદાનું ઘર, કીમતી ઘરવખરી, વાડીવજીફો બધું ફના થયું. કુટુંબકબીલો વેરવિખેર થઈ ગયો ને ગુણિયલ સ્ત્રી નાનાં બાળકોને મેલી કિરતારને ઘેર સિધાવી ! ‘પણ જ્યાં એ કિરતારે હજારો-લાખોને હોમીને અગ્નિ સોંસરાં ઉતારીને જ આઝાદી આપવાનું નક્કી કરેલું ત્યાં મારા જેવું એક મગતરું પોતાની પાંખો દાઝ્યાનો બળાપો કરે એનોયે શો અર્થ ? પ્રભુનો પાડ ! કિરતારે એમાં જ મારું, સૌનું ને હિંદનું ઘડતર જોયું !’ વળી કહે, ‘ઘણુંયે સમજું છું. મનને મારું છું પણ કોઈ કોઈ વાર આપ જેવું કોઈ સજ્જન સહાનુભૂતિવાળું મળી જાય ત્યારે હૈયું ભડભડી ઊઠે છે ને દિલમાં દુ:ખ રડી હળવું થવા મન ફાંફાં મારે છે.’ મોડી રાતે પોણો કલાક ચાલેલા આ હૃદયદ્રાવક વાર્તાલાપ દરમિયાન એક કડવો કે હીણો શુકન દોસ્તદુશ્મન કોઈને માટે મારા જજમાનને મોઢે મેં ન સાંભળ્યો. બસ ‘શુકર હૈ’ ‘શુકર હૈ’ એટલો એક જ બોલ નીકળતો. તે રાતની એમની શોકે છવાયેલી છતાં ધીરગંભીર મુદ્રાની સ્મૃતિ અને એમની સંસ્કારિતાની સુગંધ ત્રણ વર્ષથી મારા સ્મૃતિપટ પર ચોંટી રહી છે.

ભડભાંખડે હું વિદાય થયો ત્યારે બેઉ બહેનો પિતાના પલંગની લગોલગ બીજા પલંગમાં દિવસે તેમ ઊંઘમાં પણ એકબીજીને વળગીને ઊંઘતી હતી. સવારે પિતાએ ‘ઝુલા ઝુલાનેવાલે સામીજી’ના જવા વિશે એમને શું-શું કહીને પટાવી તે નથી જાણતો પણ મહિનો પૂરો નહિ વીત્યો હોય ને આચાર્ય તરફથી આવેલા એક કવરમાં બીજા બે કાગળ મને મળ્યા. એક બેઉ બહેનોએ સાથે દસક્ત કરીને મોકલેલો હતો. તેમાં મુંશીજી આવે છે, પોતે ભણવા માંડ્યું છે, નાગરી ભાષા શીખવા બદલ પિતાજી તરફથી બે બાવલીઓ મળી, નોકર ડાહ્યો થયો છે ને પિતાજીની ડાંટ ખાતો નથી, રોઝલીન (કૂતરી) વિયાઈ, ગુજ્જરોની કોમ એ રસ્તે જતી નથી…. વગેરે વાતો હતી. બીજો કાગળ ટચૂકડી શોભાએ આંકેલા કાગળ પર વાંકોચૂકો ને જોડણીની ભૂલોવાળો છતાં ખામી વગરની ભાષામાં અલાયદો લખ્યો હતો. આ રહ્યો એનો કાગળ :

સામીજી,
પર્નમ (પ્રણામ).
આપ ગએ તબસે પિતાજી હમ દોંનોં કો હર્રરોજ દોનૂં શામ ઝૂલા ઝુલાતે હૈં. મૈં નાગરી લિખાઓટ સીખ રહી હૂં. પિતાજીને શાબાસ કહા ઔર ખુશબખીદ દી. ગુડ્ડો કો ઈતની શાબાસ નહીં દી. રૌજલૈન (રોઝલીન કૂતરી)ને ચાર બચ્ચે દીએ, લેકિન ચારૌં કે ચારૌં મર ગએ ! બૈરા (નોકર) કહેતા હૈ કુછ તો મરે હુએ હી જનમ પાયે થેં. મરે બચ્ચોં કો મહેતર ઉઠાને આયા તો વહ છોડતી ન થી. જબરજસ્તી લે ગએ. દો દિન ખાના ભી ન ખાયા. ગિલામાને (બીજા કૂતરાનું નામ) ભી ન ખાયા.
સામીજી, આપને તો ઉસ દિન બતાયા થાહ કિ માં હી પહેલે મરતી હૈ, બચ્ચે નહીં મરતે. ક્યોં કી બચ્ચોં કો બડે હોકર બૌત કુચ કામ દેશકા ઔર દુન્યાં કા કરના હૈ. તબ ફિર હમારે યહાં તો રૌજલૈન નહીં મરી, ઉસકે બચ્ચે હિ મરે. એસા ક્યોં ? ક્યા કુત્તો મેં એસા કાનૂન હૈ ? યા ઈનસાન હી મેં એસા કાનૂન હૈ કિ બચ્ચોં કી માં પહલે મરતી હૈ ?

આપકી
ઔર પિતાજીકી અચ્છી બચ્ચી
શોભા
કા પાય લગૂં !

સાચુ પિતૃતર્પણ

છેલ્લાં પાંચ-છ વરસથી હું એને જોતો આવું છું. અરે, હું તો શું, અમારા ગામનાં તમામ લોકો એને જોતાં. અને કેટલાંક ટીખળી યુવાનો તો થોડો આનંદેય લૂંટી લેતાં. ગંદાગોબરા ચહેરા પર ગાંડાબાવળની જેમ ઊગી નીકળેલાં દાઢી-મૂછ, માથાપર જટાજૂટ વાળની જંજાળ, કાળાપીળાં પડી ગયેલાં દાંત, મેલાઘેલા લીરેલીરાં ઉડેલાં કપડાં, ખભે એક ગંદો થેલો. કોણ જાણે તેમાં શુંયે ભર્યું હશે ? એક હાથમાં કાયમ એક કાનતૂટેલો કપ અને બીજા હાથમાં એક સોટી. જ્યાંથી પસાર થાય, ત્યાંના બાળકોનું નાનું શું ટોળું તેની પાછળ જ હોય. ક્યારેક વળી ખીજવાયા જેવું કરીને પાછો વળે, આંખોના ડોળા મોટા કરીને બાળકો તરફ સોટી ઉગામે…! ક્યારેક વળી પાછળેય દોડે. જો કે તેણે ક્યારેય કોઈ બાળકને માર્યું હોય તેવો કિસ્સો આજદિન સુધી સાંભળવામાં આવ્યો ન હતો.

ક્યાંનો હતો ? ક્યાંથી આવ્યો ? કઈ રીતે અહીં આવ્યો ? અને ખાસ તો તેની ઓળખ કે નામેય કોઈ જાણતું નો’તું. બસ, અહીં આવ્યો અને વસી ગયો. જો કે, કેટલાક લાગણીશીલ લોકોએ ‘ફોઈબાગીરી’ નિભાવીને ‘ગાંડો’ નામ આપી દીધું હતું. ‘એય….ગાંડા…’ કરીને બૂમ પાડો તો તરત જ તમારી તરફ જુએ.’ કદાચ એણેય એ નામ પ્રેમપૂર્વક અપનાવી લીધું હતું. ગામલોકો કંઈક ખાવાનું આપે તો ‘જમતારામ’ નહીંતર પછી ‘રમતાંરામ’ ! ક્યારેય કોઈની પાસે કોઈ માંગણી નહીં. કોઈની સામે કોઈ ફરિયાદ નહીં.

આજે પિતાજીનું શ્રાદ્ધ હોવાથી હું ઘરે જ હતો. કાગવાસની વિધિ, બપોરનું જમણ વગેરે પતાવીને હું મેડીએ આડેપડખે થયેલો, ત્યાં જ બહાર શોરબકોર સાંભળીને બારી બહાર નજર કરી. જોયું તો ગાંડો અમારા ઘરનાં દરવાજે જ બેઠેલો અને પાંચ-છ ટાબરીયાંઓ ‘એ ગાંડા…. એ ગાંડા…’ કહીને દેકારો મચાવતાં હતાં. નીચે ઊતરીને હું બહાર ગયો. છોકરાંઓને નસાડી મૂક્યાં અને ગાંડાને થોભવાનો ઈશારો કરીને ઘરમાં ગયો. પત્ની પાસેથી થાળી પીરસાવીને ગાંડા સામે મૂકી. ત્રણચાર દિવસનો ભૂખ્યો હોય તેમ ગાંડો થાળી પર તૂટી પડ્યો. દાળ, ભાત, પૂરીશાક, ભજિયા…. બધુ જ સફાચટ. પણ ખીરની વાડકીને તે અડ્યોય નહીં. બલ્કે તેણે તે ખીર પોતાનાં કપમાં ભરી લીધી. ખીર ખાઈ જવા મેં તેને ઘણું કહ્યું. બીજી ખીર આપવા પણ કહ્યું, પણ તે એકનો બે ન થયો. આખરે મેં જ જીદ પડતી મૂકી. તેને પાણી પાયું અને ખીર ભરેલો કપ હથેળીની ઓટમાં સંતાડીને તે ત્યાંથી જવા માંડ્યો. પણ જતાં જતાં તે મારું માનવસ્વભાવગત કુતૂહલ સ્વાભાવિક જ વધારતો ગયો. ‘ખીરનું તે શું કરશે ?’ની ચણભણે મને તેની પાછળ જવા મજબૂર કર્યો. પાછળ પડેલા બાળકો કે પછી બીજા કોઈનીય પરવા કર્યા વગર તે સડસડાટ શેરી બહાર અને પછી ગામ બહાર નીકળી ગયો. સીમમાં વડનાં ઝાડ નીચે એક ચોતરો બનાવેલો. ત્યાં પહોંચીને તેણે કપ ચોતરે મૂક્યો. ત્યાંથી તે થોડે દૂર ખસ્યો. આસપાસ જોયું અને આશ્ચર્ય ! આટલા વરસોમાં કોઈએ એને બોલતો સાંભળ્યો ન હતો. તે ગાંડાના મુખેથી શબ્દો નીકળ્યાં : ‘કાગવાસ’

દૂરથી તેની આ તમામ ક્રિયાઓ જોઈને મારું આશ્ચર્ય અને તેનાં વિશે જાણવાની તાલાવેલી ચરમસીમાએ પહોંચી. થોડીવારે ત્યાં બે કાગડા આવ્યા. આમ તેમ જોતાં, ડોલતાં ડોલતાં કપ પાસે ગયાં અને કપને અડ્યા વગર ઊડી ગયાં. આ દ્રશ્ય જોઈને ગાંડાની આંખમાંથી બે આંસુની બુંદો ટપકીને જમીનની માટીમાં વિલીન થઈ ગઈ. શું તે ખરેખર ગાંડો હતો ? નો’તો જ વળી. છાના પગલે હું તેની પાછળ ગયો. એના ખભે હાથ મૂક્યો. અચાનક થયેલા સ્પર્શથી તે ચમક્યો. પાછા વળીને મારી સામે જોયું. મને જોતાં જ તે ગાંડાપણાની ચેષ્ટાઓ કરવા લાગ્યો.
‘દોસ્ત હું જાણી ચૂક્યો છું કે તું પાગલ તો નથી જ. તો પછી આ બધું કેમ ?’ મેં કહ્યું. થોડીવાર તે શૂન્યમનસ્ક ભાવે મારી સામે તાકી રહ્યો. એકાએક તેની આંખોમાંથી અશ્રુધારા ફૂટી નીકળી. ધીમેધીમે ઘૂંટણો વાળીને તે ચોતરા પાસે જ બેસી પડ્યો. ચોતરે માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. મારો હાથ અજાણતાં જ તેની પીઠ પસવારી રહ્યો હતો. થોડી વાર પછી તેનાં ડૂસકાં અને રૂદન ઓછાં થયાં. મેં તેને ઊભો કરીને ચોતરા પર બેસાડ્યો. હું પણ તેની નજીક જ બેઠો. ‘હવે બોલ, શું છે તારી કહાણી….’

‘મારું નામ રોહિત..’ તેણે બોલવાનું શરૂ કર્યું. જાણે ટાઈમમશીન વડે તે ભૂતકાળમાં ધકેલાયો. આંખો એની જાણે કોઈ જૂના જમાનાની ફિલ્મ જોઈ રહી હતી. ‘રોહિત જટાશંકર દવે… ઉચ્ચ ગણાતી બ્રાહ્મણ જાતિમાં જન્મ. અહીંથી ઘણે દૂર એક ગામમાં અમે રહેતાં. પિતાજી પ્રખર વિદ્વાન કર્મકાંડી. આજુબાજુનાં ચાલીસ ગામોમાં એમના ગોરપદાંની હાંક વાગે. પૈસેટકે અમે ખૂબ જ સુખી. ગામમાં હવેલી જેવું ત્રણમાળનું ઘર અને સીમમાં ‘પૈસા વાવો તોય ઊગી નીકળે’ એવી ફળદ્રુપ અને રસાળ એંસી વિંઘાની જમીન. ગામનાં ગણ્યા-ગાંઠ્યાં ધનિકોમાં અમારી ગણના થતી. પિતાજી તો જાણે સાક્ષાત દુર્વાસા અને મારી બા એટલે જાણે સાક્ષાત સરસ્વતિ અને અન્નપૂર્ણાનું મિશ્રણ. ઘરે આવેલો અજાણ્યો અતિથિયે જો ભૂખ્યો પાછો ન જતો હોય તો હું તો એમનો એકનો એક પુત્ર હતો. પછી શેની મણાં હોય ? બસ, પિતાજીની ફક્ત એક જ ઈચ્છા કે, હું ય તેમની જેમ શાસ્ત્રોમાં પારંગત થઈને, અમારા વંશપરંપરાગત ધંધામાં પલોટાઈને પાંડિત્યનું પીંજણ કરું. પણ હું આ બધા મામલામાં પહેલેથી જ બિનરસાળ. હું બીજાનાં સંતાનોની જેમ ‘વંઠેલ’ તો જો કે નહોતો, પણ પિતાજીની આજ્ઞા માનીને તેમની ‘હા’માં ‘હા’ ભેળવું, તેવોય નહોતો. મારે ‘વિજ્ઞાન’ લઈને વૈજ્ઞાનિક થવું હતું. મારી સાથેનો તેમનો મતભેદ કદાચ અહીંથી શરૂ થયો. આમેય, પુરાણો અને વિજ્ઞાન બંને એકીપાટલે તો કઈ રીતે બેસી શકે ? સાપ કરડ્યો હોય કે પછી વાઈહિસ્ટીરિયાનો હુમલો થાય ત્યારે ભુવા-જાગરીયાને બોલાવવા, કોઈ મોટી મહામારી સામે લઢવા નવગ્રહો કે પછી દેવીદેવતાનાં આહ્વાન માટે પૂજાવિધિ સજેસ્ટ કરતાં માતાપિતા ‘વિજ્ઞાન’ ક્યાંથી પચાવી શકે ? આમેય પુરાણો હંમેશા વિજ્ઞાનનો અને વિજ્ઞાન હંમેશા પુરાણોનો છેદ ઉડાડતાં જ રહ્યાં છે ને…!

છતાંય, તેમની ઉપરવટ જઈને, બારમામાં વિજ્ઞાનમાં ઉચ્ચ ટકાવારી મેળવીને, પિતાજીએ સૂચવેલ ‘સંસ્કૃત મહાવિદ્યાલય’માં પ્રવેશ ન લેતાં, ધરાર નજીકનાં શહેરની ‘સાયન્સ કૉલેજ’માં પ્રવેશ મેળવ્યો. પિતાજીનો રોષ પુત્રપ્રેમને લીધે હોય કે પછી બાની સમજાવટથી, ધીરેધીરે ઓગળી ગયો. સારા ટકે સ્નાતક અને ત્યારબાદ અનુસ્નાતક થયો. શહેરમાં જ એક સારી કંપનીમાં વૈજ્ઞાનિક તરીકે જોડાઈ ગયો. ત્યાં ઉંદર, દેડકાં, મરઘાં-બતકાં પર પ્રયોગ કરતાં કરતાં મારું બ્રાહ્મણત્વ જાણે કે નેવે મુકાઈ ગયું હતું. સાયકલ પર કૉલેજ જતો હું હવે સ્કૂટર પર ઑફિસ જતો થયો. ગામડાનાં ધૂળિયા રસ્તાં પણ હવે તો પાકી સડકમાં બદલાઈ ગયાં હતાં. ઘણું બધું બદલાઈ ગયું હતું. જૂની ઘરેડોમાંથી હું પણ બદલાઈ ચૂક્યો હતો. કદાચ મારા સંસ્કાર પણ બદલાઈ ચૂક્યા હતા. ફક્ત ન બદલાયા હતા તો બસ, ફક્ત મારા પિતા અને તેમનાં વિચારો અને તેમની સંહિતાઓ….

મારી ઉંમર વધી રહી હતી. પછી તો હાલનાં જમાનામાં બને છે, તેમજ, પિતાજીની પસંદગીની ઘરરખ્ખુ, સંસ્કારી, ચારિત્ર્યવાન, સ્વજ્ઞાતિની ગૃહિણીની જગ્યાએ મારી પસંદગીની, મારી જ ઑફિસમાં કામ કરતી, ભણેલ ગણેલ પરજ્ઞાતિની રોહિણી પર ઊતરી. ઘરમાં ભયંકર તોફાન ઊઠ્યું અને શમીયે ગયું ! ફાયદો જો કે માત્ર મને જ થયો. રોહિણી ઘરમાં આવી ગઈ. થોડા મહિના આનંદમાં ગયા. પણ પછી રોહિણીએ પોતાનું પોત પ્રકાશ્યું. રોહિણીની મહત્વાકાંક્ષાઓ અને પિતાજીની સમીક્ષાઓ વચ્ચે જાણે તુમુલ યુદ્ધ છેડાયું. મારી નિર્દોષ પારેવડાં જેવી બા તો જાણે મૂકપ્રેક્ષક હતી. રોહિણીની ઝપટમાંથી જો કે, તે પણ બચી ન હતી. તેનાં પરનાં અત્યાચારો હું સ્થિતપ્રજ્ઞ બનીને જોયા કરતો. સમુદ્રમંથન વખતે જે હાલત મેરુપર્વતની થઈ હશે, તે જ હમણાં મારીયે હતી. રોહિણી જૂનવાણી થવા તૈયાર ન હતી, તો પિતાજીયે ‘નવવાણી’ થવા તૈયાર નહોતાં. એક આખી પેઢીનાં છેડાયેલાં ભિષણયુદ્ધનો હું નિમિત્ત બન્યો હતો અને એ યુદ્ધમાં હું જાણે-અજાણ્યેય નવતર પેઢીનું જ સમર્થન કરતો હતો. હવાને સથવારે અમારા કૌટુંબિક પ્રપંચો પહેલાં તો પડોશીઓ અને પછી શેરી અને ગામનો ચર્ચાનો મુખ્ય વિષય બની ગયાં.

અને આખરે એ કાળમુખી સવાર ઊગી. હા, આજનો દિવસ હતો એ. ભાદરવા વદ નોમ. ઘરમાં સવારથી જ વાતાવરણ ડહોળાયેલું તથા ભારેભારે હતું. પહેલી રાત્રે થયેલાં ઝઘડાનો વિષાદ ઘરનાં તમામ પાત્રોનાં ચહેરા પર ડોકાતો હતો. અચાનક રોહિણી પોતાની ભરેલી બેગ સાથે રૂમમાંથી બહાર આવી. એ ઘર છોડીને જઈ રહી હતી. મને પણ સાથે જ લઈ જવા માટે તેણે ઉચ્ચારેલા વાક્યો સાથે જ જાણે પેટાળમાં સમાયેલ ખદખદતો લાવા બહાર નીકળ્યો. આજનાં ઝઘડાએ તો જાણે તમામ માઝા મૂકી દીધી. પિતાજી, હું અને રોહિણી હાથાપાઈ પર ઊતરી આવ્યા. ગુસ્સો બેકાબૂ બન્યો. અચાનક પિતાજીનો દેહ મારા હાથમાંથી ફંગોળાયો અને બારી વાટે ઊછળીને જમીન પર પટકાયો. બરાબર એ જ સમયે ગામનાં મુખી બીજા ત્રણચાર માણસો સાથે વાડામાં દાખલ થયાં. પિતાજીનો દેહ તરફડીને તેમની સામે જ શાંત પડી ગયો. બારીમાં અવાચક હું ઊભો હતો. પોલીસ આવી. મુખી તેમજ ગામ લોકોનાં સ્ટેટમેન્ટ લીધાં. મને ગિરફતાર કર્યો. નિર્દોષતા પૂરવાર કરવા બાને ઢંઢોળી. પણ બા ક્યાં હતી…? તે તો માત્ર તેનું ખોળિયું જ હતું. તે તો પિતાજીની સાથે જ અનંતયાત્રાએ ઊપડી ગઈ હતી. અદાલતમાં કેસ ચાલ્યો. મારું મોં તો જાણે તે દિવસથી સીવાઈ જ ગયું હતું. મુખીની સાક્ષીએ હું ગુનેગાર પૂરવાર થયો. સજા થઈ, ‘જન્મટીપ’ અને પછી તો બસ, કાળમીંઢ કોટડી જ મારું વિશ્વ બની ગઈ. પત્ની ક્યારેક મળવા આવતી. હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટ સુધી લડવાની તૈયારી માટે જરૂરી નાણાં માટે મારી પાસે સહીઓ લઈ ગઈ. પછી તે ગઈ તે ગઈ. થોડો સમય જેલમાં તેનાં પત્રો આવતાં. પછી તેય બંધ થઈ ગયા. પછી ક્યાંકથી જાણવા મળ્યું કે, જમીન જાયદાદ વેચીને, માલમિલકત સમેટીને પોતાનાં કોઈ પૂર્વ પ્રેમી સાથે ભાગી ગઈ.

હવે બહારનાં વિશ્વમાં મારા માટે કાંઈ જ નહોતું. ન સગાવહાલા, ન જમીન-જાયદાદ, ન મહત્વાકાંક્ષાઓ કે ન તો કોઈ લાલસા. જગમાં આવ્યો એવો જ ખાલી હાથ. શું કમાયો હતો હું આ ભવાટવીમાં ? જો હું ધારત તો ભારતીય જ્ઞાન તથા વિજ્ઞાનનો સમન્વય ન સાધી શકત ? માવતરની આજ્ઞાઓને જૂનવાણી ન ગણતાં શિરે ધારી હોત તો ચિત્ર ક્યા પ્રકારનું હોત…! આ અને આવા જ ગહનચિંતન માટે ખૂબ જ સમય હતો મારી પાસે. કદાચ આધ્યાત્મિક ચિંતનની પુખ્તતા માટે જેલથી વધારે સારું સ્થાન આ વિશ્વમાં નહીં હોય ! જેલમાં ઘણી બધી વાંચન સામગ્રી આવતી. મારો ઝોક અનાયાસે જ ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકો તરફ વધુ હતો. એકવાર મારા હાથમાં ગરૂડપુરાણ આવ્યું. સંપૂર્ણ પુસ્તિકા સંસ્કૃતમાં હતી. પરંતુ જટાબાપા જેવા વિદ્વાનનાં પુત્ર માટે તો શી મોટી વાત હતી ! પૃથ્વી પર કરેલા કર્મોનું પરલોકમાં કયું ફળ મળે છે એ તેમાં વિગતવાર સમજાવેલું. મારા કુકર્મો બદલ મને મળેલી જેલની સજા બાબતે તેમાં ખોળ્યું, પરંતુ આ શું ? એમાં તો જેલ નામની કોઈ સજાનું વર્ણન જ નહોતું ! પોતાનાં કર્મોનાં ફળઅનુસાર પૃથ્વી પર જન્મનાર તમામ પ્રાણીએ આ જેલ ફક્ત એક જ વાર ભોગવવાની હતી. માંના ઉદરની જેલ. તો પછી શું હતી મારા કુકર્મોની સજા ?

અને અંતે જડી જ ગઈ મને મારી સજા. પરલોકમાં મારા કુકર્મો અનુસાર બે સજાઓ તેમાં વર્ણવી હતી : ‘અંધકૂપમ’ અને ‘કૃમિભોજનમ’. અંધકૂપમમાં યમદૂતો જીવને એક અંધારીયા કુવામાં ફેંકી દેતાં અને ઉપરથી પથરાનો વરસાદ વરસાવતાં. ભયંકર શોરબકોર કરીને જીવને ગૂંગળાવી નાખે. કૂવામાં અસંખ્ય ઝેરી તથા ચિત્રવિચિત્ર જીવડાં અને જીવાતો હોય, જે જીવને ફોલી ખાય. જીવાતોની આ સજા એટલે જ કૃમિભોજનમ. વળી એક વાર મરીને આવેલા જીવને મરણતો હોય જ નહિ ને ! બસ, તેણે તો સાત વરસ સુધી રિબાયા જ કરવાનું. જો કે ત્યાંનો એક દિવસ અહીંનાં દસ હજાર વર્ષ બરાબર હોય, તે અલગ વાત.

જો આ સજાની જ તજવીજ ત્યાં મારે માટે હોત તો, પછી આ જેલની તો શું વિસાત….! અને મારા દિમાગમાં એક વિચાર ઝબક્યો. લોકો પોતાનું સ્વર્ગ જો પૃથ્વી પર ઊભું કરી શકતા હોય તો, હું મારા માટે અહીં નર્ક કેમ ન ઊભું કરી શકું….? ત્યાં વેઠવી પડનારી સજા હું અહીં જ, આપણી દુનિયામાં, આપણાં જ માનવો વડે કેમ ન વેઠી શકું… ? અજાણ્યું ગામ અને અંધારીયા કૂવામાં કોઈ ફેર હોતો નથી. એ ન્યાયે જેલમાંથી સજામાં રાહત મેળવીને છૂટ્યા બાદ આપના ગામમાં આવી ચઢ્યો. બાળકો વડે મરાતા પથ્થર, લોકોનાં મારા માટેનાં બૂમબરાડા, ઓટલો મળે તો ઠીક નહીં તો નદીનાળા કિનારે કે પછી ગટર… આ બધી મારી સજાનો જ ભાગ સમજું છું. આજે સાત ભાદરવાથી તમારા ગામમાં છું. ક્યાંકથી શ્રાદ્ધપક્ષમાં ખીર મળે તો અહીં લાવીને મૂકું છું. પરંતુ આજ સુધી કાગડાઓ તેને અડ્યા નથી અને કદાચ આજે પણ…’ અને તેની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. હું શૂન્ય ભાવે તેની સામે નીરખી રહ્યો. એટલામાં જ ક્યાંકથી પાંખોનો ફફડવાનો અવાજ આવ્યો. બે કાગડા ચોતરે આવ્યા. ઠુમકતાં ઠુમકતાં કપ પાસે આવ્યાં. ખીરમાં ચાંચબોળી. ખીર ખાધી અને આકાશમાં દૂર દૂર ક્યાંક ઊડી ગયા.

રોહિતની આંખમાં હજુયે આંસુ હતાં. પણ કદાચ હર્ષનાં. આજે આટલા વર્ષે તેનું ‘સાચુ પિતૃતર્પણ’ થયું હતું. વાતાવરણની ગમગીની થોડી ઓછી થતાં હું ય મારા ઘર તરફ વળ્યો.

Saturday, October 3, 2009

બારી

એ બારી હંમેશા બંધ રહેતી. નાનપણથી જ હું જોતો આવ્યો છું કે એ બારી હંમેશા બંધ હોય છે. ‘શું હશે એ બારીની બીજી તરફ ?’ બાળસહજ મારા મનમાં એ પ્રશ્ન જરૂર થતો. પણ એ બારી ક્યારેય ન ખુલતી. ક્યારેક કોઈને કહેતા સાંભળ્યા હતા કે બારીની પેલી તરફ કંઈક ભયાનક છે. પણ કોઈ સરખો જવાબ ન દેતા. એક દિવસ તો ઠપકો પણ મળ્યો કે :
‘ખબરદાર, બારી વિષે એક વાત પણ વિચારી છે તો ! આપણાં પૂર્વજોનાં જમાનાથી કોઈએ આ બારી ખોલી જ નથી.’

કોઈએ બંધ બારી ન ખોલી હોય તો શું થયું ? શું મારે પણ બારી ન ખોલવી ?! ફક્ત કોઈ કાલ્પનિક ભયથી પીડાઈને આ બારી બંધ જ રાખવી !! પણ મારો બળવાખોર સ્વભાવ બધા ઓળખી ગયા હતા. માટે બારી વિષેની ડરામણી વાતોથી માંડીને મારી ઉપર વર્તાતી કડકાઈમાં વધારો થતો ચાલ્યો. માનવનો સ્વભાવ એવો હોય છે કે જે વસ્તુની ‘ના’ પાડો એ વસ્તુ વારંવાર કરવાનું મન થાય. મને પણ બારી ખોલવાનું મન થતું. વધુ ને વધુ પ્રબળતાથી બારી ખોલવાનું મન થતું.

અને…
એક દિવસ….
ઘરે કોઈ નહોતું. મને કોઈ એકલા ન છોડતા, પણ આજે અનાયાસે ઘરે કોઈ નહોતું. ધીમે ધીમે મેં ડગલા બારી તરફ માંડ્યા. ચોર નજરે આજુબાજુ જોઈ લીધું કે કોઈ આવતું તો નથી ને ! દરેક ડગલે મનમાં રોમાંચ વધતો જતો હતો. ક્ષણેક અટક્યો. વિચાર પણ આવી ગયો કે કંઈક અજુગતું બન્યું તો ? ખરેખર કંઈક ‘ભયાનક’ હશે તો ? પણ એ વિચાર ખંખરી ફરી આગળ વધવા લાગ્યો. દરેક ડગલે વધતા હૃદયનાં ધબકારા, વધતો રોમાંચ… અને ક્યારે મેં બારી ખોલી નાખી એ યાદ ન રહ્યું…..
પણ….

….બારીની બીજી બાજુ તો હતું એક પ્રેમ ભર્યું આકાશ… લહેરાતા વૃક્ષો… કુદરતનું અનુપમ સૌંદર્ય, મ્હોરતા ફુલો, ચહેકતા પક્ષીઓ… ઘણું ઘણું… અને સાથે… અદ્દભુત આનંદ, નિતાંત શાંતિ.. મનનો રહ્યો સહ્યો ભય પણ ચાલ્યો ગયો… અને હું બોલી ઊઠ્યો : ‘આ તો મારા જ મનની બારી છે…’ કુદરત અને મારી વચ્ચે મારા મનની આ બંધ બારીનો જ પડદો હતો. કૃત્રિમતાનાં ઘરમાં એક બારી તો કુદરત તરફની હોય જ છે. બસ, જરૂર હોય છે એ બારીને ખોલવાની અને આપણી ભીતર કુદરતને આવકારવાની…

તમે એ બારી ખોલી કે નહીં ?! કુદરત છે તમારી પ્રતિક્ષામાં….

પ્રેમ અશક્યને શક્ય બનાવે છે

આત્રેયી રોજ એની મમ્મી સુચિત્રાને મળવા આવે છે. પહેલાં તો અઠવાડિયે એક વાર આવતી હતી પણ હમણાં હમણાંથી એનું આવવાનું વધી પડ્યું છે, લગભગ રોજ આવે છે. એક જ શહેરમાં રહેતી દીકરી માને મળવા આવે એમાં નવાઈ નથી, એ મળવા ના આવે તો નવાઈ; પણ સુચિત્રા મૂંઝાય છે કે દીકરી આવે તો છે પણ કેમ કંઈ બોલતી નથી ? મા-દીકરીનો સંબંધ એવો આત્મીય ગણાય છે કે કશું કહ્યા વિના ઘણું બધું કહેવાય જાય છે અને સમજાઈ જાય છે. દીકરીને જોઈને સુચિત્રાને એટલું સમજાય છે કે દીકરી બેચેન છે, કોઈ અજંપો એને પીડી રહ્યો છે. એ મને કહે નહીં તો શી રીતે આવશે એની સમસ્યાનો ઉકેલ ? શી રીતે દૂર થશે એની બેચેની, અજંપો ?

સુચિત્રા દીકરીની બાજુમાં બેસીને એને પંપાળે છે, એની ઉદાસ મુખમુદ્રા અને નિસ્તેજ આંખો જોઈને ચિંતામાં ડૂબી જાય છે. એને થાય છે દીકરી કંઈ બોલે, એની મૂંઝવણ વિશે કંઈ કહે પણ દીકરી કંઈ કહેતી નથી. છેવટે સુચિત્રાએ સ્નિગ્ધ સૂરે પૂછ્યું : ‘દીકરી, કંઈ તો બોલ. કોણે તને દુભાવી કે તું આટલી બેચેન બની ગઈ છે ?’
‘મમ્મી, બહારની કોઈ વ્યક્તિએ મને દુભાવી નથી. હું મારા કારણે જ દુ:ખી છું.’ આટલું કહીને આત્રેયી થોડી વાર અટકી અને પછી બોલી, ‘મેં ઝંખ્યું હતું એ મને અરૂપમાં દેખાયું, એટલે તો અરૂપ સાથે હું જોડાઈ. ત્યારે મારી જાતને હું નસીબદાર માનતી હતી પણ…. પણ હવે મને અરૂપના સંગે કોઈ સુખ નથી લાગતું.’
‘કંઈ સમજાય તેવું બોલ.’ ઉચાટભર્યા સૂરે સુચિત્રા બોલી.

‘મમ્મી, હવે મારા જીવનમાં મને ખાલીપો અનુભવાય છે, બધે સૂનકાર વરતાય છે, જાણે લગ્ન કરીને મેં કંઈ મેળવ્યું નથી. હું આખી જિંદગી હારી ગઈ, મેં બધું ગુમાવી દીધું હોય એવું લાગ્યા કરે છે. ત્યારે મને લાગતું હતું કે મારું સ્વપ્નું સાકાર થયું. હું મુગ્ધાવસ્થામાં પ્રવેશી ત્યારથી મારા મનમાં એક સ્વપ્નું રચાતું ગયું હતું કે હું લખલૂટ સંપત્તિની સ્વામિની બનીશ, હું દુનિયાના દેશોની સફર ખેડીશ. દેશ દેશની કલાત્મક વસ્તુઓ – ખાસ તો એન્ટીક પીસ ખરીદીને મારું ઘર સજાવીશ. મારા ઘરમાં અલગ એક લાઈબ્રેરી હશે જ્યાં પુસ્તકો જ પુસ્તકો હશે, ત્યાં દીવાલ પર સુંદર પેઈન્ટિંગ હશે. મારી જિંદગીમાં કોઈ અભાવ નહીં હોય, અછત નહીં હોય. મમ્મી, અરૂપ સાથે લગ્ન મને વૈભવી જિંદગી મળી, હું ધારું એટલા પૈસા ખરચી શકું છું છતાં હું સુખી નથી. મમ્મી, હું સુખી નથી. મને સંતોષ નથી…’

સુચિત્રા ઠરેલ અને પરિપક્વ હતી. એ દીકરીની સાથે લાગણીમાં ઘસડાઈ નથી જતી પણ સ્વસ્થ અવાજે કહે છે : ‘આત્રેયી, સદીઓથી દરેકે દરેક માણસ સુખ શોધે છે. પણ કેટલાકને સુખ મળે છે અને સંતોષથી જીવે છે જ્યારે કેટલાક સુખ માટે વલખાં મારે છે પણ સુખી નથી થતા. જિંદગીભર તેઓ તડપ્યા જ કરે છે. દીકરી, વ્યક્તિએ વ્યક્તિએ સુખની વ્યાખ્યા અલગ હોય છે. માનસશાસ્ત્રીઓ કહે છે કે માણસનું મન વિચિત્ર છે. જે વસ્તુ એ ઝંખતો હોય અને એને એ મળે પછી એનું એને આકર્ષણ નથી રહેતું. ના મિલે સોના – મિલે તો મિટ્ટી.’
‘તો મમ્મી, શું હું ચંચળ છું ? અસ્થિર મગજની છું ? મારે શું જોઈએ છે એ બાબતે હું સ્પષ્ટ નથી ? શું હું મારી જાતને સમજી શકી નથી ?’
‘આત્રેયી, તું ખોટી રીતે ઉશ્કેરાઈના જા, હું કહું છું એ શાંતિથી સાંભળ. તું તારા મનને સમજી શકી નથી એવું કશું નથી કહેતી. યુવાનીમાં દરેકનાં સ્વપ્નાં તારા જેવાં જ હોય, લખલૂટ સંપત્તિ, વૈભવી સુંવાળી જિંદગીનાં જ અરમાન હોય અને જે માત્ર સપાટી પર જીવતું હોય એને મોજશોખ ભરી સીધી સરળ જિંદગીથી સંતોષ થઈ જાય છે. પણ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે માત્ર ભૌતિક સાધન-સંપત્તિથી એમનું હૈયું નથી ભરાતું. હા, થોડીક ક્ષણો માટે એ ભોગવિલાસની સામગ્રી એમને સુખ આપી શકે છે, પણ પછી એ વસ્તુઓ તુચ્છ લાગવા માંડે છે. મન ઉત્સાહહીન અને સુસ્ત બની જાય છે. તેમને થાય છે, મેળવવા જેવું એમને મળ્યું નથી.’

‘મમ્મી, હવે તો મને ડર લાગવા માંડ્યો છે કે મારી આ ઉદાસીનતા અમારા દામ્પત્યજીવનમાં તિરાડ ના પાડે. હું મનોમન કોચવાયા કરતી હોઉં, ભીતરમાં કોઈ અભાવથી પીડાયા કરતી હોઉં તો હું પૂરી પ્રફુલ્લિત ના હોઉં, અને અરૂપના સંગે પણ ખીલી ના ઊઠું તો અરૂપને પૂર્ણ સુખનો અનુભવ ના થાય, એનેય મારી ઉદાસીનતા ખટકે, એનેય કંઈક ખૂટતું લાગે તો એના માટે હું જ ગુનેગાર ગણાઉં ને ? મારી આ મનોદશા એ સરળ સ્નેહાળ માણસને ખૂંચે તો ખરી જ ને ! મમ્મી, પણ મારા સ્વપ્ન પુરુષ સાથે એનો મેળ નથી ખાતો. મેં ધારણા રાખી હતી કે એને મારી જેમ સાહિત્ય, સંગીત અને કલામાં રુચિ હશે, પણ એને એ વિષયોમાં રસ નથી. મેં એનામાં જે જોવાની અપેક્ષા રાખી હતી એ સંતોષાઈ નથી. એ આખું ઘર સપાટી પર જીવનારું છે. એનાં મમ્મી, પપ્પા, એની બહેન ઋતા સાવ ફલેટ છે. સ્વભાવે તેઓ સારા છે. મળતાવડા છે, કોઈનું બૂરું કરે નહીં કે ઈચ્છે નહીં, સદાચારી છે. પણ અહીં ટાગોર કે નરસિંહ મહેતા અને મીરાંબાઈનાં ગીતોની વાતો નથી થતી. માઈકલએન્જેલો કે રેમ્બ્રોના નામ એમણે સાંભળ્યાં નથી. એમનામાં સૌંદર્યદષ્ટિ નથી, માધુર્ય નથી, રંગ નથી, ત્યાં સાહસભર્યા પુરુષાર્થની વાતો થતી નથી. ક્યાંક પ્રવાસે જઈએ તો પ્રકૃતિના સૌંદર્યની વાત કરવાના બદલે કઈ હોટલમાં કેવી સગવડો છે ને શું ચાર્જ છે ને ત્યાં ખાવાનું કેવું છે એની વાતો થાય છે. રોજ સાંજ પડે બધાં ભેગાં મળીને લીવિંગરૂમમાં બેઠાં હોઈએ ત્યારે કોઈ બૌદ્ધિક વિષયની ચર્ચા તો કદી થતી નથી. થાય છે કારનાં લેટેસ્ટ મૉડલની વાતો, અને ફૅશનોની વાતોથી આગળ તેઓ વધતાં નથી. એમની માનસિક ક્ષિતિજો વિસ્તરી નથી. એમની પાસેથી આપણને માહિતી મળી શકે પણ જ્ઞાન કે ડહાપણની વાત ના મળી શકે. તેથી એમની વાતોમાં મને રસ નથી પડતો. તેમની વાતો મને ક્ષુલ્લક લાગે છે. તેમની પાસે મબલક પૈસો છે. એ પૈસો ધાર્મિક પૂજાવિધિ અને અનુષ્ઠાનોમાં વપરાય છે પણ સાચો ધર્મ કોને કહેવાય એનો કદી તેઓ વિચાર નથી કરતાં. સાચી આધ્યાત્મિકતાનો એમને પરિચય નથી. એમની વિચારસરણીમાં હું ના જોડાઈ શકું. તેઓ કૂપમંડૂક છે. હા, તેઓ મારી પર હેત રાખે છે. મને કોઈ રોકટોક નથી કરતા. કોઈ વાતે મારી પર દબાણ નથી લાવતા, છતાંય મને એમની સાથે રહેવામાં કંટાળો આવે છે.

મેં તો કેવાં કેવાં સ્વપ્નાં જોયાં હતાં. પણ અહીં તો સાવ શુષ્ક જિંદગી છે. જિંદગીનાં વિવિધ સ્વરૂપો અને માનવમનનાં ઊંડાણ અને ગતિવિધિ જાણવાની એમને જિજ્ઞાસા નથી. એમની માનસિકતા અને જીવનશૈલીમાં કોઈ સુધારો નથી થયો. બાપદાદા વખતના રીતરિવાજ ચાલ્યા કરે છે. એમાં કોઈ નવીનતા કે તાજગી ઉમેરાતાં નથી. તેઓ મને કોઈ ત્રાસ કે પીડા આપતા નથી છતાં ત્યાંના વાતાવરણથી હું થાકી જાઉં છું, ત્યાં હું ગૂંગળાઉં છું, પળેપળે મરતી જાઉં છું. મારા ઠેકાણે બીજી કોઈ યુવતી હોત તો એ આટલો વૈભવ અને આવા સાલસ સાસરિયાં મેળવીને ધન્યતા અનુભવત. જ્યારે મારા માટે જિંદગી એક બોજ બની ગઈ છે. મને ત્યાં ગમતું નથી. મને થાય છે પસંદગી કરવામાં મેં ભૂલ કરી છે. ઉતાવળ કરી છે.’
‘તું બે ત્રણ વાર મળી હતી અને તારી મેળે તેં નિર્ણય કર્યો હતો…..’ સુચિત્રા બોલી.
‘ત્યારે મેં એમની બાહ્ય જીવનશૈલી જોઈ, એમની સંપત્તિ જોઈ અને મને થયું અહીં હું મનમાની રીતે જીવી શકીશ. સ્વભાવ ઋજુ અને સરળ છે તેથી કોઈ વિખવાદ નહીં થાય. જીવન સુસંવાદી અને હર્યુંભર્યું હશે. ત્યારે મને ખ્યાલ જ ના આવ્યો કે હું જે ધારણા બાંધું છું એ પ્રમાણે ના પણ હોય.’
‘બેટા, આવો ચિરકાળનો સંબંધ ધારણા અને અનુમાન પર ના બંધાય. ધારણા ખોટી પણ ઠરે.’
‘ત્યારે તેં મને કેમ ચેતવી નહિ કે પસંદગીમાં ઉતાવળ ના કર…’ આત્રેયીએ પૂછ્યું.
‘બેટા, જિંદગીમાં ક્યાંય પસંદગી છે ખરી ? લગ્નમાં પસંદગી છે એવો લોકો ભ્રમ સેવે છે. તેઓ માને છે અમે જીવનસાથીની પસંદગી કરી, પણ ત્યાંય તમે ગમે તેટલું વિચારી, ગણતરી કરીને નિર્ણય કરો તોય ઘણું બધું આપણા હાથમાં નથી, અનુમાન સાચા નથી ઠરતાં. માટે શ્રેષ્ઠ માર્ગ કે પસંદગી જ ના કરવી. અમારા જમાનામાં બધું ઈશ્વરના હાથમાં છોડી દેવાતું હતું. ખરી રીતે તો ‘પસંદગી ના કરવાની’ પસંદગી કરીને જે પાત્ર મળે એની સાથે અનુકૂલન સાધવું જોઈએ.’ માની વાત સાંભળીને આત્રેયી છેડાઈ પડી :
‘જા, જા હવે… જિંદગીનો મહત્વનો નિર્ણય એમ ના કરાય. આ જમાનામાં તો તું કહે છે તે રીત સાવ જુનવાણી, મૂરખામીભરી ગણાય. આંખ મીંચીને કોઈ અજાણ્યાની સાથે જીવન ના જોડાય.’

‘અરે એમાં તો ખરો રોમાન્સ છે. આંખ મીંચીને કોઈ અજાણ્યાના હાથમાં મૂકી દેવો અને ભવિષ્યના અગોચર પ્રદેશમાં ઊડવું.’ આવું કહીને હસતાં હસતાં સુચિત્રાએ દીકરીને નિરાશામાંથી બહાર કાઢી, અને હળવાશથી મૂડમાં લાવી દીધી પછી બોલી, ‘આત્રેયી, કોઈ એક સ્વપ્નું લઈને તેં નવજીવનનો પ્રારંભ કર્યો પણ તને વાસ્તવનો અનુભવ કંઈક જુદો થયો. તારી અપેક્ષા મુજબ જીવન આકાર નથી લેતું એમાં આટલું નિરાશ શું થવાનું ? તારી ઉદાસીનતા, નિરાશા ખંખેરી નાખ. તારે તારી જીવનદષ્ટિ બદલવાની જરૂર છે. જીવન જીવવાની એક કલા છે, તે એક ખાસ નજર અને કૌશલ માગી લે છે. તને જે મળ્યું છે તેનો જરાય વસવસો કર્યા વિના વાસ્તવિકતાનો સંપૂર્ણ મનથી સ્વીકાર કર. તું સાત્વિક, જીવનલક્ષી પ્રેરણાત્મક સાહિત્ય વાંચ એટલે તારી દુર્બળતા જતી રહેશે. તારું મન દઢ બનશે. જીવનમાં ઊભો થયેલો પડકાર તને ગભરાવી નહીં મૂકે, અને તું એક વાત યાદ રાખ કે માણસનું મન પરિવર્તનશીલ છે. માણસને ખબર ના પડે તેમ એ બદલાતો રહે છે. એને જેવો સંગ મળે તેવો એ બને છે. અરૂપને તારા પર પ્રેમ છે. તેથી ધીરે ધીરે તારી પસંદ એની પસંદ બની જશે. એ તારી રીતે વિચારતો થઈ જશે. બેટા, પ્રેમમાં અગાધ તાકાત હોય છે. માટે તું ધીરજ રાખ, સમતા રાખ, સંયમ રાખ અને આશાવાદી બન.

બે વ્યક્તિ બે મટીને એક થવાનો પડકાર ઝીલે એ બહુ મોટું સાહસ છે, માર્ગમાં નાનીમોટી સમસ્યાઓ તો આવે જ. નિર્ભેળ, નર્યું સુખ જીવનમાં કોઈ નસીબદારને જ મળે, જીવનમાં ધાર્યા પ્રમાણે ના થાય ત્યારે ગભરાવાનું નહીં કે ખોટી શંકા,કુશંકા નહિ કરવાની. પ્રેમમાં શ્રદ્ધા રાખવાની. પ્રેમ નહીં ધારેલા ચમત્કાર સર્જે છે. દામ્પત્યજીવનની સફળતા માટે પતિ-પત્ની બેઉએ મથવાનું છે. લગ્ન આપમેળે સ્વયંભૂ સફળ નથી નીવડતાં, એને સફળ બનાવવા સભાન પ્રયત્ન કરવો પડે છે. એ ગુડ મેરેજ મસ્ટ બી ક્રિએટેડ ડેઈલી. અને તું યાદ રાખ, દરેક માણસનું મન અકળ હોય છે. કઈ ઘડીએ કઈ લાગણી અનુભવશે એ કહી શકાતું નથી. ક્યારેક આશા-અપેક્ષા મુજબ સામેથી પ્રત્યુત્તર ના મળે તોય કોઈ નકારાત્મક વિચાર નહિ કરવાનો, પતિ-પત્ની વચ્ચેની આત્મીયતાનો લય ખોરવાવો ના જોઈએ. બેટા, લગ્ન કર્યા પછી આદર્શ પતિ ના શોધાય. પતિનાં પારખાં ના લેવાય પણ પ્રેમ કરાય. સ્નેહ, સહિષ્ણુતા, ઉદારતા, સંબંધ ટકાવી રાખવાની ખેવના, સમય પારખવાની સૂઝ, ક્યારે બોલવું, ક્યારે મૂંગા રહેવું એની સમજ, નમ્રતા અને ખાસ તો જિંદગીને અખિલાઈપૂર્વક જોવાની પરિપક્વતા પતિપત્ની બેઉમાં હોવાં જોઈએ. તો જ લગ્ન સફળ થાય. પતિપત્ની માટે અન્યોન્યમાં ખામી શોધવી સહેલું છે પણ એમ કરવામાં જીવનમાંથી ઘણી બાદબાકી થઈ જાય છે. અને યાદ રાખ કે કોઈ પણ લગ્ન પરફેક્ટ નથી હોતાં. થોડી ચિંતનશીલતા દાખવવાની, થોડી બાંધછોડ કરવાની અને પ્રિયજનની ભીતર ડોકિયું કરવાનું. તો એને સમજી શકાશે અને શાંત, ગહન પ્રેમની અનુભૂતિ થશે. બેટા, તારું જીવન સુખભર્યું બનાવવાનું તારા હાથમાં છે.’

માની સ્નેહભરી વાતો સાંભળીને આત્રેયી ચિંતામુક્ત થઈ. એના હૃદયમન પરથી મોટો બોજો હટી ગયો. ફરી એક વાર એના જીવનમાં આશા ઉમંગ જાગ્યાં. હવે અરૂપના સંગે એ ઉદાસ નથી થઈ જતી પણ આવતી કાલ એની જ હશે એવા ભરોસે એ ખુશખુશાલ રહે છે.

Wednesday, April 22, 2009

ચમત્કારની કિંમત ....!!!!!

ટેઝી નામની એ છોકરીની ઉંમર હતી ફકત આઠ વરસ. ન્યૂયોર્કના એક પરગણામાં એ, એનો બે વરસનો ભાઈ એન્ડ્રયુ અને એનાં માતા-પિતા એમ ચાર જણ રહેતાં હતાં. ટેઝીને એન્ડ્ર્યુ ખૂબ જ વહાલો હતો. એમાંય જ્યારથી એ બરાબર ચાલતાં શીખી ગયો હતો ત્યારથી તો જાણે ટેઝીની દુનિયા જ બદલી ગઈ હતી. નિશાળેથી આવ્યા પછી છેક સૂવાની ઘડી સુધી એન્ડ્ર્યુ સાથે એની ધિંગામસ્તી ચાલતી જ હોય. નિશાળનું લેસન પણ એની મમ્મી પચાસ વખત માથાં ફોડે ત્યારે માંડ પૂરું થઈ શકતું. આખો દિવસ ભાઈ-બહેનની કિલકારીઓથી એમનું ઘર ગુંજતું રહેતું.

પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આવા સરસ વાતાવરણને જાણે કે ગ્રહણ લાગી ગયું હતું. એન્ડ્ર્યુ માંદો પડી ગયો હતો. મા-બાપની વાત પરથી ટેઝીને એટલું સમજાયું હતું કે એન્ડ્ર્યુના મગજમાં કંઈક ગાંઠ કે એવી કોઈ ગરબડ ઊભી થઈ હતી. પણ એનાથી વિશેષ એ કંઈ પણ જાણતી નહોતી. ઘરના બદલાયેલા વાતાવરણે ટેઝીને પણ એની ઉંમર કરતાં વધારે ગંભીર બનાવી દીધી હતી.

એક બપોરે નિશાળેથી આવ્યા બાદ ટેઝી પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે બાજુના રૂમમાંથી એની મમ્મીના રડવાનો અવાજ આવ્યો. અવાજ ન આવે તેવી રીતે ચૂપચાપ એ બારણાંની પાછળ મમ્મી શું કામ રડે છે તે જાણવા ઊભી હતી.
‘તો ? આપણે એન્ડ્ર્યુને સારો કરવા ઘર વેચી દેવું પડશે ? ખરેખર ?’ એની મમ્મી રડતાં રડતાં બોલી.
‘બીજો કોઈ છૂટકો જ નથી. અને તો પણ એને સાજો કરી શકાય એટલા પૈસા તો નથી જ ઊભા થઈ શકે તેમ.’ એના પપ્પાએ નિસાસો નાખ્યો.
‘તો હવે શું થશે ? આપણો એન્ડ્ર્યુ….’ એની મમ્મીનાં આંસુ અટકતાં જ નહોતાં. એ ત્રુટક ત્રુટક શબ્દોમાં માંડ માંડ બોલતી હતી.
‘બસ, હવે તો એને ફકત ચમત્કાર જ બચાવી શકે.’ એના પપ્પા બોલ્યા પછી માબાપ બંને આંસુ સારતાં બેસી રહ્યાં.

ગમે તે હોય, પરંતુ પેલી ચમત્કારવાળી વાત ટેઝીના મગજમાં બરાબર ફિટ બેસી ગઈ. એણે થોડીક વાર સુધી શું કરવું એનો વિચાર કર્યો પછી પોતાની નાની બચતનો ગલ્લો (પિગીબૅંક) બહાર કાઢ્યો. એમાં એકઠા કરેલ પૈસા એણે પોતાની પથારી પર ઠાલવીને ગણ્યા. બરાબર એક ડૉલર અને તેર સેંટ થયા. (આશરે અડતાળીસ રૂપિયા). બરાબર ગણીને કાળજીપૂર્વક આ રકમ એણે એક પ્લાસ્ટિકની કોથળીમાં ભરી. પછી એક હાથમાં કોથળી પકડી હળવેથી એ પાછળના બારણેથી નીકળી ગઈ.

ટેઝીના ઘરથી થોડેક દૂર એક મેડિકલ સ્ટોર હતો. એ ત્યાં પહોંચીને કાઉન્ટર પાસે ઊભી રહી. કાઉન્ટર પર હાજર ફાર્માસિસ્ટ એક અન્ય વ્યક્તિ સાથે વાત કરવામાં મશગૂલ હતો એટલે એણે ટેઝીના આવવા પ્રત્યે ધ્યાન ન આપ્યું. આમેય ટેઝીનું માથું માંડ કાઉન્ટર સુધી પહોંચતું હતું. ખાસ્સી વાર થવા છતાં દુકાનદારનું ધ્યાન ન ગયું. એટલે ટેઝીએ પોતાના હાથમાં રહેલી સિક્કાઓની કોથળીને કાઉન્ટરના કાચ પર થપથપાવી તથા એક વિચિત્ર અવાજવાળી ઉધરસ પણ ખાધી ! એની આવી હરકત દુકાનદારનું ધ્યાન ખેંચવામાં સફળ નીવડી. થોડીક ચીડ સાથે એણે કહ્યું : ‘અલી છોકરી, શું જોઈએ છે તારે ? શું કામ આવો ખખડાટ કરી રહી છો ? મારો ભાઈ ઘણા વખતે શિકાગોથી આવ્યો છે, એની સાથે મને બે ઘડી નિરાંતે વાત તો કરવા દે !’
‘હું પણ મારા ભાઈની વાત કરવા માગું છું. એ બે વરસનો છે અને ખૂબ જ માંદો છે. મારા પપ્પા કહે છે કે હવે તો એને ચમત્કાર જ બચાવી શકે તેમ છે. એટલે હું ચમત્કાર ખરીદવા આવી છું.’
‘ફરી વખત બોલ તો બેટા, શું કહ્યું તેં ?’ દુકાનદાર પર ટેઝીની વાતની કંઈક અસર થઈ હોય તેવું લાગ્યું.
‘મારા નાના ભાઈનું નામ એન્ડ્ર્યુ છે. એને મગજમાં કંઈક બીમારી થઈ છે. અમે એને સારો કરવા માટે ઘર પણ વેચી દેવાના છીએ. તેમ છતાં મારા પપ્પા કહે છે કે પૈસા ઘટશે અને એને ફકત ચમત્કાર જ બચાવી શકે તેમ છે. જુઓ, મારી પાસે મારી બચતના પૈસા છે, એમાંથી જો આવી શકે તો તમે મને ચમત્કાર વેચાતો આપો ને ! મને મારો ભાઈ એન્ડ્ર્યુ ખૂબ વહાલો છે. જો ચમત્કાર નહીં મળે તો….’ નાનકડી ટેઝીની આંખો ભરાઈ આવી. એના ગળે ડૂમો બાઝી ગયો. એનાથી થોડી વાર આગળ કંઈ પણ બોલી શકાયું નહીં.

દુકાનદાર ટેઝીની વાતથી વ્યથિત થઈ ગયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવતું હતું. ટેઝી તરફ ઝૂકીને બને એટલી નરમાશથી એણે કહ્યું : ‘મને માફ કરજે બેટા ! પરંતુ આ દુકાનમાં અમે ચમત્કાર નથી રાખતા કે નથી વેચતા. સૉરી બેટા !’
‘જુઓ અંકલ ! મારી પાસે આ કોથળીમાં જે પૈસા છે તે ઓછા લાગતા હોય તો કહી દેજો. હું ઘરેથી મારી મમ્મી પાસેથી વધારે પૈસા લેતી આવીશ. ફક્ત મને એટલું તો કહો કે ચમત્કારની કિંમત કેટલી થાય ?’

અત્યાર સુધી ચૂપચાપ આ બધી વાત સાંભળી રહેલ દુકાનદારના ભાઈએ ટેઝીની નજીક આવી તેના માથે હાથ મૂકીને પૂછ્યું : ‘દીકરી, ચમત્કારો તો ઘણા પ્રકારના મળે છે. મને ફકત એટલું કહે કે તારા ભાઈને કેવા ચમત્કારની જરૂર છે ?’
અત્યંત લાગણીથી એ માણસે પૂછ્યું એટલે ટેઝીની આંખો ફરીથી ભરાઈ આવી. થોડી વાર રહીને એ બોલી, ‘એ તો મને ખબર નથી અંકલ ! પણ એને કોઈક ઑપરેશનની પણ જરૂર છે. એના મગજમાં કંઈક તકલીફ થઈ છે. પણ અમારી પાસે પૂરતા પૈસા નથી. બસ, મને એનાથી વધારે કંઈ પણ ખબર નથી. પરંતુ મારા પપ્પા કહેતા હતા કે એને ફકત ચમત્કાર જ બચાવી શકશે. એટલે મારી પિગીબૅંકમાં મેં જે પૈસા ભેગા કર્યા હતા, એમાંથી હું ચમત્કાર ખરીદવા આવી છું !’

પેલા અજાણ્યા માણસે બે ક્ષણ પૂરતો વિચાર કર્યો. પછી એણે ટેઝીને કહ્યું : ‘હમ્….મ્…મ્… ! તો એમ વાત છે ? અચ્છા દીકરી, તું અત્યારે કેટલા પૈસા લાવી છો ?’
‘એક ડૉલર અને તેર સેંટ’ ટેઝીએ જવાબ આપ્યો.
‘એક ડૉલર અને તેર સેંટ ?! શું વાત છે !’ પેલા માણસે જાણે કે એ ખુશીથી ઊછળી પડ્યો હોય તેમ કહ્યું. ‘અરે બેટા ! આ તો એકદમ બરાબર રકમ છે. નાના ભાઈઓ માટેના ચમત્કારની કિંમત એક ડૉલર અને તેર સેંટ જ થાય છે. કેવો યોગાનુયોગ ! હું એ પૈસા તારી પાસેથી લઈને તને એ ચમત્કાર જરૂર આપી શકીશ. પણ એ પહેલાં ચાલ, તું મને તારાં મમ્મી-પપ્પા પાસે લઈ જા !’

પેલા માણસે ટેઝીનો હાથ પકડ્યો. ટેઝી એને પોતાના ઘરે લઈ ગઈ. એ માણસે ટેઝીનાં મા-બાપ સાથે બધી વાતો કરી. બીજા જ અઠવાડિયે એક પણ પૈસાના ખર્ચ વિના એન્ડ્ર્યુનું ઓપરેશન શિકાગોની ખ્યાતનામ હોસ્પિટલમાં થઈ ગયું. એ માટે ટેઝીનાં મમ્મી-પપ્પાને ઘર પણ વેચવું ન પડ્યું. ચમત્કાર વેચનાર એ માણસ હતો ડૉકટર કાલર્ટન આર્મસ્ટ્રોંગ – જાણીતો ન્યુરોસર્જન. ટેઝીની વાતે એને એવી તો અસર કરી હતી કે ખરેખર એણે એક ડૉલર અને તેર સેંટમાં ચમત્કાર કરી દીધો !

બીજા અઠવાડિયે એન્ડ્ર્યુ ઘરે આવી ગયો. સાવ સાજોસારો. એ દિવસે રાતના ભોજન વેળા બધાં બેઠા હતાં ત્યારે પોતાના હાથે જ ચમચી વડે સૂપ પીતાં એન્ડ્ર્યુને જોઈને એની મમ્મીની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. એ એટલું જ બોલી શકી, ‘ખરેખર, એન્ડ્ર્યુને ચમત્કારે જ બચાવ્યો છે. નહીંતર ખબર નહીં, એની કેટલી કિંમત ચૂકવવી પડત ?’
‘એક ડૉલર અને તેર સેંટ !’ બાજુમાં બેઠેલી ટેઝી બોલી ઊઠી, ‘નાના ભાઈ માટેના ચમત્કારની કિંમત થાય એક ડૉલર અને તેર સેંટ ! તમને એની ક્યાંથી ખબર હોય ?!’
‘અને પોતાના નાના ભાઈને બચાવવા માટેનો બહેનનો પ્રેમ અને અવિચળ શ્રદ્ધા પણ જોઈએ ને !’ ટેઝીના માથે હાથ ફેરવીને એના પપ્પા બોલ્યા. આવી વાતોના અર્થથી અજાણ ટેઝી અને એન્ડ્ર્યુ પહેલાંની માફક જ એકબીજાં સામે જોઈને ખડખડાટ હસતાં હતાં.


પ્રિય પપ્પા, હવે તો તમારા વગર,
મનને ગમતું નથી ગામ ફળિયું કે ઘર.

આ નદી જેમ હું પણ બહુ એકલી,
શી ખબર કે હું તમને ગમું કેટલી!

આપ આવો તો પળ બે રહે છે અસર,
જાઓ તો લાગે છો કે ગયા ઉમ્રભર.

મનને ગમતું નથી ગામ ફળિયું કે ઘર…

યાદ તમને હું કરતી રહું જેટલી,
સાંજ લંબાતી રહે છે અહીં એટલી.

વ્હાલ તમને ય જો હો અમારા ઉપર,
અમને પણ લઇને ચાલો તમારે નગર.

મનને ગમતું નથી ગામ ફળિયું કે ઘર…

ભારતના તાલીબાનોએ હદ વટાવી…

ટીવીમાં જે રીયાલીટી શો બતાવવામાં આવે છે એમાં રજુ થતાં દ્રિઅર્થી અર્થ તથા કપડાની અછતવાળા દ્રશ્યોનો વિરોધ કેમ નથી થતો. ફિલ્મને હીટ કરવા માટે જે ગરમાગરમ દ્રશ્યો કે ગીત ભભરાવવામાં આવે છે એનો વિરોધ કેમ કોઇ કરતું નથી. વિરોધ કરવાનો છે ત્યાં નથી કરાતો…

વેલેન્ટાઇનના દિવસે જાણે કે બજરંગ દળ અને શિવસેના ઉંઘમાંથી ઉઠી છે. વરસના વચલા દિવસે તેમના દિલમાં જાણે કે રામ વસી આવ્યા અને નીકળી પડ્યા છે સમાજ સુધારવા. વેલેન્ટાઇન દિવસે તેમણે આચરેલ જુલમ જોતાં કોઇ સંગઠનના કાર્યકરો કહેવા એના કરતાં તો ગુંડા કહેવા વધુ ઉચીત ગણાશે.

આખા વરસ દરમિયાન જાહેર સ્થળોએ યુવા હૈયાઓ એકબીજા સાથે સરળતાથી મળતા હતા એવા યુવાઓને આજે એકબીજા સાથે ફરતા પણ અટકાવવામાં આવ્યા. આનાથી પણ વધુ જાણે કે સમાજ સુધારવાનો ઝંડો તેમના હાથમાં આવ્યો હોય કાર્યકરોના વેશમાં રહેલા ગુડાઓએ યુવતીઓ અને યુવાનો સાથે શરમનાક વ્યવહાર કર્યા.

કોઇના મોં કાળા કરાયા તો કોઇને ગડદાપાટુંનો માર માર્યો. જાહેરમાં યુવતીઓ સાથે અભદ્ર વ્યવહાર કરનારા આ લોકો કયા ભદ્ર સમાજની વાતો કરવા નીકળ્યા છે? આવા શખ્સો તાલિબાનો કરતાં કંઇ ઓછા નથી. પરંતુ આમાં આ લોકો જેટલા જવાબદાર છે એટલી જ આપણી સુરક્ષા એજન્સીઓ, આમ જનતા પણ જવાબદાર છે.

આપણે શું ? જનતાના આવા વલણને લીધે જ આવા લોકોને છુટ મળે છે. પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારીએ આજે જે સ્વીકાર કર્યો કે અમે તાલિબાનને ઓળખવામાં થાપ ખાઇ ગયા છીએ. તાલીબાને પાકિસ્તાનને ચોમેરથી સંકજામાં લીધું છે. કદાચ આપણા ત્યાં પણ આવું ના થાય કે કહેવાતા આ સંગઠનો દેશને અંદરથી સંકજામાં લઇ લે અને આપણે સૌ જોતા રહીએ.

સમાજમાંથી ચોક્કસપણે દુષણો દુર થવા જ જોઇએ, પરંતુ એ વિચાર કર્યો છે કે શરૂઆત ક્યાંથી થાય છે એ જાણવાનો કોઇ પ્રયાસ કરતું નથી. ટીવી સિરીયલો તથા રીયાલીટી શોમાં રજુ થતાં દ્રિઅર્થી અર્થ તથા કપડાની અછતવાળા દ્રશ્યોનો કોઇ વિરોધ કેમ કરતું નથી. ફિલ્મને હીટ કરવા માટે જે ગરમાગરમ દ્રશ્યો કે ગીત ભભરાવવામાં આવે છે એનો વિરોધ કેમ કોઇ કરતું નથી. જ્યાં વિરોધ કરવાનો છે ત્યાં કોઇ આગળ આવતું નથી? સંસ્કૃતિની રક્ષાના નામે જાહેરમાં સંસ્કૃતિનું હનન કરવામાં આવે છે. ક્યારે જાગશે આમ આદમી…ક્યારે આવશે સાચી સમજણ….

એકસ્ટ્રા સ્ટ્રોક
ભારતીય સંસ્કૃતિના નામે પ્રેમીઓ સાથે અભદ્ર વ્યવહાર કરી કેટલાક લોકોએ જાહેરમાં સંસ્કૃતિનું હનન કર્યું. યુવક યુવતીઓને ઉઠબેઠક કરાવવામાં આવી, યુવક-યુવતીઓના મોં કાળા કરવામાં આવ્યા. ગુંડાઓને તો યુવતીઓનું જાહેરમાં હનન કર્યું પરંતુ ટીવી ચેનલોએ પણ યુવતીઓના ચહેરા બતાવી યુવતીઓને જાહેરમાં બેઆબરૂ કરી.

પહેલી નજરને લગ્નમાં ના ફેરવશો....!!!!

જીવનસાથી વિશે જ્યારે વાત કરીએ ત્યારે દરેકના માનસપટ પર એક છબી આવે છે કે તેને કેવા જીવનસાથીની શોધ છે. જીવનસાથીની પસંદગી માટે સૌને પોત પોતાની એક અલગ જ સપનાની દુનિયા હોય છે. પરંતુ આ માત્ર સપના પુરતુ જ નથી આ એક હકીકત છે અને તેને હકીકતની રીતે જ લેવું જોઈએ. કેમકે ઘણી વખત ઈચ્છા મુજબનો જીવનસાથી ન મળવા પર બધા જ સપના પર પાણી ફરી વળે છે.

લગ્ન એક એવો નિર્ણય છે જેની પર આપણી આખી જીંદગી ટકેલી છે. તે આપણી આખી જીંદગીને પ્રભાવિત કરે છે માટે હંમેશા એવો પાર્ટનર શોધો જે તમને હંમેશા ખુશ રાખે. જો તમે એવું વિચારતાં હોય કે લગ્ન બાદ પાર્ટનરનો વ્યવહાર બદલાઈ જશે તો એવું કદાપિ નથી થતું. પહેલી નજરે જોયેલા પ્રેમને ક્યારેય પણ લગ્ન પરિણયમાં ન બાંધશો. કેમકે ઘણી વખત લગ્નજીવન બાદ ખબર પડે છે કે તેમણે ઘણી ઉતાવળ કરી દિધી અને ખોટો નિર્ણય લેવાઈ ગયો છે.

લગ્ન હંમેશા તેવા વ્યક્તિ સાથે કરવા જોઈએ જે પોતાની જવાબદારીઓને સારી રીતે સમજતો હોય. પહેલા નજરનું આકર્ષણ ક્યારેય પણ વધારે સમય સુધી ટકતું નથી. બધાની અલગ અલગ ભાવનાઓ હોય છે આ વાતને યાદ રાખવી. જ્યાં છોકરી એવું ઈચ્છે છે કે તેના પાર્ટનરની નજરમાં તે બધા કરતાં સ્પેશ્યિલ હોય ત્યાં છોકરાની વિચારસરણી એકદમ અલગ જ હોય છે. એટલા માટે લગ્ન પહેલાં પોતાના વિચારોની આપ લે કરવી જરૂરી છે. કેમકે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે બંનેની વિચારસરણી એકબીજા કરતાં તદ્દન અલગ જ હોય છે અને ત્યાં પછી સર્જાય છે મહાભારત.

એક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે કોઈ પણ સંબંધને જાળવી રાખવા માટે વિશ્વાસ અને વફાદારી ખુબ જ મહત્વની છે. એક કહાવત છે કે ‘પ્રેમ કરવો સરળ છે પરંતુ નિભાવવો મુશ્કેલ′ બસ તે જ રીતે સંબંધ બનાવવો સહેલો છે પણ તેને જાળવી રાખવો મુશ્કેલ′. જો તમારા બંનેની વચ્ચે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો એકબીજાની સાથે ખુલ્લા મને ચર્ચા કરીને તેનું સમાધાન શોધવું. પરંતુ હા વાતચીત દરમિયાન એવા શબ્દોનો ક્યારેય પણ પ્રયોગ ન કરવો જેથી કરીને તમારા પાર્ટનરનું દિલ દુ:ખે.

એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે તમારા વચ્ચેના ઝઘડાને અન્ય લોકો સુધી ન પહોચવા દેશો કેમકે બધાના મત અલગ અલગ હોય છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે મિત્રો, પેરેંટ્સ અને સગાસંબંધીઓને લીધે પણ સંબંધમાં ખેંચમતાણ અનુભવાય છે. તો તમારા સંબંધોમાં કોઈને પણ ડોકિયા કરવા દેશો નહિ.

યોગ્ય જીવનસાથીની શોધ દરેકને હોય છે પરંતુ નાનું સરખું એક ખોટુ પગલું પણ તમારી જીંદગીને છીન્ન ભિન્ન કરી નાંખશે એટલા માટે ખુબ જ સમજી વિચારીને લગ્ન કરવા જેથી કરીને લગ્નજીવન બાદ તમારી જીંદગી હંમેશા ખુશીઓથી ભરેલી રહે ના કે દુ:ખોથી.

Monday, April 6, 2009

મા તે મા !

ઘરમાં લગભગ સતત ચાલ્યા કરતા માંદગીના ચક્કરથી કંટાળી હું એક જ્યોતિષ મિત્રની ઑફિસમાં જાઉં છું. પ્રતીક્ષા ખંડમાં હું મારો વારો આવવાની પ્રતીક્ષા કરતી બેઠી હોઉં છું, ત્યાં જ બારણું ખૂલે છે. અંદરથી એક પંદર-સોળ વર્ષની છોકરી બહાર આવે છે, બલ્કે એને બહાર લાવવામાં આવે છે, એ જરાતરા ડગ ભરે છે. બાકી તો એને એની માતા અને અન્ય સંબંધી ઝાઝી-ઝાલીને દસ-પંદર ડગલાં ભરાવે છે. છોકરીને ખુરશી ઉપર બેસાડવામાં આવે છે. એનું માથું, ખભો બધું નીચે ઢળ્યાં કરે છે. મહાપરાણે એ એનું માથું સહેજ ઊંચકી બધાંને જોઈ શકે છે. એની માતા સતત એને ખભેથી ઝાલી રાખે છે.

માતાની ઉંમર પણ ઝાઝી નથી. એ આશ્ચર્યકારક રીતે હસમુખી અને આનંદી છે ! છોકરીને કારની ચાવી પકડવા માટે કહે છે. છોકરી જેમતેમ એક વેંત જેટલો હાથ લંબાવી ચાવી પકડે છે. માતા ખુશખુશાલ થઈ જાય છે. ‘ચાવી તારી છે ? કાર તારી છે ?’ જેવાં પ્રશ્નો માતા પાંચ-સાત વાર પૂછે ત્યારે છોકરીના મગજ સુધી પહોંચે છે. જો છોકરી સાચો જવાબ આપે તો માતા રાજી થઈ જાય છે. કદીક છોકરી માથું હલાવી હા કે ના કહે છે. કદીક તે તેની માતા જ સમજી શકે તેવા ધીમા અવાજે બોલે છે. ‘ભાઈ ક્યાં છે ? ભાઈ શું ભણે છે ? ભાઈ મોટો કે તું ? તું કેટલું ભણી છે ?’ ડોકું ઢળી જતું જતું, મોઢું લાળ ટપકતું ટપકતું, ‘હા-ના’માં કે હોઠના ફફડાટથી ઉત્તર આપ્યા કરે છે. માતા કહે છે, ‘થોડા મહિનાથી જ એને આવું છે. એ તો એસ.એસ.સી. પાસ થઈ તે પછી કદીક કદીક ચક્કર આવતા પડી જતી. છેલ્લે એને ખેંચ આવી પછી આવી થઈ ગઈ ! અમે મુંબઈમાં રહીએ છીએ. ડૉક્ટરો કહે છે : મગજ ડૅમેજ થાય છે.’

મારા હૃદયમાં ચિરાડો પડી જાય છે. એસ.એસ.સી. સુધી ભણેલી, હસતી-રમતી ખીલતી કળી જેવી છોકરી અચાનક એક-બે વર્ષની બાળકી જેવી થઈ જાય ! અને હૃદય ઉપર પથ્થર મૂકી સતત હસતી આ માતા એની બાળકીને જાણે ફરી નવેસરથી ઉછેરી રહી છે. એને મન એ ફરી નાની, સાવ નાની બાળકી છે. ફક્ત એનું શારીરિક કદ જ મોટું છે. થોડી મિનિટો પછી માતા-પિતા-છોકરી ધીમે ધીમે દાદર ઊતરતા ચાલ્યા જાય છે. અહીં એમને આશાનું કોઈ કિરણ લાધ્યું કે કેમ ખબર નહીં, પણ મને થયું કે કેબિનમાં ગયા વિના જ હું પાછી ફરી જાઉં. હું અહીં શા માટે આવી ? મારા રાઈ જેવડાં દુ:ખના ઈલાજ માટે ?

બીજાનું મોટું દુ:ખ જોઈએ ત્યારે આપણને આપણું દુ:ખ હળવું લાગે છે, એ વાત મેં વારંવાર સાંભળી છે. માતૃત્વ અને દુ:ખ એ બંને સ્થિતિ ધીરજ, સહનશક્તિ, ઉદારતા, વિશાળતા, સમર્પણ માગે છે. માતા ધરતી જેવી છે. એ બળબળતા તાપમાં બળી શકે છે. બર્ફીલી ઠંડીમાં થીજી શકે છે. વરસાદમાં ઓગળી શકે છે. એને વહાલના ઝીણાં-ઝીણાં ફણગા ફૂટે છે. એ વૃક્ષ બની બધું આપ્યા કરે છે. ન અપાય ત્યારે કુહાડીથી પોતાની જ શાખાઓ કાપ્યા કરે છે. બાળક માતાની મોટી નબળાઈ છે. બાળક સમક્ષ એ સૌથી શક્તિવાન અને સૌથી લાચાર છે. બાળક માટે એ પર્વત જેવી કઠણ અને રૂ જેવી પોચી બની શકે છે. બાળકને એ કદીક વઢે છે, મારે છે ત્યારેય એના ક્રોધની પાછળ પ્રેમ રહેલો છે. ઘણીવાર એ પોતાના બાળક માટે આળી થઈ જાય છે. બાળકની નાની નિષ્ફળતા અણઆવડત એ ખમી શકતી નથી. ત્યારે કોઈ અપંગ, વિકલાંગ મંદ બુદ્ધિના બાળકની માતા તેના બાળકના જતન-સંવર્ધન પાછળ આટલી બધી અખૂટ ધીરજ, સહનશીલતા, કઈ રીતે એકત્રિત કરીને ટકાવી રાખતી હશે એવો પ્રશ્ન થાય.

માતૃત્વની પ્રાપ્તિ પીડા વિના, અસહ્ય દુ:ખ વિના શક્ય નથી. પીડાની વેણની ચરમ સીમાએ જ માતૃત્વની પ્રાપ્તિ છે. માતા બન્યા પછી સ્ત્રી પૂર્ણત્વ પામતી હોવાનું અમથું કહ્યું ન હોય. એમાં માત્ર સ્થૂળ શારીરિક માતૃત્વની વાત નથી. એવું માતૃત્વ મેળવ્યા વિના પણ સ્ત્રીનું હૃદય માતૃત્વ અનુભવી શકે. માતૃત્વ પામ્યા પછી સ્ત્રી બાળકના દુ:ખે દુ:ખી રહે છે. બાળક મોટું થાય, એનાથી અલગ હોય તે છતાંય તે એના દુ:ખે દુ:ખી થતી રહે છે. બલકે તેની પીડા જ તેને માતૃત્વની સજલ અનુભૂતિ કરાવતી રહે છે. તેમાંય બાળક જો વિકલાંગ હોય તો માતા આજન્મ તેને છાંયડો આપતી ઊભી રહે છે. વિકલાંગ બાળકની માતાનું આખું અસ્તિત્વ જ બદલાઈ જાય છે.

અમારી એક સંબંધી સ્ત્રી, યુવાન, આધુનિક મહાનગરમાં રહે. પ્રેમલગ્ન કરેલાં બે દીકરા. મોટો નૉર્મલ અને નાનો મંદ બુદ્ધિનો. જે આજે ચાર વર્ષનો થયો. ચાલે-દોડે છે, પણ બીજો ઝાઝો વિકાસ નહિ. નાનાના જન્મ પછી સ્ત્રીના જીવનનું કેન્દ્રબિંદુ જ બદલાઈ ગયું. ઘરમાં બધા પ્રકારે સુખ-સમૃદ્ધિ. સ્ત્રી બાળકને લઈ કિલનિકોમાં જાય. કસરતો કરાવે. એને સાવ નજીવી વાત શીખવાડવા થાક્યા વિના મથ્યા કરે. રાત-દિવસ નેપી બદલે. લાળવાળું મોં લૂછે. અમે બે દિવસ એને ત્યાં રહ્યા. રાતે મારો દીકરો શરદી-ઉધરસને કારણે ખૂબ રડવા લાગ્યો. આખું ઘર ઊંઘે, પણ પેલી સ્ત્રી ? જે અત્યાર સુધી મને અતડી, અતિ આધુનિક લાગતી તે – વારંવાર આવી ખબર જોઈ જાય. દવા પીવડાવી જાય. પછી કહે : ‘હું આમ તો રાતે જાગતી જ હોઉં. નાનો આવ્યો પછી મને આવું થઈ ગયું છે. આ મોટા બિલ્ડિંગમાં કોઈનુંયે બચ્ચું મધરાતે રડે તો હું વૉચમૅનને પૂછું છું કે કોણ રડે છે ? કેમ રડે છે ? કોઈપણ બાળકના રડવાથી મને કંઈ કંઈ થઈ જાય છે !’ વૈયક્તિક માતૃત્વ એને વૈશ્વિક માતૃત્વ તરફ લઈ જાય છે.

એક દિવસ એક નાની બાળકી રમતી-રમતી અમારે ઘેર આવી ચઢી. હું જાણું કે એને મા નથી. એ માસીને ઘેર ઊછરે. ખૂબ તંદુરસ્ત, પરાણે વહાલી લાગે એવું મીઠું બોલબોલ કર્યા કરે. તમે એને લપ ગણી ઘરે વિદાય કરવા ચાહો તોય કરી ન શકો. થોડીવાર રમી એ મારી પાસે હીંચકે બેઠી. મેં એને પૂછ્યું : ‘તારી મમ્મીનું નામ શું ?’ એણે એની માસીનું નામ કહ્યું, ‘તારા ગામમાં કોણ રહે છે ?’, ‘મારા પપ્પા. મારા નાના ભાઈને મારા કાકી રાખે. મારી મમ્મી તો મરી ગઈ !’ – માના મરી જવાની વાત એણે એટલી સહજતાથી કહી કે એની અબુધતા પર મારી આંખ ભરાઈ ગઈ. અરે ! આટલી નાની છોકરીની મા નથી ? મા નથી – એ શબ્દો જ કેટલા ભયંકર છે. પરંતુ એ નાનકીને તો એની કંઈ જ અનુભૂતિ નથી જણાતી. એ તો હસતી-કૂદતી-રમતી રહે છે. જ્યાં જાય ત્યાં આનંદ મેળવે છે અને આપે છે. ઈશ્વરે મા ન હોવાની ખાલી જગ્યામાં આનંદનું ઝરણું મૂકી દીધું છે. મારા પુત્ર વેદાંગને મને ચૂમી ભરતા જોઈને એ કહે છે : ‘મને પણ કરો ને !’ હું એના માથે હાથ ફેરવું છું. આ બાળકી કોઈ પણ સ્ત્રીને એના માતૃત્વનાં મૂળ યાદ કરાવી શકતી હતી.

ઘરમાં હું સૌથી નાની, તેથી મને કોઈ બાળક રમાડવા ન મળેલું. અઢારેક વર્ષની હતી ત્યારે ભત્રીજો અદ્વૈત જન્મ્યો. એને જોઈ મને અદ્દભુત આનંદ થતો, વિસ્મય થતું. બે મહિનાનો હતો ત્યારે એકવાર એની માતા એને મારા ખોળામાં સુવાડી કોઈ કામ માટે ગઈ. મારા ખોળામાં કોઈ નવજાત શિશુ, લોહીની સગાઈ ધરાવતું, આંખ મીંચીને પ્રથમવાર એકલું સૂતું હતું. હું કલાક સુધી એમ જ બેસી રહી. ઝાઝું હાલી-ચાલી પણ નહિ. રખેને એ જાગી જાય ને રડે તો ? થોડી વારે એની માતા પાછી આવી. હજી શિશુને આમ જ ખોળામાં સુવાડેલું જોઈ આશ્ચર્યપામી બોલી : ‘નીચે સુવાડી દેવો તો ને ? નહિ જાગતે.’ મારાં પગેય ખાલી ચઢી ગઈ હતી પણ એ એક કલાક હું નવજાત બાળક સાથે પ્રથમવાર એકલી હતી. મારા હૃદયમાં મુગ્ધ માતૃત્વની પ્રથમ સરવાણી ફૂટી હતી ને હું એમાં તરબતર થતી બેસી જ રહી હતી.

માતૃત્વની કોમળતા હવે તો બાળકોને વઢવા કે કદીક મારી બેસવાની કઠોરતા સુધી ચાલી ગઈ છે. બાળક્ને કદી મારવા ન જોઈએ, એને ગમતું કામ કરવા દેવું જોઈએ વગેરે જોશભેર ચાલતી ચર્ચામાં હુંય કદીક ઝંપલાવું છું. પણ, વાસ્તવમાં કદીક એનાથી વિપરીત આચરણ મારાથી થઈ જાય છે. કલાકો ટી.વી. જોતાં, ન ભણતા બાળક પ્રત્યે મને પારાવાર ગુસ્સો આવે છે. એ ચિત્રકળાને નામે આખા ઘરમાં કલર, પેન્સિલ વેરવિખેર કરે, કાતર વડે કાગળની ડિઝાઈનો બનાવી અસંખ્ય કાપલીઓ અસંખ્યવાર ચારે તરફે વેરે ત્યારે હું મારી સ્વભાવગત બધી જ ધીરજ ગુમાવી જોરથી ઘાંટા પાડી વઢું છું. બે હળવી થપ્પડ મારી દઉં છું. બાળક એની લાંબી પાતળી-સુંદર આંગળીથી જે કાતર વડે ડિઝાઈન કાપે છે એ જ કાતર વડે ‘તારી આંગળી કાપી નાંખીશ’ જેવા હિંસક શબ્દોય બોલી ઊઠું છું ! ત્યારે અચાનક મને પેલી છોકરીની હસમુખી માતા, રાતભર જાગ્યા કરતી પેલી સ્ત્રી, પેલી નમાઈ છોકરીની પ્રેમાળ માસી યાદ આવે છે. એ સાથે જ હું મનમાં ક્ષોભ અનુભવું છું. ત્યારે તેમની પહાડ જેવી ધીરજ-સહનશીલતા ઉપરથી મારું રાઈ જેવડું દુ:ખ દડદડ દડી જાય છે !

Tuesday, February 10, 2009

“વેલેન્ટાઈન સ્પેશિયલ ”

પ્રેમસંબંધોમાં લાગણીનું સરવૈયું ન કઢાય. સરવૈયું વ્યાપારનું, વ્યવહારનું, ઔપચારિકતાનું કઢાય. પ્રેમ તો અવિભાજ્ય છે. એની બાદબાકી કે એનો ભાગાકાર ન કરી શકાય. સાચો પ્રેમ તો ગુણાકારમાં રાચે – સુદના ચંદ્રની જેમ એની વૃધ્ધિ જ થયા કરે.
અંતરપટ પર પડેલી પ્રેમની પહેલી પગલી એ દરિયાકિનારા પર પથરાયેલી રેતી નથી કે, આસાનીથી ઊડી જાય.
પ્રેમ અને લાગણીની પ્રબળતા માનવીના નિર્ણયોનું સિંહાસન ડોલાવી શકે છે.
પ્રેમપૂર્ણ આત્મીય સંબંધોમાં પહેલ-બીજનું સરવૈયું ન કઢાય. વિચ્છિન્ન સંબંધો જોડવા કોણ પહેલ કરે છે એ મહત્વનું નથી. લાગણીનું ખેંચાણ મહત્વનું છે. સાચી લાગણીનો પડધો પડે જ.
પ્રેમ, માનવતા, શાંતિ વગેરે મૂલ્યો દેશનિષ્ઠ કરતાં વ્યકિતનિષ્ઠ અને અધિક તો મનોનિષ્ઠ છે.
મિલનનો સાચો આનંદ માણવા માટે વિયોગ પણ જરૂરી છે. ચોવીસ કલાક સાથે રહેનારાં યુગલો એકબીજા સાથે ફિજુલ ચર્ચાઓ કરી, સમજ કરતાં ગેરસમજ તરફ આગળ વધી, સમય કરતાં વહેલાં બુઢ્ઢાં થઈ જતાં હોય છે.
પ્રેમ ! લયલા-મજનૂની સદીમાં પ્રેમ જેવું ‘કંઈક’ હશે એમ માની લઈએ, પણ એકવીસમી સદીમાં, પાશ્ચાત્ય સંસ્કૃતિથી પ્રભાવિત થયેલા આ ફૅશનયુગમાં વળી પ્રેમ કેવો ? ‘કામ’ શબ્દ બોલતાં આજના માનવીને દંભ આડે આવે છે એટલે ‘પ્રેમ’ શબ્દનો ઉપયોગ ‘કામ’ના પર્યાય તરીકે કરે છે. બાકી રસ્તે ચાલતાં, દુકાનમાં, બસમાં, ટ્રેઈનમાં, પ્લેનમાં આંખથી આંખ મળતાં પ્રેમ થઈ જાય એ વાત ગળે ઊતરે એવી નથી. એવા સબંધો પાછળ દેહાકર્ષણ જ મુખ્યત્વે કામ કરતું હોય છે.
વિશ્વમાં પ્રેમ જેવું કોઈ તત્વ નહીં હોય ? તો પછી અંતરને હલાવી નાખે છે, રાત્રિની નિંદ્રા હરી લે છે, કોઈની પાછળ સર્વસ્વ, અરે ! જાન કુરબાન કરવા પ્રેરે છે એ તત્વ કયું ? જો પ્રેમ જેવું તત્વ ન હોય તો, વિશ્વપટ પર શ્વસતી અગણિત વ્યક્તિઓમાંથી મનને એક જ વ્યકિત્ની પરિક્રમા કરવાનું કેમ રુચે છે ? એ વ્યકિતનાં સંસ્મરણોની વણતૂટી વણજાર વેરાન હૈયાને ગુલઝાર શા માટે બનાવે છે ? સાચું શું ?
આ વાસ્તવિક ધરતી પર અદષ્ય એવી એક નવી ધરતી પણ અસ્તિત્વ ધરાવતી હોય છે. એ ધરતી છે પ્રેમની ધરતી. વાસ્તવિક ધરતી આંખની ધરતી છે. પ્રેમની ધરતી અંતરની ધરતી છે. એક જોઈ શકાય છે, બીજી અનુભવી શકાય છે.
પ્રેમના નામે સ્ત્રીઓ જેટલી છેતરાય છે એટલી બીજી કોઈ ચીજથી છેતરાતી નથી.
સાગરની લહેરો દૂરથી કેવી આકર્ષક લાગે છે ! પાણીનો એક આકાર બાંધતી લહેરોને બે હાથમાં પકડીએ છીએ તો રહી જાય છે કેવળ પાણી. સ્પર્શ સાથે જ પેલો આકર્ષક આકાર કેવો અદશ્ય થઈ જાય છે ! એવું જ પ્રેમ, ઝંખના, પ્રાપ્તિ અને વાસ્તવજીવનનું પણ છે !
માઝા મૂકીને વરસતા વરસાદ જેવા પ્રેમનું આયુષ્ય પણ ટૂંકું હોય છે ! શાંત, સ્થિર અને સ્વસ્થ પ્રેમ દીર્ઘાયુ હોય છે.
પ્રેમમાં કોઈકે તો ‘કંઈક’ છોડવું પડે છે. પોતાનાં અહ્મ, મમત, મમત્વને ઓગાળી નાખવાં પડે છે. વ્યક્તિને ઓગાળી નાખવાથી જ પ્રેમ સાર્થક થાય.
પ્રેમમાં કોઇને બાંધી ન રખાય(કે માલિકીનો દાવો ન કરાય), તેમાં તો સામેની વ્યક્તિને મુક્ત રાખવી પડે. જો તે પાછી તમારી પાસે આવે તો તમારો પ્રેમ છે અને જો દૂર જતુ રહે તો તે સાચો પ્રેમ નથી.

Friday, January 16, 2009

“તો બાત બન જાયે…”

‘પતિ-પત્ની શા માટે એકબીજાના જીગરી દોસ્ત નથી થઈ શકતાં ? વર્ષો સુધી એક છાપરા નીચે સાથે રહીને સંસારની જવાબદારીઓ નિભાવતાં હોવા છતાં ઘણી વખત બન્નેનું જીવન બે સમાંતર પાટા જેવું કેમ હોય છે ? બન્નેનાં દિલનો-લાગણીઓનો સંગમ કેમ નહિ થતો હોય ? પતિ-પત્ની એકબીજાના ખાસ ઘનિષ્ઠ અને અંતરંગ મિત્ર ન બની શકે ?’ શુચિતાએ પૂછ્યું હતું.
‘તું કેવી વાત કરે છે ! શુચિ ! સુમિત અને હું ખાસ મિત્રો છીએ. તમને પણ ઈર્ષા આવે એવા ગાઢ મિત્રો છીએ, પણ જો સુમિત છોકરી હોત તો અને અમે લગ્ન કરી પતિ-પત્ની બન્યાં હોત તો તમારી વચ્ચે આવી દોસ્તી ન હોત !’ રાત્રે જમીને અમારા દીવાનખાનામાં કૉફી પીતાં અમે બેઠાં હતાં ત્યારે સૌમિલ અને સુજાતાના સંબંધની વાત નીકળતાં અનુપે મજાકમાં કહ્યું હતું.

સૌમિલ અને સુજાતાનું પ્રેમલગ્ન હતું. બન્ને એક કૉલેજમાં સાથે ભણ્યાં હતાં. લગ્ન પહેલાં તેઓ લાંબો સમય સાથે ફરેલાં-સાથે સિનેમા-નાટક જોયેલાં. પિકનિક અને પર્યટનનો સાથે આનંદ માણેલો. પહેલાં પરિચય-પછી મૈત્રી – પછી પ્રેમ અને પછી પરિણય ! બન્નેને પ્રેમ થયો હતો. લગ્ન પહેલાં તેઓ બન્ને ખાસ મિત્ર હતાં, છતાં કોણ જાણે કેવી રીતે લગ્નનાં પાંચ-છ વર્ષ પછી તેઓ માત્ર પતિ-પત્ની બની રહ્યાં… લગ્ન થતાં મિત્ર મટી ગયાં… સાથે સાથે રહેવા છતાં બન્ને વચ્ચે મૈત્રીસંબંધ નહોતા. સહ-વાસ હતો, સહ-જીવન હતું, પણ તેમાં સાચું સાહચર્ય-સખ્ય નહોતું !
‘તારું અને નેહાનું કેમ ચાલે છે ?’ મેં પ્રશાંતને એક વખત પૂછ્યું હતું.
‘ઠીક ઠીક છે બધું…’ એણે મને ફિક્કા સ્મિત સાથે જવાબ આપ્યો હતો. સૌમિલ અને સુજાતા કે પ્રશાંત અને નેહાની જ આ વાત નથી. એમના દામ્પત્ય સંબંધની જ આ વાત નથી, પરંતુ તમને ઘણા પાસે આવો નિરુત્સાહી અને અનિશ્ચિત પ્રતિભાવ જ જાણવા મળશે. જેઓ કહે છે કે અમારો સંબંધ સારો છે, તેઓ પણ ઘણી વખત આ ‘સારો’ સંબંધ એટલે કેવો સંબંધ ? એ વિશે મૂંઝવણમાં હોય છે.

લગ્નનાં થોડાં વર્ષો થાય છે અને મનમાં થવા માંડે છે, સામી વ્યક્તિ બદલાઈ ગઈ છે ! પહેલાંના પ્રેમનો રંગ ફિક્કો થતો લાગે છે. પ્રેમમાં ઓટ આવતી હોય એવું લાગે છે. ક્યારેક દામ્પત્યજીવનમાં આવું બનતું હોય છે, તો ક્યારેક આવો ભ્રમ પણ થતો હોય છે. આવું કેમ થાય છે એનો શાંતિથી વિચાર કરીશું તો લાગશે કે વાસ્તવમાં આપણે પ્રેમ શું છે – પ્રેમ એટલે શું એ સમજતાં નથી હોતાં ! સંવનનકાળની સ્વપ્નીલ અવસ્થા – દામ્પત્યજીવનનો પ્રારંભિક સમય અને ગૃહસ્થ-જીવન-આમાં પ્રણયનો રંગ બદલાતો રહે છે. મશ્કરીમાં કહેવાય છે કે લગ્ન એટલે જ પ્રેમની મુગ્ધતાનું મૃત્યુ….. Death of Romance ! આપણે ઈચ્છીએ છીએ કે આવો રોમાંટિક પ્રેમ બસ, સતત ચાલુ રહે ! આપણે સૌ ઈચ્છીએ છીએ કે આપણો પતિ કે આપણી પત્ની આપણી લાગણીઓને-સ્પંદનોને ઝીલે – એને યોગ્ય પ્રતિસાદ આપે – આપણા દિલની ઊર્મિઓને – આપણાં શમણાંને સમજે અને એમાં સહભાગી થાય એવો એક દિલદાર – સંવેદનાનો સાથી આપણને સાંપડે. આવી કોઈ વ્યક્તિ મળી જાય તો બસ ! ‘જિંદગી બન જાયે.’


આવું સુભગ દામ્પત્યજીવન કેવી રીતે નિર્માણ થઈ શકે એની વાત જ્યારે હું લખી રહી છું ત્યારે મને ક્યાંક વાંચેલો આ સુંદર પ્રસંગ યાદ આવે છે. એક યુવાન છોકરી. અત્યંત સંવેદનશીલ, પ્રેમ વિશે-લગ્ન વિશે-જીવનસાથી વિશે એણે અનેક સુંદર સ્વપ્નાં સેવેલાં. એવી એક વ્યક્તિ એને મળી ગઈ. એ તો ખુશખુશ થઈ ગઈ. લગ્ન કર્યાં. ત્રણ-ચાર વર્ષ થયાં અને એને મનમાં થવા માંડ્યું : ‘આ શું થઈ ગયું ? મારે શું જોઈતું હતું અને શું મળ્યું ? પ્રેમમાં રોમાન્સ જ નહિ ? આવા શુષ્ક-નીરસ લગ્નજીવનને ટકાવી રાખવાનો શો ફાયદો ?’ અને એક દિવસ એના પતિને એ કહી દે છે : ‘આપણો સંબંધ મને બેચેન બનાવે છે. મને ગૂંગળાવે છે. મારી ભાવનાઓને તારા તરફથી પ્રતિસાદ નથી મળતો… આના કરતાં છૂટાં થઈએ તો ?’
પતિ આ સાંભળી સ્તબ્ધ જ થઈ ગયો. ‘તને મારામાં-મારા પ્રેમમાં શી ઊણપ લાગે છે ? હું શું કરું જેથી તારો વિચાર બદલાય ?’ પતિએ એને પૂછ્યું.
‘તને હું કહું કે દૂર આવેલા પેલા પહાડની ટોચ પર એક સુંદર ફૂલ ખીલ્યું છે, એ મારે જોઈએ છે. તું મારે માટે એ ફૂલ તોડી લાવશે ? એમાં તારા જીવનનું જોખમ હોય – ખૂબ જ વિકટ હોય તોપણ તું મારે માટે એ ફૂલ ચૂંટી લાવે ખરો ?’
યુવાન સાંભળી રહ્યો, થોડી વાર રહી એણે કહ્યું, ‘આનો જવાબ હું તને કાલે આપીશ.’ આટલું કહી એ યુવાન ઘરનું બારણું બંધ કરી ચાલ્યો ગયો.

પેલી યુવતી મનમાં ને મનમાં એના પર ગુસ્સો કરતી બેસી રહી. એણે નહોતું કહેવું જોઈતું કે ‘તારે માટે આ ધરતી પરનું ફૂલ તો શું પણ આભના તારા પણ તોડીને તારા પાલવમાં મૂકું ?’ પણ એનામાં એવું બધું છે જ ક્યાં ? સાવ અરસિક થઈ ગયો છે !’ ગુસ્સામાં અને રડવામાં રાત વીતી ગઈ. એ સવારે ઊઠે છે અને જુએ છે, તો ડાઈનિંગ ટેબલ પર એક પત્ર. એના પર પેપરવેઈટ મૂકેલું છે. એ પત્રમાં એના પતિએ લખ્યું હતું :
‘હું તારે માટે ફૂલ તોડવા નહિ જાઉં. હું વખતોવખત તને ફૂલ અને નાનીમોટી ભેટ નથી આપતો. વાતવાતમાં ‘ડીઅર’ અને ‘ડાર્લિંગ’ નથી કહેતો. ઑફિસેથી થાક્યોપાક્યો આવી તને તરત ભેટી નથી પડતો. તારા સૌંદર્યની પ્રશંસા નથી કર્યા કરતો, પણ હું શું કરું છું તે જાણવું છે તારે ?

તારી મહેનત જ્યારે નિષ્ફળ જાય છે, તું નિરાશ થાય છે ત્યારે હું તારી પાછળ ઊભો રહું છું. તારે ખભે હાથ મૂકું છું. કૉમ્પ્યુટર પર તું કામ કરતી હોય છે, જ્યારે તારા કોઈ સોફટવેર પ્રોગ્રામમાં મુશ્કેલી આવી પડે છે – એ રદ થઈ જાય છે અને તું નિરાશ થઈ સ્ક્રીન સામે આંખમાં આંસુ સારતી બેઠી હોય છે ત્યારે હું તારી પાછળ ઊભો રહી મારી આંગળીઓથી તારાં અશ્રુ લૂછું છું. તને સાંત્વન આપી તારા કામમાં મદદ કરું છું. મારી ઈચ્છા તો આપણે બન્ને સાથે વૃદ્ધ થઈએ અને હું તારા દુ:ખતા પગને માલિશ કરું એ છે. મને ખાતરી થશે કે તને મારા કરતાં કોઈક વધુ ચાહે છે ત્યારે પહાડ પરનું ફૂલ ચૂંટ્યા વગર હું મરી જઈશ….’ પેલી યુવતી એના પતિનો આ પત્ર વાંચતી ગઈ અને રડતી ગઈ. એની આંખોમાંથી ઝરતાં અશ્રુઓથી કાગળના કેટલાય અક્ષરો છેકાઈ ગયા. પતિએ છેલ્લે લખ્યું હતું : ‘તેં મારો પત્ર વાંચી લીધો હોય અને સંતોષ થયો હોય તો તું આપણું આગલું બારણું ખોલજે. હું તારી રાહ જોતો ઊભો હોઈશ…. દૂધની બાટલી અને છાપાંની માફક…’
યુવતી દોડતી ગઈ અને બારણું ખોલ્યું. એનો પતિ ચિંતાતુર મોંએ દૂધની બાટલી અને તાજો બ્રેડ લઈ ઊભો હતો. યુવતીને ખાતરી થઈ ગઈ હતી કે રોમાન્સ એટલે પ્રેમનો ઊભરો. ફૂલ જેવો મોહક લાગે, પણ એનો રંગ પણ કાચો. રોમાંટિક ક્ષણો સંબંધની સપાટી પર હોય છે. ધીમે ધીમે સમય વીતતાં સાથે સુખ-દુ:ખ ઝીલતાં ઝીલતાં એ ગાઢ અને પાકો થતો હોય છે. આવો પ્રેમ જ જીવવા માટેનું પૂરતું બળ હોય છે.

આપણે જાણીએ છીએ કે કોઈ પણ માનવસંબંધ સંપૂર્ણ નથી હોતો, છતાં દરેક સંબંધ કોઈને કોઈ રીતે અનોખો હોય છે અને સંબંધ જે હોય તેને સજાગતાથી અને પ્રયત્નથી વધુ સુંદર અને રસમય બનાવી શકાય. એ માટે જીવનમાં નાનીમોટી વાતોને-સ્વભાવભેદને કે આદતોને બહુ વિરાટ સ્વરૂપ આપવાનું ન હોય. રાઈનો પહાડ ન બનાવાય. સમગ્ર વ્યક્તિ અને જીવનના પરિસરમાં જોઈએ તો એનું મહત્વ કેટલું ? પરંતુ, જીવનમાં મહદંશે તો રોજ રોજની પ્રત્યેક ઘડીએ નાની નાની બાબતો સાથે જ નિસબત રહેતી હોય છે. નાનીમોટી નિરાશાઓ અને મુશ્કેલીઓ વચ્ચે આપણે જીવવાનું હોય છે, એટલે જ સુખદ દામ્પત્યનો આધાર રોજિંદી કહી શકાય એવી નાની નજીવી ઘટનાઓને આપણે કેવી રીતે ઝીલીએ છીએ – એના પ્રત્યે આપણે કેવો પ્રતિભાવ દાખવીએ છીએ એના પર રહે છે.

કોઈ મને પૂછે કે દામ્પત્યજીવન ઉત્સાહભર્યું-ધબકતું-ચેતનવંતુ કેવી રીતે રહી શકે ? એની પાછળ મુખ્ય કયું તત્વ કામ કરતું હોય છે ? તો કદાચ હું કહું કે જ્યારે પતિ-પત્ની બન્ને એકબીજાનાં ઘનિષ્ઠ અને પરમમિત્ર બની જાય ત્યારે… આનું મુખ્ય કારણ એ છે કે ગાઢ આત્મીય સહચર્ય માટે પ્રેમ તો આવશ્યક છે જ, પરંતુ મૈત્રી વગરનો પ્રેમ માત્ર શુષ્ક કર્તવ્યમાં ધીમે ધીમે સરી જતો હોય છે. પરંતુ જો પતિ-પત્ની લગ્ન પછી બન્ને એકબીજાનાં જીગરી મિત્ર બની શકશે તો ઘણું બધું આપોઆપ ઠીક થઈ જશે, કારણ ખબર છે ? બે સાચા મિત્રો એકબીજાની અપૂર્ણતા સમજી જાય છે અને એને સ્વીકારી લે છે. મિત્રો વચ્ચે વિચાર-વિનિમય અને ભાવસંક્રમણ થતું રહે છે. બે મિત્રો એકબીજાની વાત ધ્યાનપૂર્વક અને દિલપૂર્વક સાંભળે છે. જરૂર વખતે બન્ને ગંભીર બની જાય છે, નહિ તો બન્ને સાથે હસે છે, બોલે છે અને મજા કરે છે. સારા સમયમાં મિત્ર આનંદમાં ભાગીદાર બને છે અને મુશ્કેલીની વખતે સાથે ઊભો રહે છે. મિત્ર એકબીજાનાં સ્વપ્નાંની વાત સાંભળે છે અને એમાં ટેકો અને સાથ આપવાનો પ્રયત્ન કરે છે. બસ ! પતિ-પત્નીએ પણ જીવનમાં અન્યોન્ય માટે આટલું જ કરવાનું હોય છે ને ? એકબીજાનાં યોગદાનની કદર કરવાની હોય છે, આદર કરવાનો હોય છે.

મુશ્કેલી એટલા માટે ઊભી થાય છે કે લગ્ન પછી પહેલાં જે બે મિત્રો હતાં તે પતિ-પત્ની બની જાય છે ! પોતાના પાર્ટનર પાસે ખૂબ જ અપેક્ષાઓ રાખે છે. સતત એમની માગણી ચાલુ હોય છે અને પતિ કે પત્ની જાણે એમની માલિકીની ચીજ ન હોય એવાં ‘Possessive’ થઈ જાય છે. સ્વામીત્વ અને માલિકી ! આ બન્ને દામ્પત્યના સુકોમળ પુષ્પને મુરઝાવી દે છે ! દામ્પત્યજીવનનો આદર્શ સતત સમર્પણ નથી, પણ મને લાગે છે કે સખ્ય છે-મૈત્રી છે, જેમાં બેઉનું પરિપૂર્ણ સ્વાતંત્ર્ય-પરિપૂર્ણ સમર્પણ અને બન્નેનો વિકાસ ગૃહિત છે. જીવનમાં મૈત્રી અને સખ્ય તો સમાનતાની ભૂમિકા પર જ સ્થપાઈ શકે – જેમાં સંબંધ તૂટવાનો – ગેરસમજણનો કે માઠું લાગી જવાનો સતત ભય કે ગભરાટ ન હોય, પણ વિચાર-વિનિમયમાં મોકળાશ હોય….

તમારા સુખમાં અને દુ:ખમાં-સારા અને નરસા સમયમાં કોઈક તમારે પડખે ઊભું રહેશે એ મૈત્રીની આવશ્યકતા છે. પતિ-પત્ની બન્ને એકબીજાની સાથે ખુલ્લા દિલે પોતાની મુશ્કેલની, ચિંતાની કે વ્યથાની વાત કરી શકવા જોઈએ, પરંતુ ઘણી વાર પતિ-પત્ની પોતાનાં મનનાં દ્વાર બીજા સમક્ષ ખોલી શકતાં નથી. એમની વચ્ચે આવો વિશ્વાસ નથી હોતો તો પછી એકબીજાનાં અંગત-અંતરંગ ગાઢ મિત્ર કેવી રીતે બની શકે ? એમની વચ્ચે જ્યારે મૈત્રીનું સુંદર સરોવર લહેરાઈ શકતું નથી ત્યારે એ માત્ર સહ-વાસ જ રહે છે, સહજીવન બનતું નથી. પરંતુ એક વખત મૈત્રીનું પુષ્પ ખીલી ઊઠશે તો ‘સાત પગલાં’ સાથે ચાલીને આરંભેલું દામ્પત્ય આનંદના આકાશમાં ઊડવાની દિશા ઉઘાડી આપશે.

“પ્રેમનું અંતિમ પરિમાણ ”

“પ્રેમ કોઈ વેડફી નાખવાની વસ્તુ નથી; દુનિયામાં લાખો લોકો એ પ્રેમને વેડફી નાખે છે જેનાથી કરોડો લોકોને જીવાડી શકાય”

જ્યારે જાગ્રત મન કોઈ બીજી જ દુનિયામાં મગ્ન હોય ત્યારે વાસ્તવિક દુનિયાનું કામ અર્ધજાગૃત મન સંભાળે છે. બસ, પ્રણવને પણ અત્યારે અર્ધજાગૃત મન જ સંભાળતું હતું. એ જીવતો હતો કારણ કે એનું હૃદય હજુ સુધી ધબકતું હતું. એનું જાગૃત મન તો કોઈ બીજા જ કામમાં જોડાયેલું હતું. એ વાત સ્વીકારવાનો પ્રયત્ન કરવો કે અશ્વીની – એની પત્ની અને પ્રેમિકા – હવે ક્યારેય પાછી નથી આવવાની. એ હવે માત્ર એના મનમાં રહેશે, આ દુનિયામાં નહીં. એની દુનિયા શૂન્ય હતી. એ હવે આ જ શૂન્ય સાથે રહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પણ ક્યાં સુધી ? આ શૂન્ય સાથે રહેવું અઘરું હતું અને શૂન્યની બહાર નીકળવાની કોઈ ઈચ્છા બાકી રહી ન હતી.

હવે વધારે નથી જીવવું. શ્વાસ લઉં તો લાગે છે કે હું સ્વાર્થી છું : આ એક જ વિચાર એના મનમાં સતત ઘોળાતો હતો. આ વિચારને નિર્ણય બનતા વધુ વાર ન લાગી અને પ્રણવ એક વહેલી સવારે નીકળી પડ્યો. ચોમાસાની મોસમ હતી. આ મોસમમાં માટીની મહેક કોને ન ગમે ? એવું લાગે કે ધરતી જીવે છે, શ્વાસ લે છે. પણ આ બધું એના શું કામનું કે જેનું મન જ મરી ગયું હોય ! પ્રણવ ચાલી રહ્યો હતો પોતાની જ દુનિયામાં….. હવે વધારે નથી જીવવું….. આ એક જ વિચાર સાથે.

મેઘની ગર્જના શરૂ થઈ. અને ગંગાજળ કરતા પણ વધુ પવિત્ર લાગે એવું વરસાદનું એક ટીપું પ્રણવના ચહેરા પર પડ્યું. એ થંભી ગયો. દર્દથી સૂકાઈ ગયેલા એ ચહેરાને પ્રેમની ભીનાશ યાદ આવી ગઈ.
‘આશી’
એના હૃદયના ઊંડાણમાંથી દબાયેલા અવાજે એ નામ નીકળી ગયું. દર્દ જેટલું ઊંડું હોય એની આહ પણ એટલી જ ઊંડી હોય. પ્રણવે એના શર્ટના ખીસ્સામાં રાખેલી કોઈ વસ્તુ તરફ જોયું. ઊંડો નિસાસો નાખ્યો. પ્રણવની આંખો વરસાદની બૂંદો ઉપર સ્થિર થઈ. એનો ડાબો હાથ આ ભીનાશને માણવા માટે ઊંચો થયો. પ્રણવનો હાથ એક સ્પર્શ મહેસુસ કરી રહ્યો હતો, વરસાદનો નહીં; અશ્વીનીના હાથનો. પ્રણવની આંખમાંથી નીકળતું એક આંસુ વરસાદની બૂંદ સાથે મળીને સ્મિત કરતાં એના હોઠોને સ્પર્શી ગયું. ભગવાનને એની મૃગજળ જેવી ખુશી પણ પસંદ ન હોય એમ આકાશમાંથી જોરથી વીજળી થઈ અને પ્રણવનું ધ્યાનભંગ થયું. એની નજર આકાશ સામે ખેંચાઈ ગઈ. એનું સ્મિત ઉદાસીમાં, ઉદાસી પ્રશ્નમાં ફેરવાઈ ગઈ : ‘Why ?’ અને આ પ્રશ્ન એક વિરોધમાં ફેરવાઈ ગયો.

‘નથી જોઈતો તારો આ વરસાદ, નથી માણવું તારી બનાવેલી આ દુનિયાનું સૌંદર્ય !’ એ દોડતો દોડતો સામેના બસસ્ટોપની છત નીચે જઈને બેસી ગયો અને વરસાદ બંધ થવાની રાહ જોવા લાગ્યો. ડૉ. શાહ એ જ બસસ્ટોપની છત નીચે ઊભા રહી આ બધું જોતા હતા.

અશ્વીની એક હાર્ટસર્જન હતી અને તે ડૉ. શાહની હૉસ્પિટલમાં ફરજ બજાવતી. ડૉ. શાહને અશ્વીની પ્રત્યે ઘણી મમતા હતી. અશ્વીની માટે પણ ડૉ. શાહ ‘ફાધર ફીગર’ જેવા હતા. આને લીધે ડૉ. શાહ પ્રણવને સારી રીતે જાણતા હતા. અશ્વીનીના મૃત્યુ પછી પ્રણવની હાલત પણ સારી રીતે સમજતા હતા.
‘લાગે છે તમને વરસાદ પસંદ નથી, પ્રણવ ?’ ડૉ. શાહ પ્રણવની નજીક આવીને બોલ્યા.
‘ઓહ, સોરી સર. મારું ધ્યાન કંઈક બીજે હતું. How are you, this morning ?’ પ્રણવે કહ્યું.
‘ઘરડો થઈ ગયો છું, પણ ખૂબ જ ખુશ છું’ ડો. શાહે પોતાની આગવી શૈલીમાં જવાબ આપ્યો. પ્રણવને વધુ વાત કરવાની કોઈ ઈચ્છા ન હતી. સૂઝતું પણ ન હતું કે શું વાત કરવી. એ વરસાદ સામે જોઈને એક જ વિચાર કરતો હતો. ‘આ વરસાદ બંધ થાય એટલે…’

ડૉ. શાહ થોડું મૃદુ હસ્યા અને આગળ આવ્યા. તેમણે બસસ્ટોપની છતની બહાર પોતાનો હાથ કાઢ્યો.
‘સુમનને વરસાદ બહુ ગમતો.’ ડૉ. શાહ પ્રણવની સામે જોઈને બોલ્યા. પ્રણવનું ધ્યાનભંગ થયું. ‘સુમન ?!’ તે કુતૂહલ પામ્યો. ડો. શાહે કોઈને પણ આજ સુધી પોતાની કોઈ અંગત વાત વિશે જણાવ્યું નહતું. એમના નજીકના લોકો પણ એમને માત્ર એક કમાલના ઝીંદાદિલ માણસ તરીકે જાણતા.
ડૉ. શાહ બોલ્યા : ‘સુમન, My Better half ! વરસાદ ચાલુ થયો નથી કે મને ખેંચીને છત પર લઈ જતી. મને આ વરસાદનો કોઈ ખાસ શોખ ન હતો. મારા માટે આ વરસાદ લાખો લોકોને બેઘર અને બરબાદ કરનારા પરિબળ સિવાય બીજું કંઈ વિશેષ નહોતું. પણ સુમનના સ્મિત સાથે આ વરસાદ પણ એટલો જ સુંદર લાગતો.’

ડૉ. શાહે પ્રેમની વાત છેડી હતી. પ્રણવે થોડુંક સ્મિત કરીને કહ્યું : ‘લાગે છે તમે બંનેએ ઘણો સારો સમય સાથે વિતાવ્યો છે !’
‘Yes, you can say that. 1976 – મારી કૉલેજના બીજા વર્ષે હું તેને પહેલીવાર મળ્યો. અમે મળતા રહ્યા અને ફિલ્મમાં થાય એમ ‘ઔર હમે પ્યાર હો ગયા…..’ 1978 – જરા પગભર થયા પછી અમે પોતપોતાના ઘરે અમારી લાગણીઓ વિશે જાણ કરી. મા-બાપ ન માન્યા અને અમે તેમની મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધાં. અમે નક્કી કર્યું હતું કે પહેલા ઘર બનાવીશું અને પછી ફેમિલિ. 1980 – અમારું પોતાનું ઘર. એ દિવસે અમે ખુબ ખુશ હતા. એક નવા જીવનની શરૂઆત થવાની હતી.’ ડૉ. શાહ થોડીક ક્ષણો માટે મૌન થઈ ગયા. લાગ્યું કે એક ધબકારો ચૂકી ગયા. ‘અને 5 જૂન 1982. સુમન એના પેટમાં રહેલા ત્રણ મહિનાના બાળક સાથે આ દુનિયા છોડીને ચાલી ગઈ.’ ડૉ. શાહે આ થોડી જ પળોમાં શૂન્યથી અનંત અને અનંતથી પાછી શૂન્યની સફર કરી લીધી.

પ્રણવ અસ્વસ્થ થઈ ગયો. એને સમજાતું ન હતું કે શું કહેવું.
‘I am sorry’ આનાથી વધારે પ્રણવ કંઈ બોલી ન શક્યો.
ડૉ. શાહ થોડું હસ્યા અને એક ઊંડો નિસાસો નાખીને બોલ્યા : ‘લોકો કહે છે કે ભગવાનને પણ સારા માણસોની જરૂર પડે છે અને ત્યારે તે કોઈને પણ પોતાની પાસે બોલાવી લે છે. જ્યારે પણ હું આના વિશે વિચારું છું મને લાગે છે કે આપણા પ્રેમ, આપણી લાગણીઓની કિંમત… હા, કિંમત.. એની આગળ કંઈ જ નથી.’ પ્રણવે બેબસ ગુસ્સા સાથે એકવાર ફરીથી આકાશ સામે જોયું.
ડૉ. શાહ આગળ બોલ્યા : ‘ખૂબ જ પ્રેમ કર્યો છે મેં સુમનને. એણે મને જીવવાનું શીખવ્યું છે. મેં મારી ચારે તરફ ભૂખ, તરસ, રોગ અને ગરીબી જોઈ છે. જન્મ અને મરણને ઘણાં નજીકથી જોયા છે. હું માનતો હતો કે ભગવાનની યાદશક્તિ ખૂબ જ કમજોર છે. એને કેટલીક વાતો યાદ દેવડાવવા માટે ખુલ્લા પગે મંદિર જવું પડે છે. ખુશામત કરવી પડે છે. પણ સુમન આત્મવિશ્વાસથી મને કહેતી : ‘દુનિયામાં કંઈ પણ થવા પાછળ એક કારણ હોય છે. જે આપણે નથી સમજી શકતા ! સૂર્ય ઊગે છે, આથમે છે, રાત થાય છે અને ફરી પાછો સૂર્ય ઊગે છે. દુનિયા હજુ પણ જીવવાલાયક છે, માણવા લાયક છે, બસ !’ હવે બધું જ પારદર્શક લાગે છે. પ્રણવ, મેં દુનિયા એની નજરથી જોઈ છે. જેટલી જરૂરત મને એની હતી, એટલી કોઈનેય ન હતી.’

પ્રણવ એક ધ્યાનથી તેમની વાત સાંભળી રહ્યો હતો. તેઓ આગળ બોલ્યા : ‘પણ એ ગઈ ત્યાં સુધીમાં એની નજરથી લોકોને, બધી વસ્તુઓને જોતા હું શીખી ગયો હતો. દુનિયાનો દરેક રંગ બહુ સુંદર લાગે છે એની નજરોથી ! મને ક્યારેય એવું નથી લાગ્યું કે એ મારાથી અલગ છે. દુનિયામાં કોઈને કોઈ જગ્યાએથી એની મહેક આવી જાય છે. અને હવે હું બધાને પ્રેમ કરી શકું છું.’ ડૉ. શાહના ચહેરા પર આ બોલતી વખતે એક નૂર હતું. એમણે પ્રણવ તરફ જોયું. પ્રણવ હજુ પણ ઉદાસ હતો. દર્દ હજુ પણ ખટકતું હતું. એટલામાં ડૉ. શાહનું ધ્યાન વરસાદને કારણે ધ્રૂજતાં એક ગલૂડિયાં પર પડ્યું.
‘અરે !’ ડૉ. શાહના મોમાંથી નીકળી ગયું. તેઓ ઝડપથી ઊભા થયા અને ગલૂડિયાંને પોતાના હાથમાં લીધું. રૂમાલ કાઢ્યો.

ગલૂડિયાંને લૂછતાં તેઓ બોલ્યા : ‘દુનિયામાં બધાને પ્રેમ મળવો જોઈએ. અહીં સૌથી વધુ લોકો ભૂખ કે નફરતથી નહીં પણ સ્નેહના અભાવથી મરે છે.’ પ્રણવ હજુ પણ કંઈક વિચારી રહ્યો હતો. ડૉ. શાહ નજીક જઈને બેઠા. ગલૂડિયાંને બાજુમાં બેંચ પર બેસાડ્યું. તેમણે પ્રણવના ખીસ્સામાંથી પ્રણવ અને અશ્વીનીનો ફોટોગ્રાફ કાઢી પ્રણવના હાથમાં આપ્યો. પ્રણવ એ ફોટોગ્રાફને જોઈ રહ્યો.
ડો. શાહ બોલ્યા : ‘એક વાર હોસ્પીટલમાં એક નિરાશ પ્રેમીની આત્મહત્યાનો કેસ આવ્યો હતો. એ જોઈને અશ્વીની ખૂબ ગુસ્સે થઈ અને બોલી : ‘પ્રેમ કોઈ વેડફી નાખવાની વસ્તુ નથી; દુનિયામાં લાખો લોકો એ પ્રેમને વેડફી નાખે છે જેનાથી કરોડો લોકોને જીવાડી શકાય.’ પ્રણવ ડૉ. શાહની આંખોમાં જોતો રહ્યો. બધા આવરણ હટવાની તૈયારીમાં હતા. અંદરની જડતા પીગળી રહી હતી. ડૉ. શાહે હિંમત દેવા માટે પ્રણવનો ખભો જરા દબાવ્યો. ઊભા થયા. વરસાદ હજુ પણ ચાલુ હતો. છતની બહાર નીકળતા નીકળતા એ બોલ્યા : ‘મને નથી લાગતું કે આ વરસાદ જલદી બંધ થશે. હવે તમારી ઉપર છે. તમે બહાર જઈને એને માણી શકો છો. નહીંતર તમારા ખીસ્સામાં એક બ્લેડ પણ છે, તેનો ઉપયોગ કરી શકો છો.’

ડૉ. શાહ હસ્યા અને ‘જીના ઈસી કા નામ હૈ’ ગીતની વ્હીસલ વગાડતાં વગાડતાં બહાર વરસાદમાં ચાલ્યા ગયા. પ્રણવે ફરીથી એના હાથમાં રહેલા ફોટોગ્રાફ સામે જોયું. પ્રણવ અને આશી ! એક સાથે કેટલા ખુશ ! તેણે એ ફોટોગ્રાફ પાછળ ફેરવ્યો. ત્યાં અશ્વીનીએ પોતાના હાથે લખેલું : ‘I love you…. Ashii’

પ્રણવની આંખમાંથી એક આંસુ બહાર આવી ગયું. તેનું ધ્યાન એની બાજુમાં બેસેલા પેલાં ગલૂડિયાં તરફ ગયું. મનમાં એક વિચાર આવતાં તેણે સ્મિત કર્યું : ‘એની આંખો તો આશીની આંખો જેટલી જ નિર્દોષ છે !’

“તમે કોઈને પ્રેમ કર્યો છે ?”

તમે કોઈને પ્રેમ કર્યો છે ખરો ? કોઈએ તમને પ્રેમ કર્યો છે ખરો ? લગ્ન પહેલાં ? લગ્ન પછી ? કોઈ તમારી આંખોમાં વસી ગયું હતું ખરું ? તમે કોઈની તરફ લાગણીથી ખેંચાયા હતા ખરા ?

યાદ નથી આવતું ? તમારી યાદદાસ્તને જરા ઢંઢોળો – હજુય યાદ નથી આવતું ? તમારા અંતરના કોઈ એકાન્ત – ખાનગી ખૂણાને જરા ફંફોસો. જરૂર યાદ આવી જશે. ભૂતકાળના બારણે ટકોરા મારો અને છતાં જવાબ જડે નહીં તો માનજો કે દુનિયામાં તમારા જેવો બીજો કોઈ કમનસીબ માણસ નથી. કોઈને માટે તમને પ્રેમ જાગ્યો ન હોય, કે કોઈને તમારા માટે પ્રેમનો ભાવ પેદા થયો ન હોય, એના જેવું કમભાગ્ય બીજું હોઈ શકે ખરું ? આવા માણસની તો દયા ખાવી જોઈએ.

સ્ત્રી હોય કે પુરુષ હોય, એ ક્યારેક તો કોઈની તરફ આકર્ષાયો હોય છે. ક્યારેક તો એ સ્ત્રી કે પુરુષ કોઈની તરફ ખેંચાયા હોય છે. કોઈને માટે તો હૃદયમાં પ્રેમનાં અંકુર ફૂટ્યાં હોય છે. કોઈને માટે તો હૈયું બેચેન બની ગયું હોય છે. કોઈને પોતાના કરવાની તીવ્ર ઝંખના જાગી ગયેલી હોય છે.

લગ્ન પહેલાં કે લગ્ન પછી પણ કોઈને માટે પ્રેમ જાગી ગયો હોય છે. એ પ્રેમનું આયુષ્ય કેટલું હતું, એનું બહુ મહત્વ નથી. એ પ્રેમની ઉંમર દિવસોની હતી, મહિનાઓની હતી કે વરસોની હતી એનું પણ ખાસ મહત્વ નથી. પ્રેમ થઈ ગયો હતો, પ્રેમ જાગી ગયો હતો કે નહીં, એ જ વાતનું મહત્વ છે. ક્યારેક થોડી ક્ષણોનો પ્રેમ, વરસોના પ્રેમ કરતાં પણ વધારે ઉત્કટ અને સુદઢ હોય છે. થોડી ક્ષણોના પ્રેમની એટલી તો મધુરતા હોય છે, એટલી તો સચ્ચાઈ હોય છે કે જિંદગીભર એ યાદ રહી જાય છે. પ્રેમનું આયુષ્ય કદી પૂછવાનું હોય નહીં. પ્રેમની તો જન્મતિથિ હોય છે, પણ તમે કોઈ પ્રેમીને પૂછો : તમારા પ્રેમની જન્મતિથિ કઈ ? તો એ મૂંઝવણમાં મુકાઈ જશે. એને એ પ્રશ્નનો જવાબ જડશે નહીં.


પ્રેમ થઈ જાય છે ખરો, પણ પ્રેમ ક્યારે થઈ ગયો, કઈ રીતે થઈ ગયો, ક્યા કારણે થઈ ગયો, એકાએક થઈ ગયો કે સમય લાગી ગયો હતો, મનના કેવા માહોલ વચ્ચે પ્રેમ જન્મી ગયો હતો, એ બધા પ્રશ્નો કોઈ પૂછે તો એનો કોઈ જવાબ મળશે નહીં. પ્રેમ પદારથ એ તો એક એવો પદારથ છે, જે સમજ્યો સમજાતો નથી. તમે જરૂર પ્રેમ કર્યો હશે. કદાચ કોઈ છોકરો કે છોકરી ગમી ગયા હશે, અને આકર્ષણ ઊભું થયું હશે. મનમાં ને મનમાં તો જરૂર એ છોકરો કે છોકરીને મળવાની, એની સાથે વાતો કરવાની ઝંખના જાગી ગઈ હશે. ક્યારેક એવું પણ બને છે, કોઈ જરા પણ જાણે નહીં, એ રીતે મનોમન પ્રેમ થતો હોય છે. એનો પ્રેમ પામવાનું અને એને પ્રેમ આપવા મન અંદર ને અંદર થનગની રહ્યું હોય છે. દરેક છોકરા-છોકરીના જીવનમાં આવી નાજુક ક્ષણો આવી જતી હોય છે. આ પ્રીતને કુંવારી પ્રીત કહેવામાં આવે છે. પ્રેમ હોય છે ખરો, પણ એકબીજાને પામવાના અરમાન બધા અધૂરા રહી જતા હોય છે. હોઠ અને હૈયું બન્ને કુંવારાં રહી જતાં હોય છે.

અને પહેલા જ પ્રેમમાં જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે કેટલાક એવા હોય છે, જેમને જિંદગીમાંથી રસ ઊડી જાય છે. જેમને જીવન અળખામણું બની જાય છે, એ આપઘાત કરવા સુધી દોડી જાય છે. કાં તો દેવદાસ કે મજનૂ બની જાય છે કાં તો પાગલ બનીને આમથી તેમ ભટકે છે. પણ કેટલાક એવા હોય છે જે પ્રેમની નિષ્ફળતાના એ આઘાતને જીરવી લે છે. ઝેરના એ ઘૂંટડાને હસતાં હસતાં પી જાય છે. ભગ્ન હૃદયની એ વેદનાને ભીતરમાં જ ગોપાવી દે છે. કોઈને જરાજેટલીય ગમ પડવા દેતા નથી. પ્રેમ થઈ ગયો, અને પ્રેમ તૂટી ગયો એથી શું ? એથી જિંદગીને અળખામણી બનાવી દેવાય ખરી ?

પ્રેમમાં બહુ ઓછાને સફળતા મળે છે. પ્રેમમાં નિષ્ફળતા મેળવનારાઓની સંખ્યા ઝાઝી હોય છે. પણ એ બધા કાંઈ આત્મહત્યા કરી લેતા નથી. એ બધા કાંઈ શરાબની લતે ચડી જઈને રોમિયો બની જતા નથી. એ બધાં કંઈ દોડતી આવતી ટ્રેનની નીચે પડતું મૂકતા નથી. પ્રેમની નિષ્ફળતાના ભૂકંપ નીચે એ કચડાયા જરૂર હોય છે, પણ તરત જ બેઠા થઈ જતા હોય છે અને જિંદગીને નવેસરથી જીવવાની શરૂઆત કરતા હોય છે. એ મનની પીડાને મનમાં જ સંઘરી રાખતા હોય છે. જે પ્રેમ કર્તવ્યને ભુલાવી દે છે એને પ્રેમ કહી શકાય ખરો ? પ્રેમ અને કર્તવ્ય એકબીજા સાથે જોડાયેલા છે. ક્યારેક તો એવું પણ બને છે, કર્તવ્ય માટે પ્રેમનું બલિદાન આપવું પડતું હોય છે. કર્તવ્ય આગળ પ્રેમ ગૌણ બની જાય છે.

સુમંતની આ વાત છે. આજે તો એ મોટો બિઝનેસમૅન છે. એનું બહુ મોટું નામ છે. પ્રતિષ્ઠા છે. ઉદ્યોગના ક્ષેત્રે એની બહુ મોટી શાખ છે. પત્ની છે. બે બાળકો છે. કોઈ ફુરસદની વેળા એ મિત્રોની વચ્ચે બેઠો હોય, જીવનની જૂનીનવી વાતો ચાલતી હોય, હળવી મજાક-મશ્કરી થતી હોય ત્યારે એ પણ ખીલી ઊઠે છે અને કબૂલ કરે છે : કૉલેજમાં હું ભણતો હતો ત્યારે એક છોકરીના પ્રેમમાં હું પડ્યો હતો. એ છોકરી પણ મને ચાહતી હતી. એના પિતા શ્રીમંત હતા. મોટા બિઝનેસમૅન હતા. અમે બન્ને છૂપાંછાનાં એકબીજાને મળતાં હતાં. એ મને કોઈ કોઈ વાર એની મોટરમાં ફરવા લઈ જતી હતી. હું મનમાં ને મનમાં વિચાર કરતો : મારે પણ મોટર હોય તો કેવું ? હું પણ એના બાપની જેમ મોટો બિઝનેસમૅન હોઉં તો કેવું ?

અમારી વચ્ચે જરૂર પ્રેમ હતો, પણ વાસ્તવિકતા હું બરાબર સમજતો હતો. એ છોકરી પણ બરાબર સમજતી હતી. અમે બન્ને લગ્ન કરી શકીએ એમ તો હતા જ નહીં. એ બીજાને પરણી ગઈ. મારા દિલને જરૂર ઘેરી ચોટ પહોંચી ગઈ હતી. મને કાળજે ઘા લાગી ગયો હતો, પણ મેં એ દુ:ખ જીરવી લીધું હતું. એના બાપની જેમ મારે પણ બિઝનેસમૅન બનવું છે. મારે પણ બંગલો-મોટરગાડી વસાવવાં છે. એ વાત મનમાં એવું તો ઘર કરી ગઈ હતી કે એ દિશામાં હું આગળ વધતો ગયો હતો. એક સરસ છોકરી સાથે લગ્ન થયું. સફળ બિઝનેસમૅન થવાનું સ્વપ્ન પણ સાકાર થઈ ગયું.

સુમંત કહે છે : જે છોકરીને હું પ્રેમ કરતો હતો, એ છોકરી અને એના પતિ સાથે આજે મારે એવો ને એવો મીઠો સંબંધ છે. અમે એકબીજાના નજીકના મિત્રો છીએ.

એવી જ વાત મુંજાલની છે. એ કૉલેજમાં પ્રોફેસર છે. એ પણ પરિણીત છે. એને પત્ની છે. એક બાળકી પણ છે. એની વાત પણ જાણવા જેવી છે. એ એક છોકરીના પ્રેમમાં હતો ત્યારે તો એ કુંવારો હતો. એક અવેતન નાટ્ય સંસ્થામાં બન્ને કામ કરતાં હતાં. બન્ને નાટકના જીવ હતા. નાટકમાં કામ કરતાં કરતાં બન્ને વચ્ચે પ્રેમ જાગી ગયો હતો. બન્ને એકબીજાના ભરપૂર પ્રેમમાં હતાં. બન્ને વચ્ચેનો પ્રેમ જગજાહેર થઈ ગયો હતો અને એ છોકરી મુંજાલને બિલકુલ અંધારામાં રાખી એ પૈસાદાર પુત્ર સાથે લગ્નથી જોડાઈ ગઈ હતી.

આ ઘટનાએ મુંજાલના હૃદયને જબરદસ્ત આંચકો આપ્યો હતો. એ આપઘાત કરવા પણ દોડી ગયો હતો, પણ એને વિચાર આવ્યો હતો. આપઘાત એ તો કાયરતા છે. મારે શું કામ આપઘાત કરવો જોઈએ ? મેં કોઈ ગુનો તો નથી કર્યો ને ? મેં કોઈ ખોટું કામ તો નથી કર્યું ને ? મેં ચોરી કે છિનાળવું તો નથી કર્યું ને ? મેં એ છોકરીને છેતરી કે દગો તો નથી દીધો ને ? દગો દીધો હોય તો એણે મને દીધો છે. મારે શું કામ આત્મહત્યા કરવી જોઈએ ?

અને મુંજાલે મનને મજબૂત બનાવી દીધું હતું. એણે કોઈ છોકરીને ચાહી હતી. એ વાત જ એ ભૂલી ગયો હતો. એણે એમ.એ કર્યું. એ ફર્સ્ટ કલાસ આવ્યો. પેલી છોકરી કરતાંય વધારે સુંદર છોકરી એને મળી ગઈ. પતિ-પત્ની આજે સુખી છે. કોઈ વાર હસતાં હસતાં એ એની પત્નીને કહે છે : ‘સારું થયું, એ છોકરીએ મને દગો દીધો, નહીં તો, તારા જેવી પ્રેમાળ અને ઉમદા પત્ની મને મળત ક્યાંથી ?

મંજરીબહેન પ્રૌઢ છે. એક હાઈસ્કૂલનાં પ્રિન્સિપાલ છે. જાજરમાન સ્ત્રી છે. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. આ ઉંમરે પણ તેઓ અપરિણીત છે. એકલાં રહે છે, આનંદથી જીવે છે. ખેલદિલ છે એટલાં જ ખુશમિજાજ પણ છે. એમના જીવનની પણ એક કહાની છે.

મંજરીબહેન એમ.એ.બી.એડ થઈ શિક્ષિકા તરીકે અને હાઈસ્કૂલમાં જોડાયાં હતા ત્યારે એ હાઈસ્કૂલના એક શિક્ષક સાથે લાગણીના સંબંધથી ગૂંથાયાં હતાં. બન્ને વચ્ચે પ્રેમ-સંબંધ ઊભો થયો હતો. બન્ને ખૂબ નજીક આવી ગયાં હતાં. પાછળથી એમને ખબર પડી કે એ શિક્ષક તો પરિણીત હતો. એમને એ શિક્ષક માટે ગુસ્સો તો આવી ગયો પણ મનમાં ને મનમાં એ સમસમી રહ્યાં હતાં. એમણે એ શિક્ષકને પૂછ્યું, ‘તેં મારાથી સાચી વાત શું કામ છુપાવી રાખી હતી ?’ ત્યારે એ આંખમાં આંસુ સાથે બોલ્યો હતો : ‘મને મનમાં બીક હતી. હું સાચી વાત કરું અને તમે મને છોડી દો તો ! તમે મને પ્રેમ કરતાં બંધ થઈ જાવ તો ? હું તમને એટલો બધો ચાહું છું કે મારે તમને ગુમાવવાં ન હતાં. એટલે તમને સાચી વાત કહી શક્યો ન હતો. હું તમારી માફી માગું છું. હવે તમે મને કદાચ તિરસ્કારશો તોય હું તો તમને ચાહતો જ રહેવાનો છું.’

એ શિક્ષકના જવાબથી મંજરીબહેનનું હૃદય દ્રવી ઊઠ્યું હતું. એ પણ મનમાં તો ઊંડા મંથનમાં પડી ગયાં હતાં. આ માણસ માટે મને પ્રેમ હતો. એને હું ચાહતી હતી. એ પરિણીત છે એ વાતની મને જાણ થઈ અને હું એને પ્રેમ કરતી બંધ થઈ જાઉં તો મારો પ્રેમ કેવો ? એ જે હોય તે. પરિણીત હોય કે કુંવારો હોય, એનો શો ફરક પડે છે. હું એને ચાહું છું એ જ મુખ્ય વાત છે.

અને એ સ્ત્રીએ પેલા શિક્ષકનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું હતું : ‘હું તને ચાહું છું.’ એ પછી ત્રણ ચાર મહિના પછી, એ શિક્ષકનું મોટર અકસ્માતમાં અવસાન થયું હતું. મંજરીબહેન આજે પણ એ શિક્ષકની વિધવા પત્નીની સંભાળ રાખે છે. પોતાની બહેનની જેમ એને સાચવે છે. એના દીકરાને પોતાની સ્કૂલમાં જ રાખી ભણાવે છે.

પ્રેમ-સગાઈ એ તો એક ઊંચામાં ઊંચી સગાઈ છે. પ્રેમ થયો એટલે લગ્ન થઈ જાય, એવું થોડું છે ? પ્રેમ હોય અને લગ્ન ન પણ હોય. પ્રેમમાં સફળતા મળે કે નિષ્ફળતા મળે, પ્રેમમાં કોઈ વાર છેતરાઈ પણ જવાય કે કોઈ વાર ઠોકર પણ લાગી જાય. પ્રેમ તો પ્રેમ જ રહે છે. પ્રેમ કદી છીછરો હોઈ શકે નહીં. પ્રેમમાં તો દરિયાની ઊંડાઈ હોય છે. પ્રેમને વરસો સાથે સંબંધ નથી. પ્રેમને તો ક્ષણો સાથે પણ એટલો જ ઉત્કટ સંબંધ હોય છે. પ્રેમ તો ઘડી – દો ઘડીનો પણ હોઈ શકે, પણ એ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અકબંધ રહે, ધબકતો રહે.

પ્રેમ એક સરોવર નથી, પ્રેમ તો એક નદી છે, વહેતી નદી. સતત વહેતી નદી. પ્રેમ કદી સરોવરની જેમ પાળો વચ્ચે કેદ રહી શકે નહીં. પ્રેમને તો વહેવા જોઈએ. વહેતા રહેવું એ પ્રેમનો સ્વભાવ છે. પ્રેમ એ દુનિયાના બજારમાં જાહેર કરવાની કોઈ ચીજવસ્તુ નથી. પ્રેમનાં ઢોલ-નગારાં વગાડવાનાં હોતાં નથી. પ્રેમના વરઘોડા કે ફુલેકાં પણ હોતા નથી. પ્રેમ એ તો અંતરના એકાન્ત ખૂણામાં અમૂલ્ય મોતીની જેમ સાચવી રાખવાની, જાળવી રાખવાની એક ચીજ છે. એટલે તો કહેનારે કહ્યું છે કે, પ્રેમનાં મોતી કોઈ ઝવેરીની દુકાને વેચાતાં મળતાં નથી. કોઈના દિલના દરિયામાં ડૂબકી મારવાનું જેના નસીબમાં હોય, એને જ આ મોતી પ્રાપ્ત થાય છે.

તમે કોઈને છાનો-છૂપો પ્રેમ તો જરૂર કર્યો હશે. તમારા ભાગ્યમાં જુદાઈ લખાઈ હશે. તમારું એ પ્રિયજન આજે કદાચ દૂર દૂર હશે, દરિયાપાર હશે, એને જોયે અને એને મળ્યે વરસો વીતી ગયાં હશે, પણ એથી થઈ શું ગયું ? એનું સ્મરણ તો તમારા હૈયામાં ગોપાયેલું છે ને ? કોઈ વાર નિરાંતની પળોમાં એને યાદ કરી જોજો. પ્રેમની ક્ષણોના સ્મરણનો પણ એક અનોખો આનંદ હોય છે.

“જીવનનું સત્ય ”

[1] જીવન જીવવાની કલા

બેફામ સાહેબની એક રચના છે :

અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે,
હૃદયની ભાવનાની ખુશ્બૂનો વિસ્તાર કરવો છે;
અમે આવ્યા છીએ અહિયાં થોડાં ફૂલો લઈ,
તમે થોડીક ધરતી દો તો એક ગુલઝાર કરવો છે.

જીવન જીવવું અને જીવંત રહેવું એ બંને અલગ બાબત છે. હૃદય જ્યાં સુધી ધબકતું રહે ત્યાં સુધી આપણે ચોક્કસ જીવતા રહી શકીએ છીએ, પરંતુ એમાં જો જીવન ધબકતું રહે તો જ જીવંતતા ટકી રહે. જીવનને ધબકતું રાખવા માટે જીવનમાં શોખ હોવા ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિને જુદા જુદા શોખ હોય છે. શોખ અને કલા એકબીજાના પૂરક છે. માણસને જે વસ્તુનો શોખ હોય તે જરૂર કલા બની શકે છે; પરંતુ શોખ તો ટીવી જોવાનો પણ હોઈ શકે ! શોખ પાણીપુરી ખાવાનો કે ગપસપ કરવાનો પણ હોઈ શકે. એ પ્રકારનાં શોખની આ વાત નથી. અહીં શોખ એટલે કાર્ય પ્રત્યેની અત્યંત એકાગ્રતા અને શુભનિષ્ઠા. આવો શોખ ક્યારેક કલામાં પરિવર્તિત થઈ શકે છે. તમને શું કરવાનો શોખ છે એ શોધી કાઢો. દરેક વ્યક્તિમાં એક કલાકાર વસેલો છે. ઈશ્વરે દરેકને કોઈને કોઈ કલાનું વરદાન આપ્યું છે પરંતુ એ વરદાનને ઓળખીને આપણે આપણામાં રહેલા કલાકારને જન્મ આપવાનો છે.


પોતાના શોખનો વિસ્તાર કરવાથી કે કોઈ કલામાં પારંગત બનવાથી માણસ જીવંત રહે છે. સતત નવું નવું શીખવાથી મગજનો પણ વિકાસ થાય છે. મનની ક્ષિતિજો વિસ્તરે છે. પોતાનો આત્મવિશ્વાસ વધે છે. નૃત્યનો શોખ હોય તો તે માટેની તાલિમ લઈને વ્યક્તિ એક સારો નૃત્યકાર બની શકે છે. ખૂબ ગાવાનો શોખ હોય તેવી વ્યક્તિ યોગ્ય માર્ગદર્શન અને રિયાઝ વડે સારો ગાયક બની શકે છે. સતત કંઈક નવું વાંચવા-લખવાનો શોખ કેળવીને લેખનકલામાં પારંગત બની શકાય છે. અરે… રોજિંદુ ઘરકામ કરતાં રસોઈના ક્ષેત્રમાં નવી-નવી વાનગીઓ બનાવવાનો શોખ જાગે તો એ પણ ક્યારેક રસોઈકલામાં રૂપાંતરિત થઈ શકે છે. શોખ એ જ કલાની જન્મદાત્રી છે.

માણસને અલગ-અલગ પ્રકારનાં શોખ તો હોવા જ જોઈએ. એ બધાં શોખ ભલેને પછી કલામાં પરિવર્તિન ન પણ પામે; પરંતુ વિવિધ ક્ષેત્રોમાં નવું નવું જાણવા કે શીખવાનું તો મળી રહેશે ! આપણે ભલે એક જ ક્ષેત્રમાં નિપુણ બનીએ પરંતુ અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને એક નવી જ દુનિયાનો નીતનૂતન અનુભવ કરવો એ કંઈ ખોટની વાત નથી. માણસ અને જગત બધું જ પરિવર્તનશીલ છે. એકનું એક ક્યારેય કંઈ રહેવાનું નથી. પ્રત્યેક માનવી હરહંમેશ કંઈક નવું ઝંખે છે. એક જ પ્રકારના કાર્યથી વ્યક્તિ ઊબી જાય છે. માણસની આંખ અને હૃદયને હંમેશાં કંઈક વિસ્મયતા જોઈએ છે. કંઈક નવું જાણવાની તાલાવેલી કેળવીને જ માનવી આ પ્રકારની નવીનતાનો અનુભવ કરી શકે છે. આપણે બધાએ અનુભવ્યું છે કે આપણી શેરીમાં સાપ નીકળે તો લોકો એને જોવા ટોળે વળે છે કારણ કે એ આપણને રોજ જોવા નથી મળતા, પરંતુ જો ગાય નીકળે તો લોકો જોવા ટોળે વળે ખરા ?

કંઈક અનોખું જાણવામાં જ માણસને રોમાંચનો અનુભવ થાય છે. વ્યક્તિ તેમાં આનંદ પ્રાપ્ત કરે છે. શોખ આપણે વિવિધ આનંદદાયક પ્રવૃત્તિઓને જીવનમાં એક નિશ્ચિત સ્થાન આપી શકીએ છીએ. શોખ કેળવવો એ સહજ બાબત છે. તે આપોઆપ પ્રગટે છે અને વિકસે છે. ‘આમ નહીં કરું તો હું મૂર્ખ દેખાઈશ’ એમ જબરજસ્તી કરીને કોઈ શોખ વિકસાવી શકતા નથી. એનાથી તો ઊલટું જીવનતત્વ ઓછું થઈ જાય છે. કોઈ પણ શોખને સહજ રીતે વિકસવાની અને પાંગરવાની મોકળાશ મળે ત્યારે તે કલામાં પરિવર્તિત થતો હોય છે. એક વિદ્યાર્થી એ એક ચિત્ર દોર્યું હતું. એ વિદ્યાર્થીને ચિત્ર થોડું બરાબર નહોતું લાગતું. એણે તે ચિત્ર પોતાના વર્ગશિક્ષકને બતાવ્યું. શિક્ષકે તે ચિત્રમાં બ્રશથી એક નાનકડો લસરકો માર્યો અને ચિત્ર ક્ષણાર્ધમાં અતિસુંદર બની ગયું ! વિદ્યાર્થીને હવે ખરેખર એ ચિત્ર જીવંત લાગ્યું. આથી તેણે શિક્ષકને પૂછ્યું : ‘સર, આપે તો ફક્ત એક સહેજ લસરકો જ માર્યો છે છતાં ચિત્ર આટલું સરસ કેવી રીતે બની ગયું ?’ શિક્ષકે જવાબ આપ્યો કે : ‘બેટા, એક લસરકો આટલો ફેરફાર કરી શકે ત્યાં જ કલા જન્મે છે.’

ખરેખર, કલાનો એક લસરકો માનવીને ક્યારેક જીવન જીવવાની કલા પણ શીખવી શકે છે. કલાનો સંગાથ માનવીને તાણમુક્ત રાખે છે. સદાય આનંદમાં રાખે છે. હંમેશા પ્રફુલ્લિત રહેવા માટે કંઈક નવું નવું શીખવું પડે તો માણસે સતત શીખતા રહેવું જોઈએ. પોતાના શોખને કેળવવા માટે યોગ્ય વ્યક્તિની મદદ લેવી પડે તો પણ લેવી જોઈએ પરંતુ સવાલ છે જીવનના વૈવિધ્યસભર આનંદને માણવાનો. આમ કરતાં જે કલાકો પસાર થાય છે એમાં કદાચ આપણને પૈસા ન મળતા હોય એમ બને; પરંતુ એકવાર વ્યક્તિનો શોખ કલામાં રૂપાંતરિત થાય છે એ પછી તેની પાછળ કામ અને દામ બેઉ દોડતા આવે છે. એ સમય ‘વેસ્ટ’ નથી થતો પરંતુ ‘ઈનવેસ્ટ’ થાય છે.

વિખ્યાત મનોવૈજ્ઞાનિક કાર્લ જુર્ગે હતાશાને આ યુગની સૌથી મોટી વ્યાધિ તરીકે ઓળખાવી છે. આ હતાશાને દૂર કરવી હશે અને જીવન જીવવાની કલા શીખવી હશે તો આપણે સાચા અર્થમાં કલાકાર બનવું પડશે.
.

[2] ભૂલો અને માફ કરો

ક્ષમા એ બે અક્ષરનો શબ્દ બોલવામાં જેટલો સરળ છે તેટલો જ વ્યવહારમાં મૂકવો કઠિન છે. કોઈ અંગત વ્યક્તિ આપણી પાસેથી આપણને ગમતી કોઈ વસ્તુ માંગી લે તો એ વસ્તુ આપવામાં આપણને કંઈ બહુ કષ્ટ ન પડે; પરંતુ જ્યારે એ અંગત વ્યક્તિને માફી આપવાની વાત આવે ત્યારે આપણને વધારે શ્રમ પડતો હોય છે. જેના પર આપણે વિશ્વાસ રાખ્યો હોય તે વ્યક્તિ આપણી સાથે વિશ્વાસઘાત કરે તો એ વેદનાને પચાવવી ખૂબ અઘરી બની જાય છે. વિલિયમ બ્લૅક કહે છે કે ‘દુશ્મનને તો હજુ પણ માફ કરી શકાય પણ મિત્રોને માફ કરવા ખૂબ જ અઘરા છે.’ એ વ્યક્તિ આપણી સાથે આવું કરી જ કેમ શકે ? એ વાત આપણે ભૂલી શકતા નથી. કહેવાય છે કે ‘ભૂલો અને માફ કરો’ એમાં ભૂલવું તો હજુ સહેલું છે કારણ કે માનવ સ્વભાવ જ વિસ્મૃતિને વરેલો છે. કાળક્રમે અમુક વાતો સહજ રીતે વિસરાઈ જાય છે. કઠીન તો માફી આપવાનું કામ છે. માફી આપવી એટલે મનની કળવાશને દૂર કરી દેવી. જે વ્યક્તિને આપણે માફ કરી દીધી હોય તે આપણને વર્ષો પછી મળે તો પણ મનમાં એ જૂની વાતોનો કોઈ પડઘો પડતો નથી મન પર તેનો કોઈ બોજ હતો નથી.

ક્ષમા આપવી એ સરળ બાબત નથી. ક્ષમાને વીરોનું આભૂષણ કહેવાયું છે. કોઈને માફ કરવાથી માફી આપનાર વ્યક્તિ અહંકારરહિત બની જાય છે કારણ કે ક્ષમા ન કરવામાં જો સૌથી મોટું કોઈ તત્વ આડું આવતું હોય તો તે અહંકાર છે. ક્ષમા તો હૃદય ઉદાર બને તો જ આપી શકાય ! માફી આપવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી વ્યક્તિના મન પરનો બોજ હળવો થઈ જાય છે. વ્યક્તિ જેવો છે તેવો દોષસહિત સ્વીકારવાની તૈયારી તેને મૂઠીઉંચેરો બનાવે છે. એક સાયકોલોજી બુલેટિન પ્રમાણે, ‘માફી આપવાથી હકારાત્મક વિચારો વધે છે, તાણ ઘટે છે, બ્લડપ્રેશર ઘટે છે અને હૃદય પર સારી અસર થાય છે.’ ક્ષમા સંબંધોને મજબૂત બનાવે છે. જે લોકો કોઈ પણ વાતને જલ્દીથી ભૂલી શકતા હોય અને બીજાને માફ કરી શકતા હોય તેમની તંદુરસ્તી પણ સારી રહે છે.

એક વખત એક અધ્યાપકે તેમનાં વિદ્યાર્થીઓને જૂની બધી જ વાતોને ભૂલવા અને દરેકને માફ કરી દેવા વિશે સમજાવ્યું પરંતુ વિદ્યાર્થીઓને તે વાત કંઈ ગળે ના ઊતરી. તેઓનું કહેવું એમ હતું કે તેઓ કોઈ પણ વાતને ભૂલી શકતા નથી. માફી આપવી તો તેમને સદંતર અશક્ય લાગતી હતી. આથી અદ્યાપકે એક પ્રયોગ વિચાર્યો. એમણે દરેક વિદ્યાર્થીને પોતાની સાથે પ્લાસ્ટિકની બેગમાં બટેટા લાવવાનું કહ્યું. શરત એ મૂકી કે તેઓ જ્યાં જાય ત્યાં બટેટા સાથે લઈને જ ફરવાનું ! બીજા દિવસથી બધા વિદ્યાર્થીઓ પોતાની સાથે બટાટા લાવવા માંડ્યા. પોતાની સાથે દરેક જગ્યાએ બટેટા લઈને ફરવાનું હોવાથી વિદ્યાર્થીઓને અતિશય ભાર લાગવા માંડ્યો. એક પ્રકારનું બંધન મહેસૂસ થવા લાગ્યું. થોડા સમય પછી બધા બટેટા સડી ગયા. એમાંથી દુર્ગંધ આવવા લાગી. હવે તો બટેટા પોતાની સાથે લઈને ફરવું ખરેખર અસહ્ય હતું. વિદ્યાર્થીઓના અનુભવ બાદ અધ્યાપકે ખુલાસો કરતાં કહ્યું કે જૂની વાતોને યાદ રાખવાનો બોજ પણ બટેટા જેવો જ છે. બટેટાની જેમ મનમાં તે સડો ઉત્પન્ન કરે છે. નકારાત્મક વિચારો વધે છે. ક્રોધ અને વેર ઉત્પન્ન થાય છે. સાચું શૌર્ય તો ક્ષમા આપવામાં રહેલું છે. આખરે, વિદ્યાર્થીઓને વાત ગળે ઊતરી અને તેમને ક્ષમાનું મહત્વ સમજાયું.

ક્ષમા એ વાતનું પૂર્ણવિરામ છે જ્યારે વેર એ વાતનું વતેસર છે. બે ના ચાર થાય એમ વેર હંમેશા બમણું થતું રહે છે. કોઈક વાર તો પેઢીઓ સુધી વિસ્તરે છે અને નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લે છે. આપણે જો કોઈકનાં દોષ કે અન્યાયને માફ કરવાની શક્તિ કેળવીએ તો કદાચ ઈશ્વર પણ આપણા દોષોને માફ કરી દે. ઈશ્વર માણસ કરતાં વધારે કરુણાવાન છે. ક્ષમાનો ગુણ કદાચ એક કલાક કે એક દિવસ કે એક અઠવાડિયમાં ભલે વિકસિત ન થઈ શકે પરંતુ તેનો મહાવરો કરવાથી ધીમે ધીમે તેને કેળવી શકાય છે. લાંબેગાળે તે આપણા જીવનમાં ચોક્કસ સિદ્ધ થઈ શકે છે. માફી આપવી એ એક સદગુણની સાથે એક ઉત્તમ ઔષધ છે; તેથી આપણને તેનો ફાયદો ચોક્ક્સ થવાનો જ છે.

સંબંધોમાં સ્નેહસિંચન ”

‘કુટુંબ એટલે આપણે માટે મોટી સોશ્યલ સિક્યુરિટી. કુટુંબમાં જ મેઘઘનુષના રંગો જેવા વિવિધરંગી સંબંધો અને સગપણની ક્યારીમાં જીવન મહોરી ઊઠે.’ મને મારા પિતાજી કહેતા હતા, પરંતુ યુવાનીના એ દિવસોમાં મને થતું હતું કે આ બધી આદર્શ પરિસ્થિતિનું કવિ કે લેખકની કલ્પનાશીલ કલમે લખાયેલું ચિત્ર છે. બાકી જીવનની નક્કર વાસ્તવિકતા સાવ જુદી છે. દૂરથી ડુંગર રળિયામણા લાગે તેમ દૂરથી બધું સારું લાગે. પાસે જઈએ તો ત્યાં પથરા જ પથરા હોય.

મને એ વર્ષોમાં થતું હતું : આખો વખત સગાસંબંધીઓની કટકટ… જાતજાતના સ્વભાવના અને પ્રકૃતિના માણસોનો શંભુમેળો થાય ત્યારે તમે કેટલાંના મન સાચવો ! તમારા તનની અને મનની ઘણી શક્તિઓ આ બધાને સાચવવામાં જ વેડફાવવાની. આ બધા વચ્ચે તમે પોતાને માટે કેટલું કરી શકો ! અનિલ ભલેને મજાકમાં કહેતો હોય, પણ એ સાચું જ કહે છે, ‘સગાઓ વહાલા નથી હોતા !’ પરંતુ શું થાય ? કુટુંબમાં આપણે રહીએ છીએ અને સમાજમાં જીવીએ છીએ એટલે સમાજના કેટલાક ધારાધોરણમાંથી છટકી નથી શકતા. એટલે સગાસંબંધીઓથી છૂટી નથી શકતા, પણ એમનાથી જેટલા દૂર રહીએ એટલું સારું.

અમદાવાદનો આલિશાન બંગલો, સુખસગવડ અને સગાવહાલા બધું છોડીને પરદેશમાં રહેતી નંદિનીએ મને કહ્યું હતું : ‘લગ્ન પછી બે વર્ષ હું સાસરે રહી. પણ બધા સગાઓથી ત્રાસી ગઈ ! અહીં પરદેશમાં શાંતિ તો છે. કોઈની સતત ટીકા-ટિપ્પણી તો નહીં ! સતત સલાહસૂચનો-રિસામણાં-મનામણાં તો નહીં.’…. એક રોહિત નામનો યુવક એના મિત્રોને કહે છે : ‘રજા પડે છે ત્યારે મને હૉસ્ટેલમાંથી ઘેર જવાનું મન થતું નથી. ઘેર ગયા એટલે બા-બાપુજીની એકની એક વાતો અને શિખામણો. કેટલું ‘બોરિંગ’ હોય છે આ બધું….’ – આજે મહદઅંશે યુવાવર્ગમાં આ પ્રકારની લાગણી પ્રવર્તતી તમને દેખાશે. એમને થતું હોય છે, જવા દો ને સગાંઓની વાત… એના કરતાં મિત્રો સારા. માથાકૂટ તો નહીં ! કુટુંબ પ્રત્યે-સગાંસંબંધી પ્રત્યે અણગમો રાખવો એ આજની ફૅશન થઈ ગઈ છે.


પરંતુ આજે મને લાગે છે કે આ વિચારધારા યોગ્ય નથી. પરિણીત જીવનના પાંચ દાયકાથી યે વધુ સમય વીતી ગયો છે ત્યારે એ ભર્યાભાદર્યા કુટુંબનું મૂલ્ય મને બરાબર સમજાય છે. મેઘલી ગમગીન સંધ્યાએ હું એકલી મારા ફલેટની બાલ્કનીમાં સાંજે બેઠી છું, ત્યારે ઘરની સૂમસામ શાંતિ મને ગૂંગળાવે છે. ભયંકર ખાલીપો લાગે છે. થાય છે ક્યાં ખોવાઈ ગયાં એક વખતનાં હાસ્યવિનોદ, તોફાન-મસ્તી, રિસામણાં-મનામણાં, હાસ્ય અને રુદન ! ઉગ્ર ચર્ચા અને વડીલોનો મક્કમ અવાજ અને તરુણોનો વિરોધ ! આઠદસ માણસો તો ઘરમાં હોય જ, વડીલોથી માંડી બાળકો સુધી ! રક્ષાબંધન, નવું વર્ષ અને વર્ષ ગાંઠ નિમિત્તે કુટુંબીજનો ભેગા થાય ! લગ્નવિવાહનો પ્રસંગ હોય કે કોઈકની માંદગી, બધા જ હાજર થઈ જાય અને વારાફરતી ફરજ સંભાળી લે. અમને બહારની કંપનીની જરૂર નહોતી પડતી. ઘરમાં જ કંપની હતી. એ દિવસોની શિસ્ત, કુટુંબનાં ધારાધોરણો, માનમર્યાદાના ખ્યાલો તે વખતે ખૂંચતાં હતાં, પરંતુ એ બધામાંથી સ્નેહ અને સલામતી નીતરતાં હતાં, તે હું આજે સમજી શકું છું અને મનોમન ઝંખું છું. એ વીતેલા દિવસોને….

ફિલ્મ, સાહિત્ય અને આપણે જેને ‘પોપ્યુલર કલ્ચર’ કહીએ છીએ એમાં રંગદર્શી પ્રણયનો – રોમેન્ટિક લવનો – મહિમા થતો આવ્યો છે. આવા પ્રેમનું લોકો સ્વપ્નું સેવતા હોય છે. કોઈક એવી કલ્પનાની મૂર્તિ મળી જાય તો બસ, એવું થતું હોય છે. આ પ્રકારના રોમેન્ટિક પ્રેમમાં તમારી રુચિ – મૂલ્યો અને પ્રકૃતિ સાથે જે બંધબેસતું આવતું હોય તેને માટે આકર્ષણ થાય છે. આવો પ્રેમ સફળ થાય અને એ ટકી રહે એ માટે તમે સક્રિય રહો છો. તમે એ માટે જાગ્રત રહી પ્રયત્નશીલ રહો છો. ગમે તે કારણે આ સંબંધ તૂટે તો એ પૂરો થઈ જાય છે. પરંતુ કુટુંબ સાથેનો સંબંધ ક્યારે પૂરો થઈ જતો નથી. તમારા પરિવારને તમે ભૂલી શકતાં નથી. લેખક માર્ક બ્રાયન એમના વિખ્યાત પુસ્તક ‘Codes of Love’ માં કહે છે : ‘કૌટુંબિક સંબંધ તમારી સાથે જ રહે છે. તમારા હૃદયના થીજીને સખત થઈ ગયેલા ખૂણામાં એ રહે છે – જે જગ્યા તમે એમને માટે તમારા હૃદયમાં નિર્માણ કરી હતી. તમે ભલેને એમનાથી હજારો માઈલ દૂર કેમ ન હો, પણ તેઓ નજીક છે. ભલેને તમને એકબીજા પ્રત્યે એક વખત કેટલોયે ગુસ્સો આવ્યો હોય, છતાં સંબંધ રહે છે – એ સંબંધ રહે છે તમારા મનનાં ઊંડાણમાં.’

લેખક માર્ક બ્રાયને ‘Codes of Love’ પુસ્તકમાં પોતાની કુટુંબકથા, કુટુંબ સાથેનો વિચ્છેદ અને વર્ષો પછીના મિલનની વાત કહી છે. એની સાથે એમણે જીવનમાં કૌટુંબિક સંબંધના મૂલ્યનું તેમજ કાઉન્સેલર તરીકેના તેમના અનુભવોનું સુંદર નિરૂપણ કર્યું છે. ઈ.સ. 1999માં ઓપરાહ વીનફ્રેની ટીમમાં ‘Change your life’ – તમારું જીવન બદલો – એ ટેલિવિઝન કાર્યક્રમમાં કામ કરતા હતા અને વર્ષોથી વિખૂટાં પડેલાં માતાપિતા અને એમનાં સંતાનોને ટી.વી. સ્ક્રીન પર એમણે ભેગા કર્યા હતા ! આ એમની અદ્દભુત કામગીરી હતી. મેં અમેરિકામાં આવો એક અત્યંત સંવેદનશીલ કાર્યક્રમ ટી.વી. પર અશ્રુ છલકતી આંખે જોયો હતો. હું કુટુંબમિલનનું એ દશ્ય ક્યારેય નહીં ભૂલી શકું.

લગભગ બે વર્ષ પહેલાંની વાત. વૉશિંગ્ટનમાં અમારા ભાણેજ મકરંદભાઈને ઘેર અમે હતાં. રાત્રે મોડે સુધી પહેલાંના કૌટુંબિક સંબંધોની અને પહેલાની નાનીમોટી ઘટનાઓનાં મધુર સંભારણામાં અમે ખોવાઈ ગયા હતા. એ વખતે મકરંદભાઈએ મને કહ્યું હતું : ‘તમે માર્ક બ્રાયનનું ‘Codes of Love’ પુસ્તક જરૂર વાંચજો. હું તો કહું છું કે કૌટુંબિક સંબંધો પરનું આ બાઈબલ છે.’ પછી તો એ પુસ્તકની વાત હું વીસરી ગઈ હતી ત્યાં અચાનક એ પુસ્તક મારે માટે આવી પહોંચ્યું. મારી પુત્રી અસ્મિતા એ લઈ આવી હતી. 280પાનાંના આ પુસ્તકની શૈલી સરળ અને રસપ્રદ છે. એમાં ભારોભાર નિખાલસતા છે. આપણા સૌની – આપણા કુટુંબજીવનની કોઈને કોઈ ઘટના – કોઈને કોઈ સમસ્યાનું આલેખન આ પુસ્તકમાં જોવા મળે છે. માર્ક બ્રાયને અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાંથી માનસશાસ્ત્રમાં ‘સ્પેશ્યલાઈઝેશન’ કર્યું છે. ‘પ્રોડીગલ ફાધર’ (Prodigal father) અને ‘રિયુનાઈટિંગ ફાધર્સ એન્ડ ધેર ચિલ્ડ્રન’ (Reuniting fathers and their children) એમનાં બીજાં મહત્વનાં પુસ્તકો છે. શિથિલ થઈ ગયેલા – લુપ્ત થઈ ગયેલા કે તૂટી ગયેલા કૌટુંબિક સંબંધોના તારને ફરીથી ઘટ્ટ પોતમાં કેવી રીતે વણી શકાય તે માટે લેખકે મુખ્ય ચાર સૂત્રો આપ્યાં છે. ચાર ‘R’ – ‘આર’માં આ બધું આવી જાય ! આ ચાર ‘આર’ તે (1) Remember – યાદ કરો (2) Reflect – ચિંતન કરો (3) Reframe – ફરી નવો આકાર આપો. (4) Reconnect – પુનર્સંધાણ કરો.

યાદ કરો – Remember : લેખક કહે છે, તમારે તમારા કૌટુંબિક સંબંધને ગાઢ અને આત્મીય બનાવવો છે ને ? તો તમે કુટુંબના અને કુટુંબના સદસ્યોના માત્ર શ્યામ અને વિષાદભર્યા રંગો ન જોયા કરો. તમે તેમાં થોડા નવા રંગો ઉમેરો. આ રંગો તે સંતોષનો – ઉષ્માનો અને નવ ચેતનાનો. નવા ઉજ્જવળ રંગો ઉમેરીને પછી જુઓ કે ચિત્ર કેટલું બદલાઈ જાય છે. તમારા પરિવાર સાથે વિતાવેલો સારો સમય તમે યાદ કરો. એ સુખદ ક્ષણોને તમે ‘reclaim’ કરો. એને સજાવો. એક વખત તમે એમની ઉજ્જ્વળ બાજુ જોવા માંડશો. એટલે આપોઆપ દુ:ખદ સ્મૃતિઓ ઝાંખી પડી જશે અને એનું સ્થાન નવી મધુર સ્મૃતિઓ લેશે. ખાસ તો પારિવારિક સંબંધોમાં રહેલા માધુર્યને પામવા માટે તમારે બહારથી દેખાતાં કડવાશના કોચલાને ફેંકી દેવું પડે.

‘ચિંતન-મનન કરો..reflect’ – ઊંડાણથી વિચાર કરો. તમારું ચિંતન તમને અન્યના દોષોને અતિક્રમી જવાનું શીખવે છે. તમે જ્યારે ઊંડો વિચાર કરો છો ત્યારે તમે તમારી જાતને સાચી સાબિત કરવાનું છોડી દો અને ઘટના-પ્રસંગ કે વ્યક્તિના વર્તન પાછળના અર્થને ઊંડાણથી શોધો છો. કોઈ પણ મોટા ઘાને રુઝવવાની શક્તિ કરુણામાં રહી છે. તમને પોતાને જ થશે કે આપણે પોતે સંપૂર્ણ નથી. બીજાંઓથી પણ ભૂલ થાય. આપણે બધા જ માણસો છીએ અને ક્યારેક ને ક્યારેક નિષ્ફળ નીવડતાં હોઈએ છીએ. કરુણાસભર દષ્ટિથી જોતાં અને વિચારતાં થઈશું તો આપણે આપણા ભૂતકાળને અને વર્તમાનને નવી રીતે જોતાં થઈશું. સમજણ અને સહાનુભૂતિના નવા પ્રકાશમાં ઘટનાઓને અને વ્યક્તિઓને મૂલવશું, એટલું જ નહીં આપણે અન્ય લોકોના દષ્ટિબિન્દુને વધુ સારી રીતે સમજતાં થઈશું અને પછી આપણને બીજાના દોષ ઓછા ને ઓછા લાગશે. કુટુંબમાં બધાને કંઈ ને કંઈ દોષનું ‘લેબલ’ લગાડી દેવાની આપણામાંથી ઘણાને આદત હોય છે. ‘કાકા કંજૂસ છે’, ‘ફોઈ ઝઘડાળું છે…’, ‘પિતરાઈ ભાઈ લુચ્ચો છે..’, ‘પિતાજી બહુ જ કઠોર છે…’, ‘મા બહુ કચકચિયણ છે.’ વગેરે… પરંતુ આ બધાં દોષનાં લેબલ આપણે આપણી બચપણની અપરિપક્વ દષ્ટિએ લગાડ્યાં હતાં. આપણને તે કાળે ક્યાં સમજ હતી કે આપણાં માતાપિતાને કુટુંબની જવાબદારીઓ નિભાવવા માટે અને બદલાતાં જતાં જીવન સાથે તાલમેલ મેળવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે ! બાળક પર આ બધા તણાવની અસર પડે છે પણ એ તણાવ સમજવાની તે કાળે તેનામાં શક્તિ નથી હોતી.

માનસશાસ્ત્રી ફ્રોઈડે એક જબરજસ્ત વિધાન કર્યું અને એણે કહ્યું કે ‘મોટી વયની સમસ્યાઓનું મૂળ આપણા બચપણમાં રહેલું હોય છે.’ એનું પરિણામ એ આવ્યું કે આપણે મેગ્નિફાઈંગ ગ્લાસથી આપણા જે સૌથી નિકટવર્તી માણસો છે – જે આપણા આપ્તજનો છે – જેમની સાથે આપણો જન્મનો-લોહીનો સંબંધ છે, તેમના દોષ જોવા મથીએ છીએ ! જ્યારે બીજા માનસશાસ્ત્રી જેઈમ્સ હિલમેને કહ્યું છે કે આમ કરવાથી આપણા પરિવારના નાના દોષને મોટા કરીને જોવાથી આપણું જે પઢી દર પેઢીના સંબંધોનું જોડાણ છે તે તૂટી જાય છે, એટલું જ નહીં, પણ આપણી ક્ષતિઓને – મુશ્કેલીઓને આપણે આપણા બચપણની શૈયાની નીચે શોધવા મથીએ છીએ. આપણે જ્યારે આપણા પરિવાર પ્રત્યે જાણે ચુકાદો આપવા બેઠા હોઈએ એવી વૃત્તિ સેવતા રહીએ છીએ ત્યારે એનું પરિણામ શું આવે છે ? આપણે આપણાં સ્વજનોથી દૂર હડસેલાઈ જઈએ છીએ. માટે સતત એમના દોષ શોધવાનું અને જોવાનું તેમ જ એમના ન્યાયાધીશ થવાનું બંધ કરીએ.

‘રીફ્રેઈમ કરો….’ લેખક આગળ જતાં કહે છે : તમે તમારા સંબંધોને રીફ્રેઈમ કરો – એને નવો આકાર આપો – એને ફરી મઢો. કૌટુંબિક સંબંધોની તસ્વીરને ફરી ફ્રેઈમ કરો. આ માટે તમે વર્ષોથી જેને સત્ય માની લીધું હોય તેને તમારે બાજુએ રાખવું પડશે. આપણાં અંતરમાં ક્રોધ અને ઘૃણાને સ્થાને સ્નેહ, સંવેદના અને કરુણા ઉત્પન્ન કરવાનાં છે. આપણે આપણાં સ્વજનો સાથે પુનર્જોડાણ કરવું છે ને ? ફરીથી સંલગ્ન થવું છે ને ? તો યાદ રાખીએ કે આપણું કુટુંબ જે પરિસ્થિતિઓમાં મૂકાયું તે બધી તેમની સર્જેલી નહોતી ! કેટલાયે સંજોગો જ આવી પડતા હતા. ફોટોગ્રાફર તસ્વીરમાં સમયની એક ક્ષણની ઝડપી લે છે, પણ એ પોતે તસ્વીરમાં લાગણીના પ્રત્યાઘાતો પડી શકે એવી રીતે પોતાની કળાથી તસ્વીરને ફ્રેઈમ કરી શકે છે. આપણે પણ સંબંધોની તસ્વીરને નવી રીતે ફ્રેઈમમાં મઢવાની છે ! પછી જુઓ એ તસ્વીર કેવી લાગે છે તે !

પુનર્સંધાણ (Reconnection) : તમે કદાચ કહેશો કે અમે અમારા પરિવાર સાથે સંપર્કમાં રહીએ છીએ. પ્રસંગોપાત મળતા રહીએ છીએ. નૂતનવર્ષે કાર્ડ મોકલીએ છીએ, પરંતુ લેખક માર્ક બ્રાયન કહે છે કે આ સંપર્ક એ સાચું જોડાણ નથી. ‘Contact is not connection.’ લાગણીનું જોડાણ એટલે શું ? કેટલીયે વખત કુટુંબીજનો સાથે સંપર્કમાં રહીએ છીએ, પણ તેમાં ઔપચારિકતા વધુ હોય છે. બધું ઉપરછલ્લું હોય છે. આને ‘કોન્ટેક્ટ’ કહી શકાય. ‘કનેકશન’ નહીં. આ સંપર્કને, સંબંધને લાગણીસભર સંયોગમાં કેવી રીતે બદલી શકીએ એ માટે લેખકે મૂલ્યવાન સૂચનો કર્યાં છે. આપણને આપણી સ્વતંત્રતા ગમે છે તેમ બીજાને પણ ગમતી હોય છે, તેથી કુટુંબીજનોની સ્વતંત્રતાનો આદર કરો. આપણે એમની તાકાત અને નિર્બળતા સમજીએ અને તે પણ દોષ કાઢવા માટે કે એમને વિશે ચુકાદો આપવા માટે નહીં, પણ સમજવા માટે. બે પેઢી વચ્ચે આચારવિચાર, રહેણીકરણી અને જીવનશૈલી અંગે સંઘર્ષ થતો હોય છે. દરેક કુટુંબની પોતાની આચારસંહિતા અને પરંપરા હોય છે. ખાસ કરીને માન આબરૂ, ઈજ્જત અંગે ખાસ ખ્યાલ હોય છે એટલે ઘણી વખત બે પેઢી વચ્ચે લગ્ન, વ્યવસાય, કારકિર્દી અંગે વિખવાદ સર્જાય છે. બંને પોતાના વિચારોમાં અને ઈચ્છામાં દઢ રહે છે ત્યારે આ મતભેદ લોહીના સંબંધને એક ઝાટકે તોડી નાખે છે. બંને પક્ષે જિંદગીભર મનમાં એક દુ:ખ થીજેલા અંગારાની માફક અંદરથી જલતું રહે છે. દરેક નવી પેઢી આગલી પેઢીના ખ્યાલોને નવો અર્થ આપવા માંગતી હોય છે, એટલે સંઘર્ષ થાય. ભૂતકાળમાં કંઈક અણગમતું કે અનિચ્છનીય બન્યું હોય તેને મનમાંથી ભૂંસી નાખો અને જે સુંદર હતું, સારું હતું તે યાદ કરો અને જુઓ.

ટૉલસ્ટૉયે ‘એન્ના કરેનીના’માં કહ્યું છે : ‘સુખી કુટુંબો બધાં સમાન હોય છે અને દરેક કુટુંબ પોતાની રીતે દુ:ખી હોય છે.’ બધા જ કુટુંબમાં કંઈ ને કંઈ સંઘર્ષ હોય છે અને સાથે તાકાત પણ હોય છે, માટે પરિવાર પ્રત્યે નકારાત્મક અભિગમ અને દષ્ટિકોણને બદલે વિધેયક રીતે જોવું જોઈએ. આપણાં મિત્રોની, ઓળખીતાઓની અને બહારના લોકોની આપણે સલાહ પૂછીએ છીએ, ‘આ મકાન લઉં કે નહીં આ શેરર્સ લેવા જેવા છે કે નહીં ? કઈ સ્કૂલ સારી છે ?’ પણ ઘરનાની નહીં ! મા-પિતા-ભાઈ કે બહેને સલાહ આપી તે તમારે માનવી જ એવું તો નથી. પસંદગીની – નિર્ણયની સ્વતંત્રતા તમારી રહે છે જ. પરંતુ તમે એમને પૂછશો, એમની સલાહ લેશો તો એમને સારું લાગશે, એટલું જ નહીં પણ બંનેને પોતીકાપણું લાગશે. દરેક સંબંધમાં બાંધછોડ તો કરવી જ પડે છે, અનુકૂળ થવું પડે છે તો પરિવાર સાથે જ શા માટે નહીં ? લવચીકતા તો મોટી તાકાત છે. એનાથી તો સંબંધ ટકી રહેતા હોય છે. મિત્રો સાથે પણ સમાધાન નથી કરવું પડતું ? સાથે હળતાંમળતાં રહો. પ્રસંગોપાત પિકનિક-પર્યટનની યોજના કરો. વર્ષે બે વર્ષે પરિવારમિલન – Family Union ગોઠવો. એનાથી એકબીજાં સાથે વધુ ગાઢ સંબંધ થશે. ભેટની આપ-લેથી પણ આનંદ આવે છે. આમાં ભેટ કેટલી મોંઘી છે તે મહત્વનું નથી, પરંતુ મહત્વનો છે તેની પાછળનો ભાવ-લાગણી અને સ્નેહ. આપણને કોઈક પ્રેમથી યાદ કરે છે એ જ કેટલું આનંદપ્રદ હોય છે !

કૌટુંબિક સંબંધોની ગાંઠ ઢીલી થઈ ગઈ હોય કે એક વખત એમાં તિરાડ પણ પડી હોય તે છતાં એ સંબંધમાં બદલાવ આવી શકે છે. ખૂંચતા સંબંધને સુકોમળ સ્નિગ્ધ સંબંધમાં રૂપાંતરિત કરવાનો છે. એ ભગીરથ કાર્ય જરૂર છે, પણ એ માટેની તીવ્ર ભાવના હોય તો એ થઈ શકે છે. આ સંબંધ આપણા જીવનમાં સુખ અને સંતોષ માટે ખૂબ આવશ્યક છે. પણ એની શરૂઆત તો આપણે પોતે જ કરવી પડશે. આપણે પોતે જ બદલાવું પડશે. પ્રેમ મેળવવા કરતાં પણ વિશેષ જરૂર હોય છે પ્રેમ કરવાની. આપણે જ્યારે આપણા પરિવારને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણી જાત પ્રત્યે આપણને પ્રેમ અને આદર થાય છે. જીવનમાં કુટુંબજનો સાથે રહેવું – એમને પ્રેમ કરવો અને એમનો પ્રેમ સંપાદન કરવો એ કેટલું મોટું સદભાગ્ય છે એ જેઓ સમજતાં નથી, તેઓ જ કહેતાં હોય છે – ‘સગાઓ અને કુટુંબની વાત જ જવા દો. એમનાથી હું તો દૂર જ ભાગું છું.’ આવા લોકો ખરી રીતે તો પોતાનાં સામાજિક કર્તવ્યો અને જવાબદારીઓથી ગભરાઈને ભાગતા હોય છે. મને તો લાગે છે કે એમને પોતાના પતિ કે પત્ની સાથે અને સંતાનો સાથે પણ સારા સંબંધો નહીં હોય. જે પ્રેમાળ પુત્ર કે પુત્રી, ભાઈ કે બહેન નથી બની શકતું તે પ્રેમાળ પિતા-પતિ કે પત્ની પણ ન થઈ શકે. કૌટુંબિક સંબંધોનું એવું છે કે તમે એમાં જેટલું મૂકો – જેટલું ‘ઈનપુટ’ કરો એટલું ‘આઉટપુટ’ મળે. તમે તમારા માતાપિતા અને કુટુંબીજનો સાથે જેવો વર્તાવ કરશો તેવો જ વર્તાવ તમારાં સંતાનો તરફથી તમને મળશે. ઈરાનની આ જૂની લોકકથા સૌએ યાદ રાખવા જેવી છે.

એક વૃદ્ધ દાદા એમના પુત્રના પરિવારની સાથે રહેવા ગયા. થોડા સમય પછી એમના પુત્રને થયું કે એના પિતાને કારણે ઘરમાં સંકડાશ પડે છે એટલે એણે પોતાના પુત્રને બોલાવીને કહી દીધું કે દાદાજી માટે આપણા વાડામાં એક ઓરડી છે તેમાં રહેવાની વ્યવસ્થા કરી તું એમને ત્યાં રાખી આવ. એમને માટે ઘાસની પોચી પથારી કરજે અને ઘરમાં આપણો જે સરસ કામળો છે તે એમને ઓઢાડજે… પૌત્રે એના પિતાએ કહ્યું તે પ્રમાણે દાદા માટે વ્યવસ્થા કરી. દાદાને ઘાસની પથારીમાં સુવાડ્યા અને અડધો કામળો એમને ઓઢાડ્યો અને બાકીનો અડધો લઈ ઘરમાં આવ્યો.
‘મેં કહ્યું હતું તે પ્રમાણે તેં બધું કર્યું ને ? તો પછી એમને અડધો જ કામળો કેમ ઓઢાડ્યો ?’ પિતાએ પુત્રને પૂછ્યું.
‘કારણ કે બાકીનો અડધો મેં તમારે માટે બાકી રાખ્યો છે.’ પુત્રે કહ્યું.

આપણે આપણા વડીલો સાથે જે પ્રમાણે વર્તાવ કરીએ છીએ તે જ આપણાં સંતાનો શીખશે. આપણે ભવિષ્યમાં થોડી દષ્ટિ કરવાની જરૂર છે. તમે તમારી આગલી પેઢીને જુઓ. તમે મધ્યબિંદુ પર પીવટ પોઈન્ટ પર ઊભા છો અને હવે જુઓ, આવતી પેઢીને. આપણે જે રીતે આપણી આગલી પેઢી સાથે વર્તીશું અને જે રીતે આવતી પેઢીને ઉછેરીશું તે બધું આપણા પર જ પરાવૃત થવાનું છે, તે યાદ રાખીએ. સ્નેહાળ અને સુખદ પારિવારિક સંબંધમાંથી સંતોષના કિરણ ફેલાતાં હોય છે. આપણાં ચારિત્ર્યને એ બળ આપે છે. એનાથી આપણા જીવનસાથી – સંતાનો, મિત્રો અને બીજા અનેક લોકો સાથે વધુ સુખદ સંબંધો રચવાની આપણામાં ક્ષમતા આવતી હોય છે.

આજે જ્યારે વૈશ્વિકરણે અને યંત્રવિદ્યાએ (ટેકનોલોજીએ) જગતને ઘણું નજીક આણ્યું છે ત્યારે આપણાં પોતીકાં સ્વજનો દૂર થઈ ગયાં હોય એમ લાગે છે. અઢળક માહિતીઓથી આપણું મગજ ભરાતું જાય છે – બુદ્ધિ તીક્ષ્ણ બનતી જાય છે, ત્યારે હૃદયની લાગણીઓ બુઠ્ઠી થતી જાય છે. કેટલાંયે માતાપિતાનો સંતાનો દ્વારા અનાદર થઈ રહ્યો છે. ભાઈઓ-ભાઈઓ વચ્ચે અને પરિવારના સભ્યો વચ્ચેનો અનુબંધ શિથિલ થતો જાય છે અને જ્યારે કૌટુંબિક ભાવના લુપ્ત થતી જાય છે, ત્યારે આપણે આત્મનિરીક્ષણ કરવાનું છે કૌટુંબિક ભાવના ઓસરતી જાય છે તેમાં આપણી અણસમજ, આપણો વાણીવ્યવહાર જવાબદાર તો નથી ને ? આપણી સામે રહેલા સ્વજનો પ્રત્યે માત્ર આંગળી ચીંધવાથી આગ્રહો-પૂર્વગ્રહોની ગાંઠ ઉકેલાશે નહીં. કૌટુંબિક સંબંધોના નાજુક તાંતણાઓમાં ગૂંચ પડે છે. ક્યારેક સખત ગૂંચ પડે તેથી તે તાણાવાણાને ઉતાવળથી કાપી નાંખવાના ન હોય. અપાર ધીરજ અને કુશળતાથી ઉદારતાપૂર્વક એ સંબંધોમાં પડેલી ગૂંચને ઉકેલવાની હોય છે, રાહ જોવાની હોય છે, જેથી સ્વજનો સાથેના સૂકોમળ સંબંધો અકબંધ રહે. આપણી પાસેના કોઈ સાધનના સાંધાઓમાં કાટ જામી જાય છે, તેથી સંચલન વખતે કર્કશ અવાજ થાય છે. આપણે ત્યારે તેલ ઊંજીએ છીએ, એમ માનવસંબંધોમાં વિમુખતા આવે, ઘસારાના પ્રસંગો આવે, ત્યારે સ્નેહના સિંચન સમો બીજો કોઈ કારગત ઉપાય નથી.